ટીમ ઈન્ડિયા માટે 40 રન અને 31 બોલનું છે ખૂબ જ મહત્વનું ગણિત, જાણો T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટેનો રસ્તો
ભારતીય પ્રશંસકો અફઘાનિસ્તાનની જીતથી ખૂબ જ ખુશ છે પરંતુ તેનું બીજું પાસું એ છે કે હવે ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચ અને ત્યારબાદ અફઘાનિસ્તાન-બાંગ્લાદેશની મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આટલું જ નહીં, જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારે છે તો તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.
T20 વર્લ્ડ કપ 2024માં સેમિફાઇનલમાં પહોચવા માટેની જે રેસ આજે સવાર સુધી સીધી દેખાતી હતી, તેને અફઘાનિસ્તાનની જીતની સાથે અચાનક વળાંક મળ્યો છે. આ ટ્વિસ્ટનું કારણ ટીમ ઈન્ડિયા નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા છે. ટીમ ઈન્ડિયાએ સુપર-8માં પોતાની બંને મેચ આસાનીથી જીતી લીધી હતી અને તેનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત જણાય છે. પરંતુ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે હારતા તમામ સમીકરણો બદલાઈ ગયા છે.
સૌ ક્રિકેટપ્રેમીઓને ચોંકાવી દેતા અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને ગ્રુપ-1ને રસપ્રદ બનાવી દીધુ છે. આજના પરિણામથી અફઘાનિસ્તાન માટે પણ સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટેની આશા જન્મી છે, ત્યાં ઓસ્ટ્રેલિયા માટે પણ મુશ્કેલી વધી છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાને ટીમ ઈન્ડિયાને થોડુ ટેન્શન પણ આપ્યું છે, કારણ કે ટીમ ઈન્ડિયાની આગામી મેચ આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે છે અને આ મેચમાં 40 રન સૌથી મહત્વની ભૂમિકા ભજવવાના છે.
ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ પણ સુપર-8 રાઉન્ડના ગ્રુપ-1માં છે. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન અને પછી બાંગ્લાદેશને હરાવીને 4 પોઈન્ટ જીત્યા અને પહેલા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને આસાનીથી હરાવ્યું હતું. બાંગ્લાદેશ સામે ભારતની જીત બાદ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઓસ્ટ્રેલિયા જીતશે અને પછી બંને ટીમો સેમિફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરશે. પરંતુ કિંગ્સટાઉનમાં તેનાથી ઉલટું જ બન્યું અને જે બન્યું તેણે બધું બદલી નાખ્યું.
કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ ?
ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીત સાથે ગ્રુપ-1 સંપૂર્ણ રીતે ઉથલપાથલ થઈ ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયા હજુ પણ ગ્રુપમાં પોઈન્ટ ટેબલના ટોચ પર છે અને મજબૂત સ્થિતિમાં છે પરંતુ તેની સામે એક પડકાર પણ છે. ગ્રુપ-1માંથી કઈ બે ટીમ સેમિફાઈનલમાં પહોંચશે તેનો નિર્ણય આવતીકાલ સોમવારે રાત્રે થશે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ જીતની જરૂર છે અને કોઈ પણ ગણતરી વગર. તેને 6 પોઈન્ટ મળશે અને નંબર વન પર રહીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી જશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ભારતને કોઈપણ ભોગે હરાવવું પડશે, તો જ તે સેમીફાઈનલમાં પહોંચી શકશે.
પરંતુ 40 રનના સમીકરણને ટાળવું મહત્વપૂર્ણ છે
આખી વાત અહીં છે અને તે છે 40 રનનો આંકડો. ટીમ ઇન્ડિયા માટે 40 રન મહત્વપૂર્ણ છે. ભલે ઓસ્ટ્રેલિયા કોઈ પણ રીતે ભારતને હરાવે પણ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે કે આ જીત મોટા અંતરથી ના હોવી જોઈએ. જો ટીમ ઈન્ડિયા બીજી બેટિંગ કરે છે તો કોઈપણ ભોગે 40 રન કે તેથી વધુના માર્જિનથી ટીમ ઈન્ડિયાએ હાર ટાળવી પડશે. જો 40 કરતા વધુ સરસાઈ સાથે ઓસ્ટ્રેલિયા મેચ જીતશે તો, ઓસ્ટ્રેલિયા નેટ રન રેટના મામલે ટીમ ઈન્ડિયાને પાછળ છોડી દેશે. હવે જો ટીમ ઈન્ડિયા પહેલી બેટિંગ કરે છે તો માત્ર 40 રન નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાએ, આપેલા લક્ષ્યાંકને પાર કરવા માટે ઓસ્ટ્રેલિયાને 31 બોલ પહેલા જીતવાથી કોઈ પણ રીતે રોકવા પડશે, કારણ કે આમ કરવાથી પણ ઓસ્ટ્રેલિયા નેટ રન રેટમાં આગળ રહેશે.