હવે કેજરીવાલનો વારો ! ભાજપ ઉતર્યુ શેરીમા, શરાબ કાંડના મુખ્ય કૌંભાડી ગણાવી માગ્યું રાજીનામું
દિલ્હીમાં અનેક સ્થળોએ પ્રદર્શન કરતી વખતે ભાજપે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે. ભાજપે કેજરીવાલને શરાબ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે.
સીબીઆઈએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના બીજા સૌથી મોટા નેતા મનીષ સિસોદિયાની શરાબ કૌભાંડના આરોપમાં ધરપકડ કરી છે. હવે ભાજપ દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. ભાજપના કાર્યકરો કેજરીવાલના વિરોધમાં શેરીમાં ઉતરી આવ્યા છે.
દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ હવે દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઘેરવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીમાં અનેક સ્થળોએ પ્રદર્શન કરતી વખતે ભાજપે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે. ભાજપે કેજરીવાલને શરાબ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે.
પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ દિલ્લીના લક્ષ્મી નગર, સીલમપુર, આશ્રમ, ચિરાગ દિલ્હી અને જામા મસ્જિદ વિસ્તારોમાં ભેગા થયા હતા. હાથમાં પોસ્ટર અને બેનરો સાથે નેતાઓએ દિલ્લી સરકાર અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પોસ્ટરો પર લખવામાં આવ્યું હતું, ‘દિલ્લી સરકારમાં કૌભાંડો, મનીષ સિસોદિયા જેલમાં!’ ભાજપના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની આગેવાની હેઠળના બેનરમાં લખ્યું હતું કે, “દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ કેજરીવાલ, રાજીનામું આપો – રાજીનામું આપો.”
દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્લી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. સીએમ અરવિંદ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. બંને મંત્રીઓ આ દિવસોમાં વિવાદોમાં ફસાયેલા છે. મનીષ સિસોદિયા શરાબ કાંડમાં થોડા દિવસો પહેલા સીબીઆઈ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે સત્યેન્દ્ર જૈન ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે.
દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના સ્થાને સૌરભ ભારદ્વાજ અને આતિષીને દિલ્લીના પ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો છે. સીએમ કેજરીવાલે બંનેના નામ એલજીને પણ મોકલી દીધા છે. આગામી દિવસોમાં આ બન્નેને દિલ્લી કેબિનેટમાં સમાવવામાં આવશે.