18મી લોકસભાનું પ્રથમ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. લોકસભાના વર્તમાન અને પ્રથમ સત્રના ત્રીજા દિવસે બુધવારે ઓમ બિરલાને ગૃહના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી લોકસભાના સભ્યોએ, ઓમ બિરલાને શુભકામનાઓ આપી હતી. પીએમ મોદી બાદ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભા અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતા. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું ગૃહમાં આજે પ્રથમ સંબોધન હતું.
રાહુલ ગાંધીએ કહ્યું, અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવવા બદલ ઓમ બિરલાને અભિનંદન આપતા કહ્યું કે, તમે બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા છો, હું તમને અભિનંદન આપવા માંગુ છું. હું તમને સમગ્ર વિપક્ષ અને ઈન્ડિ એલાયન્સ તરફથી અભિનંદન આપવા માંગુ છું. આ ગૃહ અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. તમે ભારતના લોકોના અવાજના અંતિમ મધ્યસ્થી છો.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, સરકાર પાસે રાજકીય શક્તિ છે પરંતુ વિપક્ષ પણ ભારતની જનતાના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે અને આ વખતે વિપક્ષ ગત વખત કરતા વધુ લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. અમે તમને સહકાર આપીશું. અમે ઈચ્છીએ છીએ કે ગૃહ સરળતાથી ચાલે. વિપક્ષનો અવાજ ગૃહમાં ઉઠાવવા દેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
LIVE: Welcoming the Speaker of the 18th Lok Sabha https://t.co/NvAdTFvoyP
— Rahul Gandhi (@RahulGandhi) June 26, 2024
આ સાથે જ અખિલેશ યાદવ લોકસભા અધ્યક્ષને સલાહ આપતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે આ પદ સાથે ઘણી ભવ્ય પરંપરાઓ જોડાયેલી છે અને અમે માનીએ છીએ કે ગૃહ ભેદભાવ વિના આગળ વધશે. સ્પીકર તરીકે તમે દરેક સાંસદ અને પાર્ટીને સમાન તક આપશો. અમારી અપેક્ષા એ છે કે કોઈપણ જનપ્રતિનિધિનો અવાજ દબાવવામાં ન આવે.
અખિલેશ યાદવે કહ્યું કે સભ્યોની હકાલપટ્ટીથી ગૃહની ગરિમાને ઠેસ ન પહોંચવી જોઈએ. અખિલેશે કહ્યું કે અમે બધા તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે ફરીથી હકાલપટ્ટી જેવી કાર્યવાહીથી ગૃહની ગરિમાને ઠેસ ન પહોંચે. તમારો અંકુશ માત્ર વિપક્ષ પર જ નહીં પરંતુ સત્તાધારી પક્ષ પર પણ રહે. ગૃહ તમારી સૂચનાઓ પર ચાલવું જોઈએ, તેનાથી વિરુદ્ધ ન થવું જોઈએ. દરેક ન્યાયી નિર્ણયમાં અમે તમારી સાથે છીએ. જ્યારે હું પહેલીવાર નવા ગૃહમાં આવ્યો છું, ત્યારે મને લાગ્યું કે અમારા સ્પીકરની ખુરશી ઘણી ઊંચી છે.
ભાજપના સાંસદ ઓમ બિરલા ધ્વનિ મત દ્વારા લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વડા પ્રધાન મોદીએ અધ્યક્ષ પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટેકો આપ્યો હતો. પીએમ મોદી દ્વારા રજૂ કરાયેલા નવા અધ્યક્ષના પ્રસ્તાવને પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ દ્વારા ગૃહમાં મતદાન માટે મૂકવામાં આવ્યો હતો અને તેને ગૃહ દ્વારા ધ્વનિ મત દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.