રવિ શાસ્ત્રીએ ભારત સામે સવાલો કરનાર માઈકલ વોનને લીધો આડે હાથ, કહ્યું-ક્યારેય જાતે કપ ઉઠાવ્યો નથી
T20 વર્લ્ડ કપ 2024 જીતની ખુશીઓનો ઉત્સવ હજુ પણ ભારતના દરેક ખૂણે મનાવાઈ રહ્યો છે. ભારતીય ટીમ અને તેના ચાહકો હજુ પણ ઉત્સાહથી જશ્ન મનાવી રહ્યા છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024 ફાઈનલમાં ઈંગ્લેન્ડને ખૂબ જ ખરાબ રીતે હરાવીને પહોંચી હતી.
T20 વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમ અને ક્રિકેટ ચાહકો હજુ પણ જશ્નના મૂડમાં છે. વર્ષો બાદ આ પળ જોવા મળી હતી અને તેનો આનંદ અને ગર્વ જરુર હોય. પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર માઈકલ વોન એ આઈસીસી પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે ભારતની તરફેણે કરવાને લઈ સવાલો ઉઠાવ્યા હતા. પૂર્વ ક્રિકેટરે તો એટલી હદ સુધી કહ્યું હતુ કે, ભારતીય ટીમને ધ્યાને રાખીને વિશ્વકપ શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું હતુ. જેને લઈ અન્ય ક્રિકેટ ટીમોએ ટૂર્નામેન્ટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
અંગ્રેજ પૂર્વ ક્રિકેટર વોનએ તો વળી ગુયાનામાં રમાયેલી સેમીફાઈનલને લઈને પણ પોતાનો વાંધો રજૂ કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમને ભારતે ખરાબ રીતે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જે મેચની પીચને લઈને પણ ઈંગ્લીશ પૂર્વ ક્રિકેટરે ટોણો માર્યો હતો. જેને લઈ હવે પૂર્વ ભારતીય કોચ અને દિગ્ગજ પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ સણસણતો વળતો જવાબ માઈકલ વોને આપ્યો છે.
ઈંગ્લીશ પૂર્વ ક્રિકેટરની બોલતી બંધ કરી દીધી
T20 વિશ્વ ચેમ્પિયન થઈને સ્વદેશ પરત ફરેલી ટીમ ઈન્ડિયાની એક ટીવી ચેનલ પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન દિગ્ગજ પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને અંગ્રેજ કોમેન્ટેટર માઈકલ વોન ના સવાલો પર તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. જવાબમાં શાસ્ત્રીએ માઈકલ વોને આડે હાથ લેતા કહ્યું કે, માઈકલ વોન શું કહે છે તેની ભારતમાં કોઈને પડી નથી.
પૂર્વ ભારતીય કોચએ વળતો જવાબ આપતા કહ્યું કે, વોને પ્રથમ સેમીફાઈનલમાં શું થયું તે અંગે ઈંગ્લેન્ડને સલાહ આપવી જોઈએ. ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે માત્ર બે વખત આઈસીસી ટ્રોફી હાથમાં ઉપાડી છે. પરંતુ ભારતીય ટીમે તેને 4 વખત જીતી છે. દિગ્ગજ પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ઈંગ્લીશ કોમેન્ટેટર માઈકલ વોન પર વધુ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, તેણે પોતે ક્યારેય કપ ઉપાડ્યો નથી, તેથી બોલતા પહેલા બે વાર વિચારવું જોઈએ.
વોનના બદલાયા સુર
જોકે, હવે માઈકલ વોનનો સ્વર બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ક્લબ પ્રેઇરી ફાયર પોડકાસ્ટ પર ભવિષ્યમાં ઘણી ટ્રોફી જીતવાની આગાહી કરી હતી. તેણે બતાવ્યું હતુ કે, ટી20 વર્લ્ડ કપ ટ્રોફી ભારતીય ટીમ માટે માત્ર એક શરૂઆત છે. કોમેન્ટેટર માઈકલ વોનના મતે આગામી કેટલીક ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જળવાઈ રહેશે.
કેચ વિવાદ પર પણ આપ્યો જવાબ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ સૂર્યકુમાર યાદવે કરેલા આશ્ચર્યજનક કેચને લઈને કરવામાં આવેલા સવાલોને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. શાસ્ત્રીએ કહ્યું કે હાર બાદ દ્રાક્ષ ખાટી હોવાની વાતો કરવામાં આવી રહી છે. પાંચ વર્ષ પછી રેકોર્ડમાં માત્ર ટીમ ઈન્ડિયાનું નામ જ લખાશે.