દેશમુખની વધી મુશ્કેલી : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય સચિવે ED સમક્ષ અનિલ દેશમુખને લઈને કર્યો મોટો ખુલાસો
ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેએ ED સમક્ષ કબૂલાત કરી છે કે, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ તેમને અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ માટે અનધિકૃત યાદીઓ મોકલતા હતા.
Maharashtra : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખની( Anil Deshmukh) મુસીબતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગંભીર આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. જો કે NCP ના વડા શરદ પવારે (Sharad Pawar) દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમના આ આરોપોને નકારી કાઢ્યા હતા. સાથે જ મુંબઈમાં પણ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે તેને પાયા વિહોણા આરોપ ગણાવ્યા હતા.
ભૂતપૂર્વ મુખ્ય સચિવે કરી આ કબૂલાત
ત્યારે હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી સામે આ વાતની કબૂલાત કરી છે. તેણે કબૂલ્યું છે કે અનિલ દેશમુખ અધિકારીઓની બદલી-પોસ્ટિંગ માટે અનધિકૃત યાદીઓ મોકલાવતા હતા.
દેશમુખ રાજ્યના ગૃહમંત્રી હોવાથી તેઓ તેમના પર સહી કરતા હતા. તેમણે કહ્યુ કે મુખ્ય સચિવ હોવાને કારણે તેઓ પદ અને કદમાં અનિલ દેશમુખથી જુનિયર હતા. તેથી સિનિયરના આદેશને સમજીને તેમના દ્વારા મોકલવામાં આવેલી યાદીમાં સહી કરી લેતા હતા. તેણે એ પણ જણાવ્યું કે અનિલ દેશમુખ આવા કાગળો તેના અંગત સચિવ સંજીવ પાલાંડેને મોકલતા હતા. ઉલ્લેખનીય છે કે, સીતારામ કુંટે ગયા વર્ષે નવેમ્બરમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. આ પછી તેમને મુખ્ય પ્રધાન સચિવાલયમાં મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પરમબીર સિંહે ટ્રાન્સફર-પોસ્ટિંગમાં દેશમુખની દખલગીરીનો પણ આક્ષેપ કર્યો
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પણ અનિલ દેશમુખ પર ટ્રાન્સફર પોસ્ટિંગમાં દખલ કરવાનો આરોપ મૂક્યો હતો. પરમબીર સિંહે EDને માહિતી આપી હતી કે તેણે જુલાઈ 2020માં મુંબઈના 10 પોલીસ અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો.
તમને જણાવવુ રહ્યુ કે, થોડા દિવસો પહેલા 100 કરોડની રિકવરી કેસમાં ED દ્વારા રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. 7 ડિસેમ્બર 2021ના રોજ ED દ્વારા સીતારામ કુંટેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સીતારામ કુંટેએ આ પૂછપરછમાં કબૂલાત કરી છે કે દેશમુખ તેને પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગની અનધિકૃત યાદીઓ મોકલવતા હતા.ત્યારે આ ખુલાસાથી હાલ અનિલ દેશમુખની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Maharashtra : ગાંધીધામ પુરી એક્સપ્રેસમાં લાગેલી આગ કાબૂમાં, રેલ્વે મંત્રાલયે કહ્યું કે, તમામ મુસાફરો સુરક્ષિત