Ranji Trophy 2022 : રણજી ટ્રોફીનું પહેલું ચરણ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે, જાણો સમગ્ર કાર્યક્રમ
ભારતીય ક્રિકેટમાં સૌથી મહત્વપુર્ણ રણજી ટ્રોફી ટુર્નામેન્ટની શરૂઆત 10 ફેબ્રુઆરીથી થશે. એક વર્ષ બાદ રણજી ટ્રોફીની વાપસી થશે. કોરોનાના કારણે ગત સિઝન રમાઇ ન હતી.
એક સિઝનના બ્રેક બાદ રણજી ટ્રોફીનું (Ranji Trophy) આયોજન થઇ રહ્યું છે. કોરોનાના કારણે રણજી ટ્રોફીની ગત સિઝનને રદ્દ કરી દેવામાં આવી હતી. તો કોરોનાની ત્રીજી લહેરને જોતા રણજી ટ્રોફીની આ વર્ષની સિઝનને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ખેલાડીઓ અને ઘણા એસોસિએશનની માંગ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) આ વર્ષે રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પહેલા આ ટુર્નામેન્ટની શરૂઆત 13 જાન્યુઆરીથી થવાની હતી. પણ હવે નવા કાર્યક્રમ પ્રમાણે 10 ફેબ્રુઆરીથી શરૂ થશે.
રણજી ટ્રોફીનું પહેલું ચરણ 10 ફેબુઆરીથી 15 માર્ચ સુધી રમાશે. જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બાદ 30 મેથી 26 જુન સુધી બીજા ચરણમાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે (Jay Shah) ગુરુવારે આ અંગે જાણકારી આપી હતી.
બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું હતું કે આ વખતે સૌથી નાની પ્રથમ શ્રેણીની ટુર્નામેન્ટ રહેશે. મોટા ભાગની ટીમો વધુમાં વધુ 3 મેચ જ રમી શકશે. આ ટુર્નામેન્ટમાં 4-4 ટીમો આઠ એલીટ ગ્રુપમાં વહેચાઇ ગઇ છે. જ્યારે બાકીની 6 ટીમોએ પ્લેટ ડિવિઝનમાં જગ્યા બનાવી છે. ટુર્નામેન્ટ સમયે 62 દિવસોમાં 64 મેચ રમાસે. પહેલા ચરણમાં 57 મેચ રમાશે. બીજા ચરણમાં સાત નોકઆઉટ મેચ રમાશે. જેમાં ચાર ક્વાર્ટર ફાઇનલ, બે સેમિ ફાઇનલ અને ફાઇનલ રહેશે.
એલીટ ગ્રુપની મેચ રાજકોટ, કટક, ચેન્નઈ, અમદાવાદ, ત્રિવેંદ્રમ, દિલ્હી, હરિયાણા અને ગુવાહાટીમાં રમાશે. પ્લેટ લીગ મેચ કોલકાતામાં રમાશે. આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રણજી ટ્રોફીને લઇને એક મહત્વપુર્ણ નિવેદન આપ્યું હતું. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે રણજી ટ્રોફી ભારતમાં સૌથી મહત્વની સ્થાનિક ટુર્નામેન્ટ છે અને બોર્ડ તેનું આયોજન કરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર ટીમે રણજી ટ્રોફીની અંતિમ સિઝન 2019-20નું ટાઇટલ જીત્યું હતું.
આ પણ વાંચો : IPL 2022 ને લઇને સૌરવ ગાંગુલીએ BCCI નું જણાવ્યું પ્લાનિંગ, જાણો ક્યા શહેરોમાં રમાશે લીગની મેચ