મથુરા-વૃંદાવન અને આગ્રા જવું હવે બન્યું આસાન, જેવર એરપોર્ટથી 8 દિવસની મુસાફરી માત્ર 6 દિવસમાં પૂરી થશે
ઉત્તર પ્રદેશમાં જેવર એરપોર્ટના પ્રારંભ સાથે જ પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિ આવી છે. હવે ગુજરાતથી યુપી જનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને મથુરા, વૃંદાવન કે આગ્રા જવા માટે દિલ્હીના ટ્રાફિકમાં ફસાવું નહીં પડે. જાણો કેવી રીતે તમારી 8 દિવસની ટ્રીપ હવે માત્ર 6 દિવસમાં પૂરી થઈ જશે.
આગ્રાથી મથુરા સુધીની સફર હવે આસાન, યુપીના પ્રવાસનને મળશે નવી પાંખો, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેવર) ના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન સાથે જ ઉત્તર પ્રદેશના પ્રવાસન અને અર્થતંત્રને નવી ઊંચાઈ મળી છે. આ એરપોર્ટ માત્ર યુપી જ નહીં, પરંતુ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડ જેવા પાડોશી રાજ્યો માટે પણ ગેમ ચેન્જર સાબિત થશે.
ગુજરાતી પ્રવાસીઓ માટે હવે ‘એક દિવસમાં આગ્રા’ શક્ય
સામાન્ય રીતે ગુજરાતથી જે પ્રવાસીઓ તાજમહેલ કે લાલ કિલ્લો જોવા આગ્રા જતા હતા, તેમને દિલ્હી એરપોર્ટ પર ઉતરીને ત્યાંથી આગ્રા પહોંચવામાં ઘણો સમય બગડતો હતો. ઘણીવાર આ મુસાફરી માટે આવા જવામાં જ 2 દિવસ નીકળી જતા હતા. પરંતુ હવે જેવર એરપોર્ટ સીધું યમુના એક્સપ્રેસ વે સાથે જોડાયેલું હોવાથી, પ્રવાસીઓ માત્ર 1 દિવસમાં જ આગ્રાની મુલાકાત લઈને પરત ફરી શકશે.
8 દિવસનું પ્લાનિંગ હવે 6 દિવસમાં થશે પૂરું
યુપી ફરવા જનારા લોકો અગાઉ મથુરા-વૃંદાવન, આગ્રા અથવા કાશી-લખનઉનો પ્લાન બનાવતા ત્યારે આવવા-જવામાં જ 4 દિવસ અલગથી ફાળવવા પડતા હતા. હવે જેવર એરપોર્ટને કારણે:
- મથુરા-વૃંદાવન: એરપોર્ટથી માત્ર 85-90 કિમી દૂર છે, જ્યાં પહોંચતા 1.5 કલાકથી પણ ઓછો સમય લાગશે.
- આગ્રા: યમુના એક્સપ્રેસ વે દ્વારા 130-140 કિમીનું અંતર માત્ર 1.5 થી 2 કલાકમાં કાપી શકાશે.
આમ, જે મુસાફરીમાં પહેલા 8 દિવસ લાગતા હતા, તે હવે માત્ર 6 દિવસમાં પૂર્ણ કરી શકાશે. પ્રવાસીઓ જેવરથી નીકળી મથુરા, વૃંદાવન અને કૃષ્ણ જન્મભૂમિના દર્શન કરીને સીધા આગ્રા પહોંચી શકશે.
દિલ્હીના ટ્રાફિકથી મળશે છુટકારો
અગાઉ દિલ્હી એરપોર્ટથી આગ્રા પહોંચવામાં ટ્રાફિકને કારણે 4 થી 5 કલાકનો સમય લાગતો હતો અને મુસાફરી થકવી દેનારી રહેતી હતી. જેવર એરપોર્ટના વિકલ્પથી પ્રવાસીઓને દિલ્હીના ભીડભાડવાળા રસ્તાઓથી મુક્તિ મળશે અને અઢી થી ત્રણ કલાકની સીધી બચત થશે.
વિકાસ માટે ‘ગેમ ચેન્જર’
યુપીના મુખ્ય સચિવે જણાવ્યું કે, આ એરપોર્ટ વૈશ્વિક પ્રવાસનને સીધું મથુરા અને આગ્રા સાથે જોડશે. એરપોર્ટને કારણે હોટલ, ટેક્સી અને અન્ય સેવાઓમાં પણ વધારો થશે, જેનાથી પ્રવાસીઓને સસ્તા અને સારા વિકલ્પો મળશે. આ પ્રોજેક્ટ માત્ર સમય જ નહીં પરંતુ પ્રવાસીઓના પૈસા પણ બચાવશે.
