માણસાઈ મરી પરવારી ? મહારાષ્ટ્રમાં દિવ્યાંગ મહિલાની માટીના વાસણોની દુકાન પર ફરી વળ્યું બુલડોઝર, હચમચાવી દેશે આ વીડિયો
છત્રપતિ સંભાજીનગરમાં અતિક્રમણ હટાવવાના નામે મ્યુનિસિપલ કોર્પોરેશને એક દિવ્યાંગ મહિલાની આખી દુકાન તબાહ કરી નાખી. ભીની આંખે વાસણો વીણતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિક્રમણ હટાવવાની ઝુંબેશ દરમિયાન એક દિવ્યાંગ મહિલાની માટીના વાસણોની નાનકડી દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોણ છે અર્ચના પારખે?
આ દુકાન અર્ચના પારખે નામની મહિલા ચલાવે છે, જેઓ બંને હાથે દિવ્યાંગ છે અને બરાબર બોલી કે જોઈ શકતા નથી. તેઓ પોતાના પરિવાર સાથે મળીને મહિનાઓની મહેનતથી માટીના વાસણો બનાવે છે અને તેને રસ્તા કિનારે વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આખું કુટુંબ આ એકમાત્ર કમાણી પર નિર્ભર હતું.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેસીબી બુલડોઝર નિર્દયતાથી માટીના વાસણોને કચડી રહ્યું છે. દિવ્યાંગ અર્ચના ગભરાયેલી હાલતમાં પોતાના તૂટેલા વાસણોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના ચહેરા પરની લાચારી અને આંખોમાં રહેલા આંસુ કોઈ પણ પથ્થર દિલના માણસને હચમચાવી દે તેવા છે. જે વાસણો બનાવવામાં મહિનાઓ લાગ્યા હતા, તેને અધિકારીઓએ મિનિટોમાં માટીમાં ફેરવી દીધા.
देखिये शायद पलकें नम हो जायें। महाराष्ट्र सरकार का अतिक्रमण विरोधी बुलडोज़र विकलांग महिला ‘अर्चना पारखे’ की मिट्टी के बर्तन की दूकान पर चल रहा है। अर्चना सड़क किनारे मिट्टी के बर्तन बेंचकर अपना घर चलाती हैं, धन्नासेठों को हज़ारों एकड़ ज़मीन कौड़ियों के भाव देने वाली सरकारों को इन… pic.twitter.com/Ddw4skp3cZ
— Imran Pratapgarhi (@ShayarImran) May 10, 2026
રાજકીય અને સામાજિક પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ આ વીડિયો શેર કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે, “જે સરકારો મોટા ઉદ્યોગપતિઓને હજારો એકર જમીન મફતના ભાવે આપે છે, તેમને ગરીબો પ્રત્યે આટલી નફરત કેમ છે? જો વિકાસ આટલો ક્રૂર હોય તો તેના પર ફિટકાર છે.” તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ટેગ કરીને દોષિતો સામે પગલાં લેવા અને મહિલાને સરકારી નોકરી આપવા માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર ઉઠ્યો રોષ
સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના જોઈને ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “પ્રાણીઓમાં પણ દયા હોય છે, તમે તો માણસ છો! ગરીબ મહિલાને થોડો સમય આપવો જોઈતો હતો.” ઘણા સામાજિક કાર્યકરોએ અર્ચના પારખે માટે વળતર અને પુનઃવસનની માંગ ઉઠાવી છે.
આ ઘટનાએ ફરી એકવાર વહીવટી તંત્રની કાર્યશૈલી અને માનવીય સંવેદનાઓ પર સવાલો ઉભા કર્યા છે. અતિક્રમણ હટાવતી વખતે શું તંત્રએ આટલી હદે નિર્દય બનવું જોઈએ કે કોઈની જીવવાની આશા જ છીનવાઈ જાય?
