સિદ્ધુએ રાજીનામા બાદ તોડ્યુ મૌન, કહ્યું હંમેશા હક્ક માટે લડયો, માત્ર પંજાબની ચિંતા કરી
સિદ્ધુએ કહ્યું કે હું ન તો હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી શકું અને ન તો તેમને ગેરમાર્ગે દોરવા દઉં. હું ન્યાય માટે લડવા, પંજાબના લોકોનું જીવન સુધારવા માટે કંઈપણ બલિદાન આપીશ
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુનું (Navjot Singh Sidhu) મોટું નિવેદન સામે આવ્યું છે. નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટર પર એક વીડિયો શેર કરતા કહ્યું કે તેઓ છેલ્લા શ્વાસ સુધી અધિકાર અને સત્યની લડાઈ લડતા રહેશે. આ વીડિયોમાં તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે મારી કોઈ સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. મારી રાજકીય કારકિર્દી 17 વર્ષની છે, જે પરિવર્તન લાવવાની હતી. તે લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે હતું. આ મારો ધર્મ છે.
સિદ્ધુએ કહ્યું કે હું ન તો હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી શકું અને ન તો તેમને ગેરમાર્ગે દોરવા દઉં. હું ન્યાય માટે લડવા, પંજાબના લોકોનું જીવન સુધારવા માટે કંઈપણ બલિદાન આપીશ. મારે આ વિશે વિચારવાની જરૂર નથી. સિદ્ધુએ કાર્યકારી ડીજીપી ઇકબાલ પ્રીત સહોટા પર કટાક્ષ કર્યો હતો, જેમણે બાદલને ક્લીનચીટ આપી હતી. તેમને ન્યાયની જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી બાજુ, એડવોકેટ એપીએસ દેઓલ પર ટિપ્પણી કરી, જે પૂર્વ ડીજીપી સુમેધ સિંહ સૈનીના વકીલ હતા. સિદ્ધુએ કહ્યું કે આવા લોકોને લાવીને સિસ્ટમ બદલી શકાતી નથી. તેમણે કહ્યું કે નૈતિકતા સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં.
हक़-सच की लड़ाई आखिरी दम तक लड़ता रहूंगा … pic.twitter.com/LWnBF8JQxu
— Navjot Singh Sidhu (@sherryontopp) September 29, 2021
ચન્નીના નેતૃત્વમાં કેબિનેટની કટોકટી બેઠક રાજકીય ઉથલપાથલ વચ્ચે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના ( Charanjit Singh Channy) નેતૃત્વમાં પંજાબ પ્રધાનમંડળની તાકીદની બેઠક શરૂ થઈ છે. બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુને મનાવવાની રણનીતિ પર ચર્ચા થઈ રહી છે. રાજીનામા બાદ સિદ્ધુ પટિયાલામાં તેમના નિવાસસ્થાને છે અને અત્યારે પંજાબ કોંગ્રેસમાં અરાજકતાનું વાતાવરણ છે. કોંગ્રેસ-હાઇકમાન્ડે સિદ્ધુનું રાજીનામું ફગાવી દીધું છે અને રાજ્ય સ્તરે જ તેમને સમજાવવાની વાત કરી છે. સિદ્ધુના પટિયાલા નિવાસસ્થાને, તેમના નજીકના નેતાઓ સતત ત્યાં પહોંચી રહ્યા છે અને બેઠકોનો દૌર ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ Haryana: પલવલમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, પોલીસે કર્યા તપાસના ચક્રો ગતિમાન