દુનિયાના ઈતિહાસમાં સૌથી ઊંચાઈ પર થયેલા યુદ્ધની ઘટનાઓમાંનુ એક છે ‘કારગિલ યુદ્ધ’ જાણો સમગ્ર ઘટનાક્રમ
ભારતીય સૈન્ય જવાનોના શૌર્યને કારણે પાકિસ્તાનને ભૂંડી રીતે ભાગવું પડ્યુ હતું. પાકિસ્તાને પચાવી પાડેલ ભારતની એક એક ઈંચ જમીનનો કબજો ભારતીય સૈન્ય જવાનોએ 26 જુલાઈના દિવસે પરત મેળવ્યો હતો.
કાશ્મિરના (Kashmir) દુર્ગમ એવા કારગિલ (Kargil) ક્ષેત્રમાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (LOC) પર ધૂસણખોરી કરી હતી. કપટ કરીને ભારતીય ભૂમિને હડપવા માગતા પાકિસ્તાનના સૈન્ય જવાનો, જેહાદી અને ઘૂસણખોરોને ભારતીય સૈન્યે ઓપરેશન વિજય હેઠળ આજથી બરાબર 23 વર્ષ પહેલા મારી હટાવ્યા હતા. કાશ્મિરમાં કારગિલના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં પાકિસ્તાનના સૈન્યે વ્યૂહાત્મક રીતે ઘૂસણખોરી કરીને ભારતીય સૈન્ય ઉપર પર્વતની ટોચ ઉપરથી એક પછી એક હિચકારા હુમલાઓ કર્યા હતા. આ યુદ્ધમાં ભારતના પાંચસોથી વધુ સૈન્ય જવાનો શહિદ થયા હતા. ભારતીય સૈન્ય જવાનોના શૌર્યને કારણે પાકિસ્તાનને ભૂંડી રીતે ભાગવું પડ્યુ હતું. પાકિસ્તાને પચાવી પાડેલ ભારતની એક એક ઈંચ જમીનનો કબજો ભારતીય સૈન્ય જવાનોએ 26 જુલાઈના દિવસે પરત મેળવ્યો હતો. ત્યારથી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જાણો કારગિલ યુદ્ધને લગતા સમગ્ર ઘટનાક્રમ અંગે
- 3 મે, 1999: કારગિલના પહાડી વિસ્તારમાં કેટલાક સશસ્ત્ર પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓને સ્થાનિક ભરવાડોએ જોયા. આ ભરવાડોએ ભારતીય સેનાના અધિકારીઓને પાકિસ્તાનીઓ ઘૂસી આવ્યાની જાણકારી આપી.
- 5 મે 1999: ભારતીય સેનાના જવાનોને કારગિલના વિસ્તારમાં ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપવા મોકલવામાં આવ્યા. પાકિસ્તાની સૈનિકો દ્વારા ઓછામાં ઓછા પાંચ ભારતીય સેનાના જવાનો શહીદ થયા.
- 9 મે, 1999: પાકિસ્તાની સેનાએ કારગીલમાં ભારતીય સેનાના દારૂગોળાના ગોડાઉનને નિશાન બનાવીને ભારે ગોળીબાર શરૂ કર્યો.
- 10 મે, 1999: વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાની સેનાના જવાનોએ દ્રાસ અને કાકસર સેક્ટર સહિત જમ્મુ અને કાશ્મીરના અન્ય ભાગોમાં વ્યાપક ઘૂસણખોરી કરી.
- મધ્ય મે: ભારતીય સેનાએ કારગિલમાંથી ઘૂષણખોર પાકિસ્તાની સૈન્યને ખદેડી મુકવા ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું, ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે કાશ્મીર ખીણમાંથી કારગિલ જિલ્લામાં વધુ સૈનિકો મોકલ્યા. દરમિયાન, પાકિસ્તાની સેનાએ હુમલામાં સામેલ હોવાનો ઇનકાર કર્યો.
- 26 મે, 1999: ભારતીય વાયુસેનાએ વિવિધ ફાયટર પ્લેન દ્વારા હવાઈ હુમલાઓ શરૂ કર્યા, ઘણા પાકિસ્તાની ઘૂસણખોરોને ખતમ કર્યા.
- 1 જૂન 1999: પાકિસ્તાને વધુ હુમલા કર્યા અને નેશનલ હાઈવે 1 ને નિશાન બનાવ્યું. ફ્રાન્સ અને અમેરિકાએ ભારત વિરુદ્ધ સૈન્ય અભિયાન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું.
- 5 જૂન, 1999: ભારતે પાકિસ્તાની સૈન્યની સંડોવણીને છતી કરતા દસ્તાવેજો જાહેર કર્યા.
- 9 જૂન, 1999: ભારતીય સેનાના જવાનોએ લડાયક શક્તિ દાખવીને જમ્મુ અને કાશ્મીરના બટાલિક સેક્ટરમાં બે મુખ્ય સ્થાનો પર કબજો કર્યો.
- 13 જૂન, 1999: જ્યારે ભારતીય સશસ્ત્ર દળોએ તોલોલિંગ શિખર પર ફરીથી કબજો કર્યો, ત્યારે પાકિસ્તાનને મોટો આંચકો લાગ્યો. ભારતીય સૈન્યને બિરદાવવા માટે તત્કાલીન ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી કારગીલની મુલાકાતે ગયા.
- 20 જૂન, 1999: ભારતીય સેનાએ ટાઈગર હિલ નજીક સૈન્ય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા સ્થાનો પર કબજો કર્યો.
- 4 જુલાઈ 1999: ભારતીય સેનાએ ટાઈગર હિલ પર કબજો કર્યો.
- 5 જુલાઈ 1999: આંતરરાષ્ટ્રીય દબાણને પગલે પાકિસ્તાનના વડા પ્રધાને કારગિલમાંથી પાકિસ્તાની દળોને પાછા ખેંચવાની જાહેરાત કરી.
- 12 જુલાઈ 1999: આખરે પાકિસ્તાનના સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી.
- 14 જુલાઈ 1999: ભારતના વડાપ્રધાને ભારતીય સૈન્યના ‘ઓપરેશન વિજય’ને સફળ જાહેર કર્યું.
- જુલાઈ 26, 1999: ભારત વિજયી બન્યું કારણ કે સેનાએ કબજો કરાયેલી તમામ જગ્યાઓ જીતી લીધી. કારગિલ યુદ્ધ, જે 2 મહિના અને ત્રણ અઠવાડિયાથી વધુ ચાલ્યુ, આખરે અંત આવ્યો. આપણી માતૃભૂમિને બચાવવા માટે 500 થી વધુ ભારતીય સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. યુદ્ધ દરમિયાન 3,000 થી વધુ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ માર્યા ગયા હતા.
‘ઓપરેશન વિજય’ની સફળતા બાદ આ દિવસને ‘વિજય દિવસ’ નામ આપવામાં આવ્યું. દુનિયાના ઈતિહાસમાં ‘કારગિલ યુદ્ધ’ સૌથી ઊંચાઈ પર થનારી યુદ્ધની ઘટનાઓમાંથી એક છે.