Breaking News : મુંબઈમાં અંધેરીની એક બિલ્ડિંગમાં ભીષણ આગ, જીવ બચાવવા લોકો કુદયા
મુંબઈના અંધેરી પશ્ચિમના ગાવદેવી ડોંગર SRA બિલ્ડિંગમાં શુક્રવારે ભીષણ આગ લાગી. ઘટનાથી ભારે ગભરાટ ફેલાયો, અનેક રહેવાસીઓ ફસાયા. ફાયર બ્રિગેડ અને પોલીસની ઝડપી કામગીરીને કારણે તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા.

મુંબઈના અંધેરી પશ્ચિમના ગાવદેવી ડોંગર વિસ્તારમાં આવેલી SRA બિલ્ડિંગમાં શુક્રવારે ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બિલ્ડિંગમાં રહેતા લોકો ગભરાઈ ગયા અને મદદ માટે બૂમાબૂમ કરવા લાગ્યા. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી કૂદી પડવાનો પ્રયાસ કર્યો હતો.
આ આગ અંધેરી પશ્ચિમના ગાવદેવી ડોંગર વિસ્તારમાં આવેલી યુનાઇટેડ સોસાયટીની SRA બિલ્ડિંગ નંબર-2માં લાગી હતી. બિલ્ડિંગ નૂર મસ્જિદ અને ખોજા જમાતખાના નજીક આવેલી હોવાથી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. આગ લાગ્યા બાદ સમગ્ર બિલ્ડિંગમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
બચાવ ટીમોએ સમયસર કાર્યવાહી કરી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ધુમાડો અને આગના કારણે ઘણા લોકો બિલ્ડિંગની અંદર ફસાઈ ગયા હતા. કેટલાક રહેવાસીઓએ ભયના કારણે ઉપરના માળેથી કૂદી પડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બચાવ ટીમોએ સમયસર કાર્યવાહી કરીને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડની અનેક ટીમો, ડી.એન. નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને અન્ય બચાવ એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી હાથ ધરી હતી, જ્યારે પોલીસ અને અન્ય વિભાગોએ સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવી હતી.
Mumbai Fire Alert
A severe fire broke out at SRA Building No. 2 in Gaodevi Dongar, Andheri West (United Society, near Noor Masjid & Khoja Jamatkhana).Thick smoke & flames engulfed the building. Residents trapped, screaming for help — some jumped from the structure. Fire… pic.twitter.com/bVp2seXFzj
— Siraj Noorani (@sirajnoorani) July 3, 2026
આ દરમિયાન અદાણી ઇલેક્ટ્રિસિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન કોઈ જોખમ ન સર્જાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારનો વીજ પુરવઠો સુરક્ષિત રીતે બંધ કરવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીના કારણે આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સંબંધિત વિભાગોએ ઘટનાની તપાસ શરૂ કરી છે. સાથે જ બિલ્ડિંગને થયેલા નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ આગનું કારણ અને નુકસાન અંગેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
મુંબઈમાં દુઃખદ અકસ્માત, સ્કૂલ બસ પર ઝાડ પડતાં 10 વર્ષના વિદ્યાર્થીનું મોત, 4 બાળકો ઘાયલ
