શિવભક્તો માટે ખુશખબર, હવે બાબા Amarnath ની ઓનલાઇન પૂજા અને હવનનો લાભ લઈ શકાશે
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ ઓનલાઇન પૂજા અને હવનની સુવિધા શરૂ કરી છે. જેમાં બુકિંગ કરાવનાર ભક્તના નામ સાથે વર્ચુઅલ પૂજા કરશે જેમાં ભક્તનું નામ અને ગોત્રનો ઉલ્લેખ કરવામાં આવશે.
કોરોનાના પગલે બાબા અમરનાથ (Amarnath ) ના દરબારમાં હાજરી આપવામાં અસમર્થ દેશ-વિદેશના લાખો શિવભક્તો અને શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે શિવભક્તો ઘરેથી જ હવે બાબા અમરનાથની પૂજા કરી શકશે અને હવનનો પણ લાભ લઇ શકશે તેમજ પ્રસાદ પણ મેળવી શકશે.જેની માટે હવે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ ઓનલાઇન(Online)પૂજા અને હવનની સુવિધા શરૂ કરી છે. જેમાં બુકિંગ કરાવનાર ભક્તના નામ સાથે વર્ચુઅલ પૂજા કરશે જેમાં ભક્તનું નામ અને ગોત્રનો ઉલ્લેખ કરવામાં આવશે. ભક્તો ઓનલાઇન દર્શન સાથે વર્ચુઅલ હવન કરી શકશે અને 48 કલાકમાં પ્રસાદ પણ ઘરે મેળવી શકશે.
બોર્ડ દ્વારા સુવિધા શરૂ કરવામાં આવી
આ અંગે બોર્ડના અધ્યક્ષ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ મંગળવારે બોર્ડ વતી ભક્તો માટે વર્ચુઅલ રીતે દર્શન, પૂજા, હવન અને ઓનલાઇન પ્રસાદ બુકિંગની સેવાઓ શરૂ કરી હતી. આ વર્ષે કોરોના રોગચાળાને કારણે યાત્રા રદ થયા બાદ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
ઓનલાઇન સેવા પ્રસાદ બુકિંગનો વિસ્તાર
આ અંગે અમરનાથ શ્રાઇન બોર્ડના સીઇઓ નીતીશ્વર કુમારે ઉપરાજ્યપાલને માહિતી આપી હતી કે આ પહેલથી ભક્તો માટે ઓનલાઇન સેવા પ્રસાદ બુકિંગનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આમાં ભક્તના નામે વર્ચુઅલ પૂજા, વર્ચુઅલ હવન અને ઓનલાઇન પ્રસાદ સેવા આપવામાં આવશે. કોઈ પણ ભક્ત શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઇટ અને સંબંધિત બોર્ડ મોબાઇલ એપ્લિકેશનથી ઓનલાઇન પૂજા, હવન અને પ્રસાદ સેવા મેળવી શકશે.
પૂજા અને હવનની પ્રક્રિયામાં પૂજારી દ્વારા વર્ચુઅલ માધ્યમ દ્વારા ભક્તના નામ અને ગોત્ર સાથેના મંત્રોનો પાઠ કરવામાં આવશે. ભક્તોને જિયો મીટ એપ્લિકેશનથી કનેક્ટ કરીને વિશેષ વર્ચુઅલ પૂજા અને દર્શન સુવિધા આપવામાં આવશે. પોસ્ટ વિભાગ દ્વારા 48 કલાકમાં ભક્તોના ઘરે પ્રસાદ પહોંચાડવામાં આવશે.
કોઈપણ સમયે લાઇવ દર્શન કરી શકે છે
એકવાર બુકિંગ થઈ ગયા પછી શ્રાઇન બોર્ડ સ્લોટ અને તારીખ તથા સમય માટે ભક્તના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઇ-મેઇલ આઈડી પર તેની જાણ કરશે. વર્ચુઅલ પૂજા અને હવન બુક કરાવેલ સ્લોટ મુજબ કરવામાં આવશે. શ્રાઇન બોર્ડ માઇજિયો ટીવી એપ્લિકેશન પર તેની ચેનલ પણ શરૂ કરી રહ્યું છે. જેમાં ભક્તો દિવસના કોઈપણ સમયે લાઇવ દર્શન કરી શકે છે. આ પોર્ટલને રાષ્ટ્રીય સૂચના કેન્દ્રની સહાયથી શ્રાઇન બોર્ડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
વર્ચુઅલ પૂજા માટે 1100 રૂપિયા
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે મંગળવારથી શિવભક્તોને ઓનલાઇન સેવાઓનો લાભ આપવાનું શરૂ કર્યું છે. બોર્ડ તરફથી વર્ચુઅલ પૂજા માટે 1100 રૂપિયા, પ્રસાદ માટે 1100 રૂપિયા (અમરનાથ જીના 5 ગ્રામ સિક્કા સાથે), પ્રસાદ બુકિંગ માટે 2100 રૂપિયા (અમરનાથજીના 10 ગ્રામ ચાંદીના સિકકા સાથે) અને વિશેષ પૂજા માટે 5100 ના દર નક્કી કરવામાં આવ્યા છે.