સનાતન ભારતનો ઈતિહાસ… હડપ્પાથી પણ લાખો વર્ષ જૂની આપણી સંસ્કૃતિનું રહસ્ય- વાંચો
જો કે ઈતિહાસના પુસ્તકોમાં જે છપાયુ છે તે તો આપણને જણાવે છે કે મનુષ્યો આફ્રિકાથી ભારત આવ્યા હતા, જો કે હડપ્પા, મોહેં-જો- દડો કરતા પણ જૂની નર્મદા ઘાટીમાંથી મળી આવેલ 'નર્મદા હ્યુમન'નો અશ્મિ (ફોસિલ) લગભગ 5 લાખ વર્ષ જૂનો હોવાનું મનાય છે. જ સાબિત કરે છે કે હડપ્પા અને મોહેં-જો-દડો કરતા પણ લાખઓ વર્ષ પહેલા અહીં માનવ વસવાટ હતો.

ભારતીય સંસ્કૃતિ કેટલા વર્ષ જુની છે. હજારો વર્ષ કે પછી લાખો વર્ષ… જો આવો સવાલ કોઈ પૂછે તો તેનો સચોટ જવાબ ન આપી શકાય કારણે કે ભારતનો ઈતિહસ માત્ર તારીખો અને યુદ્ધો પર આધારીત નથી. પરંતુ માનવ સંસ્કૃતિના ઉત્ક્રાંતિની એક જીવંત ગાથા છે. એટલે એમ કહી શકાય કે ભારતનો ઈતિહાસ આદિ માનવથી આધુનિક રાષ્ટ સુધી પાંચ લાખ વર્ષ જુનો ગણી શકાય. જો કે ઈતિહાસના પુસ્તકોમાં જે છપાયુ છે તે તો આપણને જણાવે છે કે મનુષ્યો આફ્રિકાથી ભારત આવ્યા હતા, જો કે હડપ્પા, મોહેં-જો- દડો કરતા પણ જૂની નર્મદા ઘાટીમાંથી મળી આવેલ ‘નર્મદા હ્યુમન’નો અશ્મિ (ફોસિલ) લગભગ 5 લાખ વર્ષ જૂનો હોવાનું મનાય છે. જ સાબિત કરે છે કે હડપ્પા અને મોહેં-જો-દડો કરતા પણ લાખઓ વર્ષ પહેલા અહીં માનવ વસવાટ હતો.
ઈતિહાસને સમજવા માટે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે
- પ્રી-હિસ્ટોરિક એટલે જેનો કોઈ લેખિત પુરાવો નથી
- પ્રોટો- હિસ્ટ્રી એટલે જેના લેખિત પુરાવા મળ્યા છે પરંતુ તેને ઉકેલી શકાયા નથી.
- હિસ્ટોરિકલ પિરીયડ એટલે જેના તમામ પુરાવાઓ ઉપલબ્ધ છે
પ્રાગ ઐતિહાસિક કાળ અને પાષાણ યુગની શરૂઆત
ભારતમાં પાષાણ યુગની શરૂઆત લગભગ 5 લાખ વર્ષ પહેલાં થઈ હતી. આ સમયનો માનવી ‘હોમો ઇરેક્ટસ’ પ્રજાતિનો હતો, જેણે સૌપ્રથમ ટટ્ટાર ચાલવાનું શીખ્યું હતું. મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓ આનું જીવંત ઉદાહરણ છે, જ્યાં એક લાખ વર્ષ જૂની પેઇન્ટિંગ્સ આજે પણ જોવા મળે છે, જે તે સમયના માનવીના રહેણીકરણીની ઝાંખી કરાવે છે. પાષાણ યુગના અંતિમ તબક્કા એટલે કે નવપાષાણ કાળમાં મેહરગઢ અને ઉત્તર પ્રદેશના મહાદહા જેવી જગ્યાએ ખેતી અને સ્થાયી વસવાટના પુરાવાઓ મળે છે.
