કચ્ચાતીવુ ટાપુ ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને કેમ આપી દીધો ? PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- તેમના પર ભરોસો ના કરવો જોઈએ
પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે આંખ ખોલનારી અને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. નવા તથ્યો જણાવે છે કે કેવી રીતે કોંગ્રેસે શ્રીલંકાને કચ્ચાતીવુ આપી દીધુ. દરેક ભારતીય આનાથી નારાજ છે અને લોકોના મનમાં ફરી એકવાર એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે અમે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકતા નથી.
![કચ્ચાતીવુ ટાપુ ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને કેમ આપી દીધો ? PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- તેમના પર ભરોસો ના કરવો જોઈએ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/03/PM-MODI-9-1.jpg?w=1280)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે PMએ ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ રવિવારે શ્રીલંકાને કચ્ચાતીવુ ટાપુ આપી દેવા પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને પાર્ટી પર દેશની અખંડિતતા અને હિતોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસની ઝાંટકણી કાઢતા કહ્યું છે કે દેશની જનતા એ કોંગ્રેસ પર ભરોસો ના કરવો જોઈએ કારણકે તે ભરોસાના લાયક નથી.
કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં : PM
વાસ્તવમાં પીએમ મોદીની આ પ્રતિક્રિયા માહિતી અધિકાર (RTI) રિપોર્ટ બાદ આવી છે. જેમાં એ વાતનો ખુલાસો થયો છે કે કેવી રીતે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે 1974માં શ્રીલંકાને કચ્ચાતીવુ ટાપુ સોંપ્યો હતો. પીએમ મોદીએ આ ખુલાસાને લઈને કોંગ્રેસ સરકારને ઘેરી છે. પીએમ મોદીએ RTI રિપોર્ટને આંખ ખોલનારી અને ચોંકાવનારો રિપોર્ટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે લોકો કોંગ્રેસના આ પગલાથી ખૂબ નારાજ છે. કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં.
Eye opening and startling!
New facts reveal how Congress callously gave away #Katchatheevu.
This has angered every Indian and reaffirmed in people’s minds- we can’t ever trust Congress!
Weakening India’s unity, integrity and interests has been Congress’ way of working for…
— Narendra Modi (@narendramodi) March 31, 2024
PM એ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે
પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. PMએ લખ્યું છે કે ‘આંખ ખુલી જવી અને આઘાતજનક! નવી હકીકતો દર્શાવે છે કે કોંગ્રેસે કેવી રીતે ક્રૂરતાપૂર્વક કચ્ચાતીવુને આપી દીધું. દરેક ભારતીય આનાથી નારાજ છે અને લોકોના મનમાં ફરી એકવાર એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે અમે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકતા નથી. ભારતની એકતા, અખંડિતતા અને હિતોને નુકસાન પહોંચાડવું એ 75 વર્ષથી કોંગ્રેસની મોડસ ઓપરેન્ડી રહી છે.
શ્રીલંકાને સોંપી દેવાયો ભારતનો એક ભાગ
તમને જણાવી દઈએ કે કચ્ચાતીવુ ટાપુ તે જગ્યા છે જ્યાં તમિલનાડુના રામેશ્વરમ જેવા જિલ્લાના માછીમારો જાય છે કારણ કે ભારતીય જળસીમામાં માછલીઓ ખતમ થઈ ગઈ છે. માછીમારો ટાપુ પર પહોંચવા માટે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) ઓળંગે છે પરંતુ શ્રીલંકાની નૌકાદળ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે. ત્યારે આ ટાપુ ભારતનો એક ભાગ હતો જેને ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને સોંપી દીધો હતો.
સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ અને ડીએમકે પર નિશાન સાધ્યું હતું
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ પણ પત્રકાર પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કચ્ચાતીવુ ટાપુ 1975 સુધી ભારત પાસે હતો. આ ટાપુ ભારતથી માત્ર 25 કિલોમીટર દૂર છે. પરંતુ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તે શ્રીલંકાને આપી દીધો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે ડીએમકે આ મુદ્દો ઉઠાવતા નથી. ભાજપના નેતાએ કહ્યું કે અમારા જે માછીમારો જાય છે તેમને પકડીને ત્રાસ આપવામાં આવે છે.
સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તમિલનાડુ નજીકના કાચથીવુ એ ભારતનો ભાગ હતો પરંતુ નેહરુ અને ઈન્દિરાએ ભારતના હિતોની વિરુદ્ધ તેના પર પોતાનો દાવો છોડી દીધો હતો. નેહરુએ કહ્યું હતું કે અમને તેની જરૂર નથી, જેમ તેમણે અક્સાઈ ચીન માટે કહ્યું હતું. અને અમારા માછીમારો ત્યાં નહીં જાય તેવું લખવામાં આવ્યું હતું. બીજેપી નેતાએ કોંગ્રેસને પૂછ્યું કે રાહુલ ગાંધીએ સમજાવવું જોઈએ કે તેમના પરિવારે કાચ્છથીવુ પર પોતાનો દાવો કેમ છોડી દીધો. ડીએમ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ડીએમકેએ જણાવવું જોઈએ કે સરકારની કઇ મજબૂરી છે જેનું કારણ છે કે તે આજે પણ આ મુદ્દે નથી બોલી રહ્યા. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે પીએમ મોદીને દેશના દરેક ભાગના લોકો પ્રત્યે સહાનુભૂતિ છે.