IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો આંચકો, પ્લેઓફની રેસમાંથી બહાર !
પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આઈપીએલમાં (IPL 2022)માં સારો દેખાવ કરી શકી નથી અને તેને સતત હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે પ્લેઓફમાં પહોંચવાની તેમની સંભાવના ઉપર અસર થઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પાંચ વખત આઈપીએલ વિજેતા છે. જે ટીમે સૌથી વધુ IPL ટાઇટલ જીત્યા છે, જે ટીમ અન્ય ટીમ માટે માથાનો દુખાવો બની જાય છે. તે આ વખતે તળીયે બેસી ગઈ છે. IPL-2022માં મુંબઈ ઈન્ડિયન્સ માટે બધુ બદલાઈ ગયું છે, કારણ કે જીત આ ટીમથી સતત દૂર રહી છે. રોહિત શર્માની (Rohit Sharma) કપ્તાનીવાળી આ ટીમને સતત આઠ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ક્યારેય આવુ બન્યું ન હતું. પરિણામે મુંબઈની (Mumbai) ટીમ આ સિઝનની પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ હોય તેવુ બન્યુ છે. એટલે કે હવે એવું લાગી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં જઈ શકશે નહીં. જો આપણે પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ જોઈએ તો તેણે નવમાંથી માત્ર એક મેચ જીતી છે અને તેના માત્ર બે પોઈન્ટ છે. આ સિઝનમાં અત્યાર સુધી મુંબઈના જેટલા ઓછા પોઈન્ટ અન્ય કોઈ ટીમ પાસે નથી.
IPL-2022માં ગઈકાલે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ હતી. જેમાં બેંગ્લોરની ટીમનો વિજય થયો હતો. આ સાથે મુંબઈને પણ ઝટકો લાગ્યો છે. બેંગ્લોરના હવે 12 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. ગુજરાત ટાઇટન્સના 16 પોઈન્ટ છે, લખનૌ સુપર જાયન્ટ્સના 14 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોરના 12-12 પોઈન્ટ છે. આ બે સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સના 10 પોઈન્ટ છે.
તમામ મેચ જીત્યા પછી પણ એન્ટ્રી નહીં મળે
મુંબઈએ હજુ પાંચ મેચ રમવાની છે અને જો તે તમામ મેચ જીતી જાય તો પણ તેના 12 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં તેની પાસે પ્લેઓફમાં પહોંચવા માટે જરૂરી પોઈન્ટ નહીં હોય. 10 ટીમોની આ IPLમાં પ્લેઓફનો કટઓફ કદાચ 16 પોઈન્ટનો હશે, તેથી મુંબઈ માટે અહીં પહોંચવું શક્ય નથી. કેટલીક ટીમો 14 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ પણ થઈ શકે છે પરંતુ આ માટે નેટ રન રેટ વધુ સારો હોવો જોઈએ. હાલમાં, મુંબઈનો નેટ રન રેટ -0.836 છે અને અહીંથી મોટા માર્જિનથી જીતવાથી તે તેના નેટ રન રેટમાં વધુ સુધારો કરી શકશે નહીં. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પ્લેઓફમાં નહીં રમે તે નિશ્ચિત જણાય છે.
ચેન્નાઈ પણ બહાર!
મુંબઈની જેમ ચેન્નાઈ પણ આઈપીએલની સફળ ટીમોમાંની એક છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં આ ટીમ ચાર વખત IPL ટ્રોફિ જીતી ચુકી છે. પરંતુ આ સિઝનમાં ચેન્નાઈની ટીમ જીત માટે સંઘર્ષ કરી રહી છે. બુધવારે રમાયેલી મેચમાં બેંગ્લોરે ચેન્નાઈને 13 રને હરાવ્યું હતું. આ સાથે ચેન્નાઈની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. ચેન્નાઈના 10 મેચ બાદ છ પોઈન્ટ છે. ચેન્નાઈની ટીમ ત્રણ મેચ જીતી છે અને સાત મેચ હારી ગઈ છે. હવે આ ટીમે વધુ ચાર મેચ રમવાની છે. જો ચેન્નાઈ આ ચાર મેચ જીતે છે તો તેના 14 પોઈન્ટ થઈ જશે. અહીં નેટ રન રેટનો મામલો સામે આવશે. નેટ રન રેટમાં ચેન્નાઈ વર્તમાન પરિસ્થિતિમાં ઘણું પાછળ છે. તેનો નેટ રન રેટ -0.413 છે. આવી સ્થિતિમાં, ચેન્નાઈએ તેની બાકીની તમામ મેચ મોટા અંતરથી જીતવી પડશે, તો જ તેની કેટલીક પ્લેઓફ માટે સંભાવનાઓ હોઈ શકે છે.