Breaking News : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કરી જાહેરાત, જુઓ Video
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે લાંબી રાતની વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. જોકે આ બાદ પણ ભારતના વિદેશ સચિવ વિક્રમ મીશ્રીએ સતાવાર જાહેરાત કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સામાન્ય સમજ અને મહાન બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન.”
જોકે, ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી. આજે બપોરે, પાકિસ્તાનના ડીજીએમઓએ વાટાઘાટો શરૂ કરી, જેના પગલે ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાટાઘાટો કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે છેલ્લા 48 કલાકમાં, ઉપરાષ્ટ્રપતિ વાન્સ અને મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અજિત ડોભાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી છે. મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવા સંમત થયા છે. શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડા પ્રધાન મોદી અને શરીફની શાણપણ અને સમજદારીની અમે પ્રશંસા કરીએ છીએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધો લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ડીજીએમઓએ આજે બપોરે ફોન પર વાત કરી, ત્યારબાદ ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આજે સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ છે. વિદેશ સચિવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે બપોરે 3.15 વાગ્યે પાકિસ્તાનના DGMO તરફથી ભારતના DGMO ને ફોન આવ્યો હતો. હવે બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાતચીત કરશે. વિદેશ સચિવે કહ્યું કે બંને દેશો ગોળીબાર બંધ કરવા સંમત થયા છે.