મણિપુરમાં ભારતથી આઝાદીની વાત કરનાર પર EDના દરોડા, એક ગણાવતો હતો મુખ્યપ્રધાન તો બીજો કહેવડાવતો હતો વિદેશ પ્રધાન
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મણિપુરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. ED એ "મણિપુર સ્ટેટ કાઉન્સિલ" ના નેતાઓ સાથે જોડાયેલા જગ્યાઓને નિશાન બનાવી છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળના મણિપુર રાજ્યમાં, યામ્બેમ બિરેન અને નારંગબમ સમરજિતના ઇમ્ફાલમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમના પર 2019 માં લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં મણિપુરના ભારતથી અલગ થવાની જાહેરાત કરવાનો આરોપ લાગેલો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઇમ્ફાલ સબ-ઝોનલ ટીમે, યામ્બેમ બિરેન અને નારંગબમ સમરજિતના સ્થાનો પર દરોડા પાડ્યા છે. યામ્બેમ બિરેન પોતાને “મણિપુર સ્ટેટ કાઉન્સિલના મુખ્ય પ્રધાન” કહે છે જ્યારે નારંગબમ સમરજિત પોતાને “વિદેશ અને સંરક્ષણ પ્રધાન” કહેવડાવે છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇમ્ફાલમાં કુલ પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બંને આરોપીઓ સલાઈ ગ્રુપ ઓફ કંપનીઝ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ હોવાનું કહેવાય છે.
આ કેસ 2019 માં લંડનમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ સાથે સંબંધિત છે. આરોપ છે કે, બંનેએ જાહેરમાં મણિપુરને ભારતથી સ્વતંત્ર જાહેર કર્યું હતું. એજન્સીઓનું કહેવું છે કે આરોપીઓ જે પ્રકારે લંડનમાં કાર્યવાહી કરી તે, ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો હેઠળ આવે છે, જેમાં રાજ્ય સામે યુદ્ધ છેડવું, રાજદ્રોહ અને વિવિધ સમુદાયો વચ્ચે નફરત અને દુશ્મનાવટને પેદા કરવામાં પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
આ આધારે, NIA અને CBI એ બંને સામે પહેલાથી જ કેસ નોંધ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ 30 મે, 2003 ના રોજ “કડંગબંદ સ્વજલધારા અમલીકરણ સમિતિ” ની રચના કરી હતી, જેનું નામ પાછળથી 10 ઓગસ્ટ, 2008 ના રોજ “સ્માર્ટ સોસાયટી” રાખવામાં આવ્યું હતું.
લોકો પાસેથી પૈસા એકત્રિત કર્યા
વધુમાં, તેઓએ SALAI FINANCIAL SERVICE (SAFFINS) નામની બીજી એક એન્ટિટીની રચના કરી, જેની રજિસ્ટર્ડ ઓફિસ ઇમ્ફાલમાં હતી. આ એન્ટિટીને બોમ્બે મની લેન્ડર્સ એક્ટ, 1946 (જે મણિપુરમાં લાગુ છે) હેઠળ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. EDનો આરોપ છે કે, સલાઈ ગ્રુપ કંપનીઓ દ્વારા, આરોપીઓએ સામાન્ય લોકો પાસેથી કોઈપણ કાનૂની પરવાનગી વિના રોકડ એકઠી કરી હતી અને તેમને અતિશય વ્યાજ દરની લાલચ આપી હતી. સ્માર્ટ સોસાયટી ગેરકાયદેસર રીતે NBFC તરીકે કાર્યરત હતી, “સભ્યપદ ફી” તરીકે ફક્ત રોકડ થાપણો સ્વીકારતી હતી અને રોકડમાં વ્યાજ ચૂકવતી હતી.
તપાસ એજન્સીઓ અનુસાર, વિવિધ યોજનાઓ દ્વારા સામાન્ય રોકાણકારો પાસેથી કુલ ₹57.36 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. આ રકમ બાદમાં ડિરેક્ટરો, સલાઈ ગ્રુપ કંપનીઓ અને સ્માર્ટ સોસાયટીના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
કેટલા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા ?
ED જણાવે છે કે, આ ₹57.36 કરોડને PMLA, 2002 હેઠળ ગુનાની રકમ ગણવામાં આવે છે. આ પૈસાનો ઉપયોગ જમીન અને મિલકતો ખરીદવા, હોમ લોન, વાહન લોન, ટર્મ લોન અને અન્ય ખર્ચાઓ ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો. એજન્સીનો આરોપ છે કે આ પૈસાનો ઉપયોગ ભારત સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિઓ હાથ ધરવા, રાજદ્રોહ અને સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડવા માટે પણ કરવામાં આવ્યો હતો. હાલમાં તપાસ ચાલી રહી છે અને શોધ દરમિયાન, સ્થાવર મિલકતોમાં રોકાણ અને અન્ય ગુનાહિત સામગ્રી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે.