Breaking News: ધૂળેટીના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે મહામુકાબલો, જાણી લો T20 વર્લ્ડ કપના સેમિફાઈનલનું પુરુ ગણિત
ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 તબક્કામાં અલગ અલગ ગ્રુપમાં છે. જો બંને ટીમો ટોપ-2માં સ્થાન મેળવે છે, તો તેઓ સેમિફાઇનલમાં સામસામી ટકરાઈ શકે છે. જો કે, જો આ સેમિફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય છે, તો હાઇબ્રિડ કરારના ભાગ રૂપે, મેચ મુંબઈને બદલે કોલંબોમાં રમાશે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી મહત્વપૂર્ણ તબક્કા, સુપર 8 માં પહોંચી ગયો છે. 20 ટીમોથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ હવે 8 ટીમમાં સમેટાઈ ગઈ છે. પ્રથમ સુપર 8 મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાવાની હતી, પરંતુ વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ કરવામાં આવી હતી. હવે એ જોવું રસપ્રદ બન્યું છે કે કઈ ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ભારત-પાકિસ્તાન મેચને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. ભારત અને પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ ગ્રુપ સ્ટેજમાં એક મેચ રમી હતી, જેમાં ટીમ ઇન્ડિયા જીતી હતી. ક્રિકેટ ફેન્સ હવે વિચારી રહ્યા છે કે શું આ ટુર્નામેન્ટમાં બંને ટીમો ફરી એકબીજા સામે ટકરાશે.
આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હતા. બંને ટીમો એકબીજા સાથે રમી હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. મેચ પહેલા ઘણો વિવાદ થયો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બહિષ્કારની ધમકી પણ આપી હતી, અને ICC અધિકારીઓને લાહોર જવું પડ્યું હતું. જોકે, આખરે મેચ રમાઈ હતી અને મેદાન પર ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો.
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો 8-1નો રેકોર્ડ તેની તાકાત દર્શાવે છે. હવે, સુપર 8માં, ભારત અને પાકિસ્તાન અલગ અલગ ગ્રુપમાં છે.
- ગ્રુપ 1: ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારત
- ગ્રુપ 2: ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન
સુપર 8 માટેના નિયમો સ્પષ્ટ છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે. તેથી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી મેચ ત્યારે જ શક્ય છે જો બંને ટીમો પોતપોતાના ગ્રુપમાં ટોપ-2માં સ્થાન મેળવે છે.
જો ભારત ગ્રુપ 1 માં પ્રથમ કે બીજા ક્રમે આવે છે અને પાકિસ્તાન ગ્રુપ 2 માં ટોપ-2માં આવે છે. તો બંને ટીમો સેમિફાઇનલમાં ટકરાઈ શકે છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી હાઇ-વોલ્ટેજ મેચ જોવા મળી શકે છે.
સેમિફાઇનલ ક્યાં રમાશે?
હાલના સમયપત્રક મુજબ, જો ભારત સેમિફાઇનલમાં પહોંચે છે, તો તે 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી સેમિફાઇનલ રમશે. આનાથી ભારતને ઘરઆંગણે નોંધપાત્ર ફાયદો થશે.
પરંતુ અહીં એક ખાસ શરત છે. જો સેમિફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે, તો મેચ મુંબઈમાં રમાશે નહીં. તેને શ્રીલંકામાં ખસેડવામાં આવશે. ત્યારબાદ મેચ 4 માર્ચે યોજાશે. આ નિર્ણય બંને ક્રિકેટ બોર્ડ વચ્ચેના હાઇબ્રિડ કરારનો ભાગ છે, જેના હેઠળ ભારત-પાકિસ્તાન ICC મેચ 2027 ODI વર્લ્ડ કપ સુધી ન્યુટ્ર્લ વેન્યુ પર યોજાશે.
જેનો મતલબ સ્પષ્ટ છે કે જો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચતું નથી, તો ભારત મુંબઈમાં રમશે. જોકે, જો પાકિસ્તાન ક્વોલિફાય થાય અને ભારતનો સામનો કરવાનો હોય, તો ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા જવું પડશે. રસપ્રદ વાત એ છે કે, જો ભારત-પાકિસ્તાન સેમિફાઇનલ કોલંબોમાં યોજાય છે, તો ભારતીય ટીમ હોળી પર મેદાનમાં ઉતરશે. આનો અર્થ એ કે આ મેચ 4 માર્ચે રમાશે.
