ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ, સ્વદેશ પરત ફરવામાં થઈ શકે છે વિલંબ, મોટું કારણ આવ્યું સામે
ભારતીય ટીમ સોમવારે બાર્બાડોસથી રવાના થવાની હતી, પરંતુ હવે ભારતીય ખેલાડીઓ સોમવારે બાર્બાડોસ છોડી શકે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે બાર્બાડોસથી ભારતીય ટીમને નિર્ધારિત ટાઈમટેબલ પ્રમાણેે નીકળવામાં કેમ વિલંબ થઈ શકે છે.
![ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ, સ્વદેશ પરત ફરવામાં થઈ શકે છે વિલંબ, મોટું કારણ આવ્યું સામે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Indian-Cricket-Team-3.jpg?w=1280)
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીતી લીધું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં ફાઈનલ રમાઈ હતી. જો કે, ભારતીય ટીમ એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં આવેલા કેરેબિયન દેશમાં ફસાઈ છે. ઈન્ડિયાના ખેલાડીઓની ભારત પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.
ભારતીય ટીમ સોમવારે બાર્બાડોસથી રવાના થવાની હતી, પરંતુ હવે બેરીલ વાવાઝોડાએ તેનો રસ્તો રોકી દીધો છે. ભારતીય ખેલાડીઓ સોમવારે બાર્બાડોસ છોડી શકે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. કારણ કે વાવાઝોડાને પગલે બાર્બાડોસની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બાર્બાડોસ ટાપુ પર વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે, જેના કારણે ભારતીય ટીમના સ્વદેશ પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓ સોમવારે ન્યૂયોર્ક જવાના હતા. ન્યૂયોર્કના ભારતીય ખેલાડીઓએ કનેક્ટેડ ફ્લાઈટ દ્વારા દુબઈ જવાનું છે, પરંતુ હવે બેરીલ વાવાઝોડાને કારણે તે લગભગ અશક્ય છે. બાર્બાડોસના વડાપ્રધાને જાહેરાત કરી છે કે રવિવારે રાત્રે એરપોર્ટ બંધ રહેશે. બાર્બાડોસ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સની અવરજવર બંધ રહેશે.
તમને જણાવી દઈએ કે શનિવારે ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી. આ મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રોહિત શર્મા સહિત ટોપ-3 બેટ્સમેન ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. ભારતના ત્રણ બેટ્સમેનો 34 રનમાં પેવેલિયન ગયા હતા. જો કે આ પછી વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. જો કે ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન જ બનાવી શકી હતી.