દેશના 18 શહેરમાં દોડશે વોટર મેટ્રો, શું ગુજરાતના કોઈ શહેરનો છે સમાવેશ ?
કેન્દ્ર સરકાર દેશભરના 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે. વોટર મેટ્રોના પ્રથમ તબક્કામાં, અયોધ્યા, વારાણસી અને પટના જેવા શહેરનો સમાવેશ થશે. પરિવહનનું આ માધ્યમ સસ્તું અને પ્રદૂષણમુક્ત બંને છે. તેનાથી રોડ માર્ગે થતા ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને લોકોને મુસાફરી માટે એક નવો અને શ્રેષ્ઠ વિકલ્પ મળશે.

કેન્દ્ર સરકાર દેશ 18 શહેરોમાં વોટર મેટ્રો પરિવહન પ્રણાલી શરૂ કરવાની યોજના પર સક્રિયપણે કામ કરી રહી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે, ગઈકાલ સોમવારે આ અંગે વિગતો પૂરી પાડી હતી. મંત્રાલયે રાષ્ટ્રીય વોટર મેટ્રો નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ અન્ય મંત્રાલયોને પરામર્શ માટે મોકલવામાં આવ્યો છે. જેથી વોટર મેટ્રો પરિવહન પ્રણાલી પ્રોજેક્ટ સમયસર સમગ્ર દેશમાં લાગુ થઈ શકે.
પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે
વોટર મેટ્રો પરિવહન પ્રણાલીનો પ્રોજેક્ટ બે અલગ અલગ તબક્કામાં પૂર્ણ થવાનો છે. પ્રથમ તબક્કામાં, ઉત્તર પ્રદેશના વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજ તેમજ શ્રીનગર અને પટનામાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજા તબક્કામાં, આસામના બે શહેરો – તેજપુર અને ડિબ્રુગઢ ને આ સુવિધા સાથે જોડવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક સમીક્ષા બેઠક પણ યોજી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પહેલને રાષ્ટ્રીય સ્તર સુધી વધારવાનો નિર્ણય કોચી વોટર મેટ્રોની સફળતા અને તે અનુભવમાંથી મળેલ સમજને કારણે લેવામાં આવ્યો હતો. સરકારનો ઉદ્દેશ્ય એવા શહેરોમાં પાણી આધારિત પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે, જ્યાં નદીઓ અથવા નહેરો છે, તેમાં પાણી બારે માસ રહે છે. આ પહેલનો ઉદ્દેશ જળમાર્ગોને જાહેર પરિવહનના આધુનિક અને ટકાઉ મોડમાં વિકસાવવાનો છે.
સર્બાનંદ સોનોવાલે એ શું કહ્યું?
બંદરો, શિપિંગ અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, વોટર મેટ્રો સિસ્ટમમાં નોંધપાત્ર રીતે ઓછો ખર્ચ થાય છે. કારણ કે તે હાલના જળમાર્ગોનો ઉપયોગ કરે છે, તેથી વ્યાપક બાંધકામ કાર્યની જરૂર નથી. આ પ્રોજેક્ટ ટૂંકી સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય છે અને તેને ઓછામાં ઓછી જમીન સંપાદનની જરૂર છે. વધુમાં, ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ-ઇંધણ-સંચાલિત બોટનો ઉપયોગ ખાતરી કરે છે કે સેવા પ્રદૂષણમુક્ત રહે. આ પહેલ શહેરોમાં રોડ ટ્રાફિક ભીડમાંથી રાહત આપશે અને મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ આપશે.
સુવિધાનો લાભ આ શહેરોને મળી શકશે
આ વોટર મેટ્રો સેવા સામાન્ય લોકો અને પ્રવાસીઓ બંને માટે ફાયદાકારક સાબિત થશે. સરકારે આ પહેલ માટે ચોક્કસ ધોરણો સ્થાપિત કર્યા છે. આ સુવિધા મુખ્યત્વે દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં પૂરી પાડવામાં આવશે. જો કે, આ નિયમોમાં અપવાદો દૂરના વિસ્તારો અથવા પૂરની સંભાવના ધરાવતા પ્રદેશો માટે મંજૂર કરી શકાય છે. ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI) એ આ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવા માટે કોચી મેટ્રો રેલ લિમિટેડની સહાય લીધી છે. આજની તારીખમાં, 18 શહેરના સર્વેક્ષણ પૂર્ણ થઈ ગયા છે, અને આમાંથી 17 શહેરોના અહેવાલો પહેલાથી જ પ્રાપ્ત થઈ ગયા છે. ફક્ત લક્ષદ્વીપનો અહેવાલ હજુ બાકી છે.