હવે EDના નિશાને મમતા બેનર્જીનો ભત્રીજો અભિષેક બેનર્જી, 2 સપ્ટેમ્બરે હાજર થવા પાઠવ્યું સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલસા કૌભાંડ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીને સમન્સ જારી કર્યા છે. બેનર્જી 2 સપ્ટેમ્બરે ED સમક્ષ હાજર થશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલસા કૌભાંડ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા, અભિષેક બેનર્જીને (Abhishek Banerjee) સમન્સ જાહેર કર્યા છે. બેનર્જીને આગામી 2 સપ્ટેમ્બરે ED સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગાઉ પણ આ કેસમાં અભિષેક બેનર્જીની પૂછપરછ કરી હતી. કોલસા કૌભાંડ કેસમાં તેમની પત્ની રૂજીરા બેનર્જીની પણ પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ, તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદની બેઠકમાં અભિષેકે આશંકા વ્યક્ત કરી હતી કે આ બેઠકની સફળતા બાદ તેમની પૂછપરછ અથવા દરોડા પાડવામાં આવી શકે છે. તેણે કહ્યું હતું, ‘જો કે હું ડરતો નથી’.
મળતી માહિતી મુજબ કોલસા કૌભાંડ કેસમાં અભિષેક બેનર્જીની પૂછપરછ કરવા માટે ED અધિકારીઓની એક વિશેષ ટીમ દિલ્હીથી આવી રહી છે. આ મામલે EDની આ વિશેષ ટીમ જ બેનર્જીને સવાલ-જવાબ આપશે. ઇડીએ ગયા વર્ષે (સપ્ટેમ્બરમાં) બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ અભિષેક બેનર્જીની આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. અભિષેક અને તેની પત્ની રૂજીરા બેનર્જી બંને બંગાળના રહેવાસી છે, તેથી કહેવામાં આવ્યું હતું કે તેમને પૂછપરછ માટે દિલ્હીમાં હાજર થવાનું કહેવામાં ન આવે. આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જો કે, હાઈકોર્ટે 11 માર્ચે આ અરજીને ફગાવી દીધી હતી અને અભિષેકને દિલ્હીમાં ED ઓફિસમાં હાજર થવું પડ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
નવેમ્બર 2020ની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં આસનસોલમાં ઈસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડની ખાણો અને તેની આસપાસની કુનુસ્ટોરીયા અને કજોરા વિસ્તારમાં કરોડો રૂપિયાના કોલસા કૌભાંડનો આક્ષેપ કરાયો છે. EDએ અગાઉ દાવો કર્યો હતો કે TMC સાંસદો આ ગેરકાયદે કારોબારમાંથી મળેલા નાણાંના લાભાર્થી હતા. જોકે, બેનર્જીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.