INDvSL: પહેલી ટેસ્ટ માટે રિષભ પંત મોહાલી પહોંચ્યો, વિરાટ કોહલી આજે ચંદીગઢ પહોંચશે
INDvSL: રિષભ પંત અને વિરાટ કોહલીને શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી પંજાબના મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. જેને પગલે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) મોહાલી પહોંચી ગયો છે. તેની સાથે અન્ય ઘણા ખેલાડીઓ મોહાલી પહોંચી ગયા છે. તો બીજી તરફ પોતાની ઐતિહાસિક ટેસ્ટ મેચ રમવા માટે વિરાટ કોહલી (Virat Kohli) આજે મોડી સાંજ સુધીમાં મોહાલી ખાતે પહોંચી જશે. તમને જણાવી દઇએ કે 27 ફેબ્રુઆરી ધર્મશાળામાં અંતિમ ટી20 મેચ રમ્યા બાદ ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા ટીમના ખેલાડીઓ મોહાલી પહોંચી જશે.
તમને જણાવી દઇએ કે ભારત હાલ શ્રીલંકા સામે ટી20 સીરિઝ રમી રહ્યું છે અને પહેલી ટી20 મેચમાં ભારતને શાનદાર પ્રદર્શન કરતા 62 રને મેચ જીતી લીધી છે. ત્યારે સીરિઝની બીજી અને ત્રીજી મેચ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બંને દેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જેમાં પહેલી મેચ મોહાલી ખાતે અને ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ બેંગ્લોર ખાતે રમાશે.
રિષભ પંતને ટી20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને શ્રીલંકા સામેની ટી20 સીરિઝ માટે આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમયે પંત પોતાના ઘરે હતો અને ઘરના સભ્યો સાથે સમય પસાર કર્યો હતો. રિષભ પંત હવે ફરી એકવાર ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે અને તેણે મોહાલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી.
મોહાલીમાં વિરાટ કોહલી પોતાની ટેસ્ટ કારકિર્દીની 100 મી ટેસ્ટ મેચ રમશે
વિરાટ કોહલી માટે મોહાલીમાં રમાનાર ટેસ્ટ મેચ ઐતિહાસિક રહેશે. તે ટેસ્ટ તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ હશે. વિરાટ કોહલીને શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આ સમયે દરમ્યાન તે પોતાના મુંબઈ સ્થિત પોતાના ઘરે પરત ફર્યો હતો.
મોહાલી ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી નહીં
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝ બાદ બે મેચની ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. જેમાં પહેલી મેચ મોહાલી ખાતે રમાશે. અત્યારે મળી રહેલ સમાચાર પ્રમાણે પંજાબ ક્રિકેટ એસોસિએશને મોહાલી ખાતે રમાનાર સીરિઝની પહેલી ટેસ્ટમાં કોવિડ-19ના કારણે મેચ સ્ટેડિયમમાં બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેથી વિરાટ કોહલીની ઐતિહાસીક 100મી ટેસ્ટ મેચમાં દર્શકો સ્ટેડિયમમાં જઇ શકશે નહીં. જ્યારે બેંગ્લોરમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં 50% દર્શકો સ્ટેડિયમમાં આવી શકશે.