Jammu Kashmir: પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કહી ઉપજાવી કાઢેલી સ્ટોરી, કહ્યું- તે સમયે ભાજપની સરકાર હતી
તેમણે કહ્યું, ફિલ્મ નિર્માતાઓએ દાવો કર્યો છે કે આ ફિલ્મ વાસ્તવિકતા પર આધારિત છે. પરંતુ સત્ય એ છે કે આ ફિલ્મમાં ઘણા જુઠ્ઠાણા બતાવવામાં આવ્યા છે.
નેશનલ કોન્ફરન્સના કાર્યકારી પ્રમુખ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ (Omar Abdullah) શુક્રવારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને (The Kashmir Files) ઉપજાવી કાઢેલી ગણાવી હતી અને કહ્યું હતું કે આ ફિલ્મમાં ખોટી વાતો દર્શાવવામાં આવી છે. તેમણે કહ્યું, ફિલ્મ નિર્માતાઓએ દાવો કર્યો છે કે આ ફિલ્મ વાસ્તવિકતા પર આધારિત છે. પરંતુ સત્ય એ છે કે આ ફિલ્મમાં ઘણા જુઠ્ઠાણા બતાવવામાં આવ્યા છે. સૌથી મોટું જૂઠ એ છે કે ત્યાં નેશનલ કોન્ફરન્સની સરકાર હતી. તેમણે કહ્યું, જ્યારે 1990માં કાશ્મીરી પંડિતો વિસ્થાપિત થયા હતા. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન હતું અને કેન્દ્રમાં વીપી સિંહના નેતૃત્વમાં ભાજપ સમર્થિત સરકાર હતી. જ્યારે કાશ્મીરી પંડિતોને અહીંથી કાઢવામાં આવ્યા ત્યારે તે સમયે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા નહોતા.
Many false things have been shown in ‘The Kashmir Files’ movie. During that time Farooq Abdullah was not J&K’s CM but Governor rule was there. VP Singh’s govt was there in the country which was backed by BJP: Former Jammu and Kashmir CM Omar Abdullah pic.twitter.com/DN0dMQz5L2
— ANI (@ANI) March 18, 2022
મુસ્લિમો અને શીખોને પણ સ્થળાંતર કરવું પડ્યું: ઓમર અબ્દુલ્લા
તેમણે એમ પણ કહ્યું કે માત્ર કાશ્મીરી પંડિતોએ જ સ્થળાંતર કરવું પડ્યું અથવા પોતાનો જીવ ગુમાવવો પડ્યો નથી. તેમના સિવાય, મુસ્લિમો અને શીખોએ પણ આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં કાશ્મીરમાંથી હિજરત કરી હતી અને તેમના જીવ ગુમાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે નેશનલ કોન્ફરન્સે કાશ્મીરી પંડિતોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પોતાની મહત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ હજુ પણ ચાલુ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ રિલીઝ થયેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ‘Y’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું કે ‘Y’ શ્રેણીની સુરક્ષા હેઠળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના સાતથી આઠ કમાન્ડો અગ્નિહોત્રીની ચોવીસ કલાક સુરક્ષા કરશે.
સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અગ્નિહોત્રીને CRPFની ‘Y’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આતંકવાદને કારણે કાશ્મીર છોડીને ભાગી રહેલા કાશ્મીરી પંડિતો પર આધારિત છે. ફિલ્મના સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, ફિલ્મ નિર્માતાને દેશમાં ત્રીજા ક્રમની સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી છે.
આ પણ વાંચો : Jammu Kashmir : પુલવામામાં લશ્કરના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, પોલીસે 6 આતંકવાદીઓની કરી ધરપકડ
આ પણ વાંચો : ભારત ક્રૂડ ઓઈલની જરૂરિયાતના લગભગ 85 ટકા કરે છે આયાત, જેમાંથી મોટા ભાગની આ દેશોમાંથી થાય છે સપ્લાય