ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને ખતમ કરશે? હવે NSUIના 36 નેતાઓએ આપ્યા રાજીનામા
ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં રાજ્યમાં નવી પાર્ટીની સ્થાપના કરશે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ચૂંટણીને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે, તેઓ પાર્ટી છોડ્યા પછી શાંત નહીં બેસે.
કોંગ્રેસ (Congress) પાર્ટીમાંથી વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના (Ghulam Nabi Azad) રાજીનામા બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. હવે જમ્મુ-કાશ્મીરના NSUIના નેતાઓએ આઝાદના સમર્થનમાં સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. પ્રદેશ ઉપાધ્યક્ષ અનિરુદ્ધ રૈના અને પ્રદેશ મહાસચિવ માણિક શર્માએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે. રાજ્યના 36 નેતાઓ અને તેમના ઘણા સમર્થકોએ સામૂહિક રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનો રાજીનામાનો પત્ર આપ્યો હતો.
પોતાના રાજીનામામાં આઝાદે પાર્ટીના નેતૃત્વ પર ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમના રાજીનામા બાદ જ રાજકારણીઓ અનુમાન લગાવી રહ્યા હતા કે પાર્ટીમાં હજુ ઘણા રાજીનામા જોવા મળી શકે છે. આઝાદે પોતે રાજીનામામાં ઉલ્લેખ કર્યો હતો કે પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને પાર્ટી કઠપૂતળીના મોડલ પર કામ કરી રહી છે.
ચૂંટણી પહેલા નવી પાર્ટી બનાવશે
આઝાદે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં રાજ્યમાં નવી પાર્ટીની સ્થાપના કરશે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ચૂંટણીને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે, તેઓ પાર્ટી છોડ્યા પછી શાંત નહીં બેસે. રાજ્યમાં આગામી ચૂંટણીને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. તેમના સમર્થકોએ પણ ચૂંટણીમાં આઝાદને સંપૂર્ણ સમર્થન આપવા જણાવ્યું છે.
પાર્ટીના તમામ નિર્ણયો રાહુલ ગાંધી લઈ રહ્યા છે: ગુલામ નબી આઝાદ
સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં આઝાદે કહ્યું હતું કે પાર્ટીના તમામ નિર્ણયો રાહુલ ગાંધી લઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ પાર્ટીમાં હાજર વરિષ્ઠ નેતાઓની સલાહ પણ નથી લઈ રહ્યા. તેમના નેતૃત્વમાં પાર્ટી ઘણી ચૂંટણી હારી છે અને આગળ પણ હારતી રહેશે. જો કે, આ નિવેદન પછી, કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા સ્ટેટમેટે આ આરોપોને તથ્ય વિના જણાવ્યું હતું અને તેને સંપૂર્ણ રીતે ફગાવી દીધા હતા.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદ પાર્ટી નેતાઓની ટીકાઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક તેમને ‘મોદીનું રિમોટ કંટ્રોલ’ કહી રહ્યા છે તો કેટલાક તેમને ‘ભાજપની A ટીમ’ કહી રહ્યા છે. આઝાદે 26 ઓગસ્ટે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. આઝાદે જ્યારથી પાર્ટી છોડી છે ત્યારથી પાર્ટી તેમના પર પ્રહારો કરી રહી છે.