75 વર્ષ પછી ભારતની ધરતી પર સંભળાશે ચિત્તાની ત્રાડ, PM Modiના જન્મદિવસે થશે આ ઐતિહાસિક કામ
Cheetah reintroduction project : ભારતમાં 75 વર્ષ બાદ ચિત્તા ફરી આવી રહ્યા છે. આપણા દેશમાં વર્ષ 1948થી ચિત્તા દેખાયા જ નથી. છેલ્લીવાર ચિત્તા વર્ષ 1948માં છત્તીસગઢમાં જોવા મળ્યા હતા.
PM Modi Birthday : આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન મોદીના જન્મદિવસે એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. ભારતની ધરતી પર લગભગ 75 વર્ષ બાદ ચિત્તાની ત્રાડ સંભળાશે. મધ્યપ્રદેશનું કૂનો નેશનલ પાર્ક (Kuno National Park) આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે. જણાવી દઈએ કે ભારતમાં 75 વર્ષ બાદ ચિત્તા ફરી આવી રહ્યા છે. આપણા દેશમાં વર્ષ 1948થી ચિત્તા દેખાયા જ નથી. છેલ્લીવાર ચિત્તા વર્ષ 1948માં છત્તીસગઢમાં જોવા મળ્યા હતા. 1952થી ચિત્તાને ભારતમાં લુપ્ત પ્રાણી માનવામાં આવે છે. જાણકારોનું માનવું છે, ચિત્તા દેશમાં શિકાર, રહેવા ખાવાની સમસ્યાઓના કારણે વિલુપ્ત થતા ગયા. જો કે મોટાભાગના ચિત્તા રાજા-મહારાજ અને બ્રિટિશ અધિકારીઓના શિકારના શોખની ભેટ પણ ચઢી ગયા હતા. વડાપ્રધાન મોદી 17 સપ્ટેમ્બરે પાંજરુ ખોલીને ચિત્તાનું ભારતની ધરતી પર ફરી સ્વાગત કરશે. ચાલો જાણીએ આ ઐતિહાસિક ઘટનાની તમામ માહિતી વિગતવાર.
ચિત્તાઓ થઈ રહ્યા છે લુપ્ત
આ દેશમાંથી ભારત લાવવામાં આવશે ચિત્તા
દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી 8 ચિત્તા ભારતમાં આવી રહ્યા છે. જો આગામી દિવસોમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિની મંજૂરી હશે તો 12 ચિત્તા આવી શકે છે. પણ 8 ચિત્તા ભારતમાં આવવાનું નક્કી છે. જેમાં 3 માદા ચિત્તા અને 5 નર ચિત્તા હશે. તેમને અલગ અલગ પિંજરામાં રાખવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાથી પ્લેનમાં આવશે ચિત્તા
16 સપ્ટેમ્બરે આફ્રિકાથી ચિત્તાનું પ્લેન રવાના થશે. આ ચિત્તાનું પ્લેન સીધુ જયપુર લેન્ડ થશે, જ્યાંથી એરફોર્સના હેલિકોપ્ટરથી તેમને સીધા કૂનોના નેશનલ પાર્કની વચ્ચે જ ઉતારવામાં આવશે. વડાપ્રધાનના આવવાના 4 કલાક પહેલાં જ ચિત્તા કૂનો પહોંચશે. એટલે કે17 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યે કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓનું આગમન થશે. આ ચિત્તાઓના હેલિકોપ્ટર માટે હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે.
કેવી રીતે ખૂલ્લા મુકાશે ચિત્તા ?
કૂનો નેશનલ પાર્કમાં 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યુ છે. સ્ટેજ પણ વડાપ્રધાન, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને વનમંત્રીઓ હાજર રહેશે. આ સ્ટેજની નીચે 6 ફૂટના પિંજરામાં ચિત્તા હશે. તે દિવસે બપોરે 12.05 વાગ્યે વડાપ્રધાન મોદી લિવર હેન્ડલ ફેરવીને ચિત્તાનું પાંજરુ ખોલશે. હેન્ડ ફેરવતા જ પિંજરાના સ્લાઈડિંગ ગેટ ખોલવામાં આવશે અને ચિત્તા બહાર આવશે.
એક મહિનો ક્વોરન્ટીનમાં રહેશે ચિત્તા
તેમના માટે 6 ક્વોરન્ટીન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં તેઓ 1 મહિના માટે ક્વોરન્ટીન રહેશે. જંગલી પ્રાણીઓના ડોક્ટર્સ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે. પછીથી તેમને પાર્કમાં છોડવામાં આવશે.
જનતા કઈ તારીખથી જોઈ શકશે ચિત્તા ?
આ ચિત્તાઓના આગમન માટે કૂનો નેશનલ પાર્ક એકદમ તૈયાર છે. કવોરન્ટીન પછી તેમને નવેમ્બરના બીજા-ત્રીજા સપ્તાહમાં 500 હેક્ટરવાળા એન્કલોઝરમાં શિફટ કરવામાં આવશે. તેમના વર્તન અને સ્વાસ્થ્યને જોઈને જ તેમને ડિસેમ્બરમાં ખુલ્લા પાર્કમાં છોડવામાં આવશે. તેથી ડિસેમ્બરમાં સામાન્ય જનતા કૂનો નેશનલ પાર્કમાં જંગલ સફારી દરમિયાના ચિત્તાને નજીકથી જોઈ શકશે.