રત્નાગિરી જિલ્લા સહિત કોંકણના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. રત્નાગીરીના માંડવીના દરિયા કિનારે મોજા ઉછળી રહ્યાં છે. છેલ્લા 14 કલાકથી સ્ટેશન પર ટ્રેનો ઉભી છે. ટનલમાં માટી ધસી આવતા, રેલવે સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને વરસાદને કારણે પર્વત પરથી ચિકણી માટી પાટા પર આવી ગઈ છે. જેના કારણે મુસાફરોને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રાત વિતાવવી પડી હતી. જો કે છેલ્લા 14 કલાકથી પણ વધુ સમય ટ્રેન એક જ સ્ટેશને અટવાઈ જતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.
દરમિયાન કોંકણ સહિત રાજ્યના ઘણા ભાગોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સતારા, રત્નાગીરી જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યના અન્ય ભાગોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પુણે, નાગપુર, રાયગઢ, ગઢચિરોલી વિસ્તારોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં 18મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર ઘાટમથ્થમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વિદર્ભને પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ કારણે હવામાન વિભાગે ઘાટ પર્યટન માટે જતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે.
કોંકણના રત્નાગિરી જિલ્લામાં દિવાનખાવતી ટનલ પાસે શનિવારે પર્વત પરથી ભૂસ્ખલન થયું હતું. જે બાદ છેલ્લા 16 કલાકથી ટ્રેન સેવાઓ ઠ્પ્પ થઈ ગઈ છે. દિવાનખાવટી ટનલ પાસે ટ્રેક પર પડેલ માટીને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. કોંકણ રેલવે સેવા પૂર્વવત થવામાં હજુ પણ બે થી ત્રણ કલાકનો સમય લાગશે તેમ કોકણ રેલવેના સીએમડીએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે. વરસાદના કારણે રેલવે ટ્રેક હજુ પણ ભારે કાદવ-કીચડથી ઢંકાયેલો છે. 100 જેટલા કામદારોની મદદથી રેલવે ટ્રેક પરની માટી અને કાદવ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ખેડ રેલવે સ્ટેશન પર ગુજરાત આવતી કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી છે.
Shri Santosh Kumar Jha, CMD /KRCL, shares insights on the ongoing restoration of clearing soil slippage between Diwankhavati – Vinhere section, highlighting various initiatives taken by Konkan Railway for early restoration. @RailMinIndia pic.twitter.com/p2PkC6HtzN
— Konkan Railway (@KonkanRailway) July 15, 2024
કોંકણ રેલવે બંધ થઈ જતાં મુસાફરોને પરત ફરવા માટે એસટીની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્ટેશનો પરથી ફસાયેલા મુસાફરોને એસટી બસ દ્વારા મુંબઈ મોકલવામાં આવી રહ્યાં છે. રત્નાગીરી રેલવે સ્ટેશન ઉપર સેંકડો મુસાફરો એસટી બસની રાહ જોઈ રહ્યા છે. રત્નાગીરી સ્ટેશનથી 25 બસો મુંબઈ તરફ આવશે. આ તમામ મુસાફરોને સીધા મુંબઈ રેલવે સ્ટેશને ઉતારવામાં આવશે.
કોંકણ રેલવે દ્વારા સાત ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. તેમાં મેંગલુરુ એક્સપ્રેસ, કોંકણ કન્યા એક્સપ્રેસ, તુતારી એક્સપ્રેસ, જનશતાબ્દી એક્સપ્રેસ, દિવા સાવંતવાડી એક્સપ્રેસ, સાવંતવાડી મડગાંવ પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. તેમજ પાંચ ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. બીજી તરફ રત્નાગીરી શહેરમાં માંડવી કિનારે મોજાઓ ઉછળ્યા છે. લેન્થેનમનો લાલ રંગ કિનારા પર દેખાય છે. ચાર મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ કારણે વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજા જોવા ન જવાની અપીલ કરવામાં આવી છે.
ચિપલુનના ખેરડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે અનેક ઈમારતોના પાર્કિંગમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે. કોંકણમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ટ્રેન મુસાફરો પણ ચિપલુન, ખેડ, રત્નાગિરી રેલવે સ્ટેશન પર અટવાઈ પડ્યા છે. માહિતી મળતાની સાથે જ રાજ્યના ઉદ્યોગ મંત્રી અને રાયગઢ-રત્નાગીરીના પાલક મંત્રી ઉદય સામંત રેલ્વે સ્ટેશન પર ગયા અને મુસાફરોને મળ્યા. આ મુસાફરો માટે ભોજન અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જો કે કેટલાય મુસાફરોએ સોશિયલ મીડિયા થકી તેમને રેલવે તંત્ર દ્વારા કરાયેલ સુલભ વ્યવસ્થા પહોચી અથવા તો મળી ના હોવાનો દાવો કર્યો છે.