Breaking News: જમ્મુકાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આંતકી હુમલામાં 27 લોકોના મોતની આશંકા, મૃતકોમાં 2 વિદેશી સામેલ
જમ્મુકાશ્મીરના પહલગામના બેસરનમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. જેમા ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓ પર આતંકીઓએ ફાયરીંગ કર્યુ હતુ. 6 થી 7 આતંકીઓએ 2-2 ની ટૂકડી બનાવી પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રો જદ્વારા મળતી વિગતો અનુસાર 27 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જો કે મોતના આંકડા અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
જમ્મુકાશ્મીરના પહલગામમાં મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેમા 27 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જણાવાઈ રહ્યુ છે. ઘટના બાદ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને હાઈલેવલ મીટીંગ મળી હતી. પીએમ મોદીએ પણ હુમલાને લઈને અમિત શાહ સાથે વાત કરી અને તેમને તાત્કાલિક ઘટનાસ્થળે જવા માટેના નિર્દેશ આપ્યા હતા. પીએમ મોદીએ અમિત શાહને જરૂરી તમામ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. હાલ અમિત શાહ શ્રીનગર જવા માટે નીકળી ગયા છે.
પ્રવાસીઓને નામ પૂછીને આતંકીઓએ વરસાવી ગોળીઓ
પ્રાપ્ત વિગતો અનુસાર પહલગામના બેસરનમાં આતંકીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા હતા અને તેમના નામ પૂછીને તેમના પર ગોળીઓ વરસાવી હતી. આ હુમલામાં અનેક પ્રવાસીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
25 કોફીન તૈયાર કરાયા હોવાની માહિતી- સૂત્ર
આધારભૂત સૂત્રો દ્વારા હાલ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર 25 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. કારણ કે 25 જેટલા કોફીન ( ડેડબોડી રાખવા માટેની પેટી-તાબૂત) તૈયાર રાખવામાં આવ્યા છે. આ હુમલા બાદ પ્રવાસીઓ એક્દમ ડરી ગયા છે અને તેમનામાં અત્યંત ભયનો માહોલ છે. હાલ CRPF અને સેનાએ મોરચો સંભાળ્યો છે. તમામ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
PM મોદીનો આતંકીઓને સખ્ત સંદેશ, એકપણને બક્ષવામાં નહીં આવે
PM મોદી હાલ સાઉદી અરબની યાત્રા પર છે. પ્રવાસીઓ પર આંતકી હુમલાની જાણ થતા જ તાત્કાલિક તેમણે ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને જાણકારી મેળવી હતી. આ તકે તેમણે જરૂરી તમામ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ તાત્કાલિક અમિત શાહને ઘટનાસ્થળની મુલાકાત લઈ મોરચો સંભાળવાના નિર્દેશ આપ્યા. સાથોસાથ પીએમ મોદીએ ટ્વીટ કરીને આ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં નિંદા કરી છે. પીએમ મોદીએ કહ્યુ “જે લોકોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ અમાનવીય અને રાક્ષસી હુમલા પાછળ જે કોઈપણ હશે તેમનો ન્યાય કરાશે. તેમાથી એકપણને બક્ષવામાં નહીં આવે. આતંકવાદ સામેની અમાર લડાઈની પ્રતિબદ્ધતા અતૂટ છે અને તે હજુ પણ મજબૂત થશે.”
I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.
Those behind this heinous act will be brought…
— Narendra Modi (@narendramodi) April 22, 2025
TRF એ લીધી આતંકી હુમલાની જવાબદારી
ધ રેજિસ્ટેંસ ફ્રંટ એટલે કે TRF એ પહલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંક હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોના ઈશારે કામ કરી રહેલુ TRF છેલ્લા કેટલાક વર્ષથી જમ્મુકાશ્મીરમાં સતત હુમલા કરી રહ્યુ છે.
