સુનિલ ગાવસ્કર, કપિલ દેવ સહિત 21 અન્ય ભૂતપૂર્વ કેપ્ટનોએ ઇમરાનની સારવાર માટે પાકિસ્તાનના PMને અપીલ કરી
સુનિલ ગાવસ્કર, કપિલ દેવ ,વેંગસરકર સહિત 21 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ ઈમરાન ખાનની યોગ્ય સારવાર અને સ્વાસ્થના તપાસની માંગ કરી છે.પૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને આને લઈ અપીલ કરી છે.

પાકિસ્તાનની જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનની યોગ્ય સારવાર અને સ્વાસ્થને લઈ દુનિયાના 21 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને અપીલ કરી છે. આ અપીલમાં ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર,કપિલ દેવ અને દિલીપ વેંગસરકર પણ સામેલ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચૈપલે પણ અપીલ કરી હતી. ઈમરાન ખાનના માનવીય વ્યવ્હાર અને અને યોગ્ય તબીબી સુવિધાઓની માંગ કરતો ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોનો આ બીજો પત્ર છે.
જમણી આંખમાં દ્રષ્ટિ ગુમાવવાના અહેવાલો પર ચિંતા
ભૂતપૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને અપીલ કરી છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ રચાયેલા મેડિકલ બોર્ડને ઇમરાન ખાનના સ્વાસ્થ્યનું સ્વતંત્ર મૂલ્યાંકન પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવે. આ બોર્ડમાં ઇમરાન ખાનના ડોકટરોનો સમાવેશ થાય છે. પત્રમાં ખાસ કરીને તેમની જમણી આંખમાં દ્રષ્ટિ ગુમાવવાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભૂતપૂર્વ કેપ્ટનોએ જણાવ્યું હતું કે તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે.
ઈમરાન ખાન ઓગ્સ્ટ 2023થી જેલમાં બંધ
ભૂતપૂર્વ કેપ્ટનોએ સ્પષ્ટતા કરી કે, તેઓ પાકિસ્તાનની સ્થાનિક કાનૂની પ્રક્રિયામાં દખલ કરવા માંગતા નથી, એમ કહીને કે કોર્ટ દ્વારા આદેશિત તબીબી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી એ માનવ ગૌરવ અને મૂળભૂત શિષ્ટાચારનો વિષય છે.તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે. 6 મહિના પહેલા પણ 14 કેપ્ટનોએ તેના માટે પત્ર લખ્યો હતો. જેમાં આ વખતે 7 નવા દિગ્ગજો પણ જોડાયા છે. પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
આ ભૂતપૂર્વ કેપ્ટનોએ પત્ર પર હસ્તાક્ષર કર્યા
આ પત્ર પર સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, એલન બોર્ડર, માઈકલ આથર્ટન, માઈકલ બ્રિયરલી, ઇયાન ચેપલ, ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, એલિસ્ટર કૂક, એડમ ગિલક્રિસ્ટ, ડેવિડ ગોવર, કિમ હ્યુજીસ, નાસિર હુસૈન, ક્લાઈવ લોયડ, અર્જુન રણતુંગા, એન્ડ્રુ સ્ટ્રોસ, સ્ટીફન વો અને જોન રાઈટ સહિત 21 ભૂતપૂર્વ કેપ્ટનોએ હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 1992માં દેશનો પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.
