સમાચાર ફેલાયા એક પાર્ટીએ EVM હેક કરીને જીતી ચૂંટણી, અને પછી…
ચૂંટણીમાં ઘણી વાર EVMને લઈને ચર્ચાઓ ચાલતી હોય છે. આવામાં એક ફેક ન્યૂઝ વાયરલ થઇ રહી છે. જેના પર ઈલેક્શન કમિશને ફરિયાદ નોંધાવી છે.
ચૂંટણી પંચે ગુરુવારે કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના હેકિંગથી સંબંધિત ‘ફેક ન્યૂઝ’ અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઈન્ટરનેટ પર વાયરલ આ સમાચાર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એસ. કૃષ્ણમૂર્તિના હવાલાથી ફેલાવવામાં આવી રહ્યા છે. કમિશને એક નિવેદનમાં કહ્યું છે કે આના નિર્દેશ પર દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી છે.
આયોગના નિવેદન અનુસાર, ‘આ કેસમાં તપાસ શરૂ થઈ છે. ચૂંટણી પ્રક્રિયાની છબીને દૂષિત કરવા ફેક સમાચાર ફેલાવતા આવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશને જણાવ્યું હતું કે, ધ્યાનમાં આવ્યું કે ઇવીએમ હેક સંબંધિત કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘એક જૂની ફેક ન્યૂઝ’ ફેલાવવામાં આવી રહી છે.’ તેમણે કહ્યું કે 21 ડિસેમ્બર, 2017 ના રોજ આવેલા આ સમાચારમાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એસ. કૃષ્ણમૂર્તિના હવાલાથી એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇવીએમ હેકિંગ દ્વારા વિશિષ્ટ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તત્કાલીન ચૂંટણી કમિશનરે આ ખોટી માહિતીને વર્ષ 2018 માં જ નકારી હતી.
કૃષ્ણમૂર્તિએ બુધવારે સમાચારને નકાર્યા
ચૂંટણી પંચે કહ્યું કે કેટલાક તોફાની તત્વો આ સમાચાર ફરીથી સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યા છે. કૃષ્ણમૂર્તિએ પણ બુધવારે એક નિવેદન બહાર પાડીને ઇવીએમ હેકિંગથી સંબંધિત સમાચારને નકારી કાઢ્યા હતા અને તેને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. ઇસીએ ગુરુવારે જાહેર કરેલ પ્રકાશનમાં કૃષ્ણમૂર્તિના નિવેદનને પણ શેર કર્યું છે. જણાવી દઈએ કે 27 માર્ચથી અસમ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થવા જઈ રહી છે.