12 જાન્યુઆરીના મહત્વના સમાચાર : PM મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, જર્મન ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની લેશે મુલાકાત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કરાવશે શરૂઆત
આજે 12 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
અંબાજીમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે 5 દિવસીય સાધુ-સંતોના સંગમનો ભવ્ય પ્રારંભ
મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન પૂજા કરવાનો વિશેષ મહિમા હોય છે. જેને લઇને કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા અંબાજીમાં પણ છેલ્લા 3 વર્ષથી મકરસંક્રાંતિનું શાહી સ્નાન આયોજિત કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ 5 દિવસીય સાધુ-સંતોના સંગમનો ભવ્ય પ્રારંભ થયો છે. અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પર સાધુ-સંતોના નગર પ્રવેશ સમયે વાતાવરણ ‘જય અંબે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું. સરપંચ દ્વારા સંતોનું ફૂલહાર અને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ ઢોલ-નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રા રાધા-કૃષ્ણ મંદિર પહોંચી હતી, જ્યાં વિધિવત ધર્મ ધજા ફરકાવ્યા બાદ દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવ ખુલ્લો મુકાયો.
-
ઇસરો અંતરિક્ષમાં ફરી રચશે ઇતિહાસ
ઇસરો અંતરિક્ષમાં ફરી ઇતિહાસ રચવા જઈ રહ્યુ છે. આજે વર્ષ 2026નું ઇસરોનું પ્રથમ મિશન છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી PSLV-C-62 રોકેટ ઉડાન ભરશે. સવારે 10:17 વાગ્યે PSLV-C-62 રોકેટનું લોન્ચિંગ થશે. અન્વેષા સેટેલાઇટ અને 18 બીજા સેટેલાઇટ લઈને ઉડાન ભરશે રોકેટ. મિશનનું મુખ્ય આકર્ષણ અન્વેષા સેટેલાઈટ છે. જેને ‘દિવ્ય દ્રષ્ટિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્વેષા સેટેલાઇટ મિશન ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. અન્વેષા ‘દિવ્ય દ્રષ્ટિ’ સેટેલાઈટથી પાકિસ્તાન-ચીન પર બાજ નજર રાખી શકાશે. આ સેટેલાઈટની મદદથી પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ અને ચીન સરહદ પરની હિલચાલને સચોટ રીતે ટ્રેક કરી શકાશે. વનસ્પતિ કે અન્ય અવરોધો પાછળ છુપાયેલા હથિયારો કે વાહનો પણ આ સેટેલાઈટની નજરથી બચી શકશે નહીં. આથી જ ‘અન્વેષા’ને ભારતની ‘સુપર વિઝન’વાળી આંખ કહેવામાં આવી રહી છે. તે સ્પેસમાં 600 કિમી દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુની તસવીર ખેંચી શકે છે. પછી ભલે તે બોર્ડર પર ઝાડીમાં છુપાયેલો દુશ્મન સેનાનો કોઈ જવાન હોય, અથવા આર્મીના ટેન્કના રસ્તામાં છુપાયેલી લેન્ડમાઇન્સ. આ માટે અન્વેષા 100 પ્રકારના પ્રકાશને ડિટેક્ટ કરનારી HRS ટેકનોલોજી પર કામ કરશે.
-
-
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક ર્મર્ઝનું સાબરમતી આશ્રમ ખાતે ઉષ્માસભર સ્વાગત કરશે. અહીં બન્ને મહાનુભાવો મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લેશે. મહાત્મા ગાંધીને શ્રદ્ધાસૂમન અર્પણ કરી બન્ને મહાનુભાવો ચરખો કાંતશે. ત્યાંથી PM મોદી અને જર્મન ચાન્સેલર રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદઘાટન માટે પહોંચશે. પતંગોત્સવની શરૂઆત કરાવ્યા બાદ બંને મહાનુભાવો મેટ્રો ટ્રેનમાં બેસીને ગાંધીનગર પહોંચશે. ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેન મારફતે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં બંને દેશના વડાઓની દ્વિપક્ષીય બેઠક યોજાશે.
-
સુરેન્દ્રનગરની પતંગ બજારોમાં મંદીનો માહોલ
ઉત્તરાયણનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે..હોલસેલ તેમજ રિટેલ પતંગ ખરીદવા અને વેચાણ કરતા વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ ઓછી છે. GST અને કાગળના ભાવ વધતા ગત વર્ષની સરખામણીએ પતંગ અને દોરાના ભાવોમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. વેપારીઓએ પહેલાથી જ પતંગ અને દોરાનો સ્ટોક ભરીને રાખ્યો છે. આ વર્ષે PM મોદી, સરદાર પટેલ, બુલેટ ટ્રેન સહિત અવનવી પતંગો અને દોરાનો ક્રેઝ જોવા છે. ત્યારે છેલ્લા ઘડીએ ગ્રાહકો ખરીદી કરશે અને લોકોને રોજગારી મળી રહેશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે.
આજે 12 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 12,2026 7:39 AM