“જીવનમાં નિષ્ફળતાઓ પણ જરૂરી છે, કારણ કે તે તમને વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે.”- વિરાટ કોહલી
વિરાટ કોહલીએ IPL 2026માં KKR સામેની મેચમાં સેન્ચ્યુરી ફટકારી. તેમણે સદી ફટકાર્યા પછી કોઈ ઉજવણી ન કરી. કોહલીએ ખુદ આની પાછળના કારણનો ખૂલાસો કર્યો છે.

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યુ છે કે પર્ફોમેન્સના પ્રેશરને કારણે તેમને ચિંતા પણ થાય છે અને IPLમાં તેની છેલ્લી બે મેચમાં શૂન્ય પર આઉટ થયા પછી તે નર્વસ થઈ ગયો હતો. 37 વર્ષીય કોહલીએ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 60 બોલમાં અણનમ 105 રન બનાવીને ફોર્મમાં વાપસી કરી. આ છ વિકેટની જીત સાથે, RCB IPL પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ.
મેચ પહેલા કોહલી નર્વસ હતો
વિરાટ કોહલીએ IPLમાં તેની નવમી સદી ફટકારી અને મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા (279 મેચ) ને પાછળ છોડીને, લીગમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો. બાદમાં બ્રોડકાસ્ટર સાથે વાત કરતા, ‘પ્લેયર ઓફ ધ મેચ’ કોહલીએ કહ્યું, “છેલ્લી બે મેચમાં રન ન બનાવી શકવાને કારણે હું ખૂબ ચિંતિત હતો. મને ખબર હતી કે હું સારું રમી શકું છું અને રન બનાવી શકું છું. આવી સ્થિતિમાં – જ્યારે તમે રન બનાવી શકતા નથી અને ટીમમાં યોગદાન આપી શકતા નથી – ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા થાય છે.”
“મારું લક્ષ્ય હંમેશા ટીમમાં યોગદાન આપવાનું રહ્યું છે. હું સતત વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું જેથી હું ટીમને મારું શ્રેષ્ઠ આપી શકું અને કાયમી અસર છોડી શકું.”
સદી પછી ઉજવણી કેમ ન કરી?
વિરાટ કોહલી તેના એગ્રેસિવ સેલિબ્રેશન માટે જાણીતો છે. જોકે, આ વખતે તેણે સદી ફટકાર્યા પછી કોઈ ઉજવણી ન કરી. આ વિશે પૂછવામાં આવતા, વિરાટે સમજાવ્યું, “સદી ફટકાર્યા પછી ઉજવણી મોટી ન હતી, કારણ કે અમે પોઈન્ટનું મહત્વ સમજીએ છીએ. અમે બધા ટીમના હેતુ માટે રમવાનો પ્રયાસ કરીએ છીએ. એટલા માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દબાણ એક સારી વસ્તુ છે, કારણ કે તે તમારી રમતને સુધારવામાં મદદ કરે છે. પાછલી બે મેચમાં સારું પ્રદર્શન ન કરી શક્યા પછી હું નર્વસ હતો, અને તે જ ગભરાટે ખરેખર મને મજબૂત પ્રદર્શન કરવામાં મદદ કરી. તેથી, નિષ્ફળતાઓ પણ જરૂરી છે, કારણ કે તે તમને વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે.”
