પહેલા બંધ, હડતાળ, બોમ્બ ધડાકાના સમાચાર આવતા હતા, હવે એ બધાની સાથે સાથે જમ્મુ-કાશ્મીરને પરિવારવાદમાંથી મુક્તિ મળી
જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધતા કહ્યુ કે, એક સમયે જમ્મુ કાશ્મીર એટલા માટે ચર્ચામાં રહેતુ હતું કે અહીં, બંદુકની અણીએ બંધ પળાતો હતો, બોમ્બ ઘડાકા થતા હતા. અપહરણ કરાતા હતા. નિર્દોષોની હત્યા કરાતી હતી. હવે આ બધાની સાથે સાથે જમ્મુ કાશ્મીરને પરિવારવાદમાંથી પણ મુક્તિ મળી છે. તેમણે એમ પણ કહ્યું કે, બહુ ઝડપથી લોકો રેલવે દ્વારા કાશ્મીર પહોચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે જમ્મુ કાશ્મીરને રૂ. 32,000 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધન દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પરિવારવાદ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાં પરિવારવાદને કારણે અહીંના હક્કદાર યુવાનોએ બહુ મોટુ નુકસાન ભોગવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીર બદલાઈ રહ્યું છે. ચારે તરફ વિકાસના કામો દેખાઈ રહ્યા છે અને હવે આપણને પરિવારવાદમાંથી પણ આઝાદી મળી રહી છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આજે આપણે નવા જમ્મુ-કાશ્મીરનું નિર્માણ થતું જોઈ રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષોમાં, દેશમાં 15 નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી હતી, તેમાંથી એક જમ્મુમાં સેવા માટે તૈયાર છે.
પીએમ મોદીએ કહ્યું કે અહીં વિકાસ આડે સૌથી મોટી દિવાલ કલમ 370 હતી, અમારી સરકારે આ દિવાલને તોડી પાડી છે. 370ને કારણે જમ્મુ કાશ્મીરને પરિવારવાદમાંથી પણ મુક્તિ મળી છે. અત્યાર સુધી માત્ર એમના પરિવારની જ ચિંતા કરાતી હતી. હવે 370 દૂર થતા જમ્મુ કાશ્મીરના યુવાનોની ચિંતા કરાઈ રહી છે.
એક સમય હતો કે, કાશ્મીરમાં બોમ્બ ધડાકા, બંદુક, અપહરણ, બંધ અને હડતાળના કારણે જમ્મુ કાશ્મીર કાયમ ચર્ચામાં રહેતું હતું. પરંતુ હવે તો જમ્મુ કાશ્મીરમાં રાત્રે પણ ઘણી પ્રવૃત્તિ થાય છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે એક ટ્રેન શ્રીનગરથી સાંગલદાન અને સંગલદાનથી બારામુલ્લા માટે રવાના થઈ છે. એ દિવસ દૂર નથી જ્યારે દેશવાસીઓ ટ્રેન દ્વારા કાશ્મીર પહોંચશે. આજે કાશ્મીરને તેની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન મળી છે. હવે જમ્મુ-કાશ્મીરને બે વંદે ભારત ટ્રેનની સુવિધા આપવામાં આવી છે.
પીએમે કહ્યું કે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેના નિર્માણ બાદ જમ્મુ-કાશ્મીર પહોંચવું વધુ સરળ બની જશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની સુંદરતા, પરંપરા અને આતિથ્ય માટે આખી દુનિયા અહીં આવવા આતુર છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.
ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં બે કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ગયા વર્ષે મા વૈષ્ણોદેવીના દર્શને આવતા ભક્તોની સંખ્યા છેલ્લા એક દાયકામાં સૌથી વધુ નોંધાઈ હતી. કાશ્મીરની ખીણમાં આવનારા લોકો સ્વિત્ઝરલેન્ડ જવાનું ભૂલી જશે.
વડાપ્રધાન મોદીએ અહીં જે પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા છે તેમાં શિક્ષણ, આરોગ્ય, રેલ, રોડ, પેટ્રોલિયમ, ઉડ્ડયન વગેરે માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. જેમાં 3 નવી IIT, 3 નવા IIM અને એક AIIMSનો સમાવેશ થાય છે. વડાપ્રધાને આ દરમિયાન અનેક રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું છે. આ રેલવે પ્રોજેક્ટ્સમાં બનિહાલ-ખારી-સમ્બર-સંગલદાન જે લગભગ 48 કિમી અને બારામુલ્લા-શ્રીનગર-બનિહાલ-સંગલદાન સેક્શન કે જે લગભગ 185 કિમીનો સમાવેશ થાય છે.