અમદાવાદના ધોળકા, વિરમગામ અને ધંધુકામાં ભારે વરસાદ વચ્ચે 430થી વધુ લોકોનું સ્થળાંતર, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોળકા તાલુકામાં એક આર્મી યુનિટ અને એક NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે. બાવળા નજીક રાજકોટ હાઇવે પર આવેલી ગેલેક્સી અને ઝાયડસ ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાતા ફસાયેલા શ્રમિકોના રેસ્ક્યુ માટે એક આર્મી અને એક SDRF ટીમ કામગીરી કરી રહી છે.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા અતિભારે વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં 600 મી.મી.થી વધુ વરસાદ નોંધાતા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના સંકલિત પ્રયાસોથી 430થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ઉપરાંત પાણીમાં ફસાયેલા લગભગ 40 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમાં ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા 6 લોકોને SDRFની ટીમે સલામત બહાર કાઢ્યા હતા.
40 ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે ખસેડાઈ
સ્થળાંતરિત કરાયેલા લોકોમાં 40 ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતાં ચારથી પાંચ મહિલાઓની સફળ પ્રસૂતિ થઈ છે અને માતા તેમજ નવજાત બંને સ્વસ્થ હોવાનું વહીવટી તંત્રે જણાવ્યું છે.
બે આર્મી, NDRF અને SDRFની ટીમો મેદાનમાં
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોળકા તાલુકામાં એક આર્મી યુનિટ અને એક NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે. બાવળા નજીક રાજકોટ હાઇવે પર આવેલી ગેલેક્સી અને ઝાયડસ ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાતા ફસાયેલા શ્રમિકોના રેસ્ક્યુ માટે એક આર્મી અને એક SDRF ટીમ કામગીરી કરી રહી છે. વિરમગામમાં પણ SDRFની ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે.
હાલ જિલ્લામાં કુલ બે આર્મી, એક NDRF અને બે SDRF ટીમો વિવિધ સ્થળોએ રાહત અને બચાવ કામગીરીમાં કાર્યરત છે.
11 ગ્રામ્ય માર્ગો હજુ પણ બંધ
જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર હાલ ગ્રામ્ય વિસ્તારમાં 11 રસ્તાઓ બંધ છે, જેમાં મોટાભાગના પંચાયત વિસ્તારના માર્ગોનો સમાવેશ થાય છે. જોકે રાજ્ય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત શરૂ થઈ ગયો છે.
રેડ એલર્ટ યથાવત, નાગરિકોને સાવચેત રહેવાની અપીલ
અમદાવાદ જિલ્લામાં આજે પણ રેડ એલર્ટ યથાવત છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નાગરિકોને અનિવાર્ય કામ સિવાય ઘર બહાર ન નીકળવાની તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે ઉમેર્યું કે વરસાદનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સફાઈ અને સહાય વિતરણની કામગીરી પણ તાત્કાલિક શરૂ કરવામાં આવશે.