કાંસ્ય યુગ અને હડપ્પીય સભ્યતાનું ગૌરવ
જેમ જેમ માનવીએ પથ્થરો પરની નિર્ભરતા ઓછી કરી, તેમ ધાતુનો ઉપયોગ શરૂ થયો. તાંબા અને રાંગાને મિશ્ર કરીને કાંસ્ય બનાવવાની કળા પણ સૌપ્રથમ ભારતીય માનવીએ હસ્તગત કરી. આ સાથે જ વિશ્વની સૌથી પ્રગતિશીલ અને શહેરી સભ્યતા એવી હડપ્પીય સભ્યતાનો ઉદય થયો, જેનો સમયગાળો આશરે ઈ.સ. પૂર્વે 3300 થી શરૂ થાય છે. હડપ્પા, મોહેં-જો-દડો અને કાલીબંગન જેવા સ્થળોએથી મળેલી નગર રચના, ધાતુવિજ્ઞાન અને હસ્તશિલ્પની તકનીકો આજે પણ આશ્ચર્ય પમાડે તેવી છે. આ સભ્યતા મેસોપોટેમિયા અને પ્રાચીન ઇજિપ્તની સમકાલીન હોવા છતાં તેની શહેરી વ્યવસ્થામાં ઘણી આગળ હતી. ઈ.સ. પૂર્વે 1900 ની આસપાસ આ મહાન સભ્યતાનું પતન થયું અને ભારત એક નવા યુગમાં પ્રવેશ્યું.
વૈદિક કાળ અને 16 મહાજનપદોનો ઉદય
હડપ્પાના પતન પછી ભારતનો ઇતિહાસ વૈદિક કાળ તરીકે ઓળખાય છે, જેનો સંબંધ આર્યોના આગમન સાથે જોડવામાં આવે છે. જોકે, આર્યો બહારથી આવ્યા હતા કે ભારતની જ દેન હતા તે અંગે આજે પણ ઇતિહાસકારોમાં મોટી ચર્ચા છે, કારણ કે તેમના કોઈ ચોક્કસ પુરાતત્વીય પુરાવા મળતા નથી. આ કાળની માહિતીનો મુખ્ય સ્ત્રોત વેદો છે, જેમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે. આર્યો સંસ્કૃત બોલતા હતા અને મુખ્યત્વે ઉત્તર ભારતમાં વસતા હતા
ઈ.સ. પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં મોટા રાજ્યો અને મહાનગરોનો ઉદય થયો, જેને ‘મહાજનપદ’ કહેવામાં આવે છે. અંગુત્તર નિકાય મુજબ કુલ 16 મહાજનપદો અસ્તિત્વમાં હતા, જેમાં મગધ, કાશી, કૌશલ અને કુરુ જેવા રાજ્યો મુખ્ય હતા. આ મહાજનપદો પોતાની સત્તા વધારવા માટે અંદરોઅંદર લડતા રહેતા હતા, જેણે ભવિષ્યમાં એક વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો.
મૌર્ય અને ગુપ્ત વંશ
ભારતીય ઇતિહાસની વધુ એક મહત્વની ઘટના એટલે સિકંદર, એલેક્ઝાન્ડર નું આક્રમણ હતુ. જેણે જેલમ નદીના કિનારે રાજા પોરસ સાથે યુદ્ધ કર્યું હતું. સિકંદરના ગયા પછી, ઈ.સ. પૂર્વે 322 માં ચંદ્રગુપ્ત મૌર્યે નંદ વંશને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી, જે ભારતનું પ્રથમ દેશવ્યાપી સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોક આ વંશના સૌથી મહાન રાજા હતા, જેમનું શાસન અફઘાનિસ્તાનથી મણિપુર અને કર્ણાટક સુધી વિસ્તરેલુ હતું.
ચોથી શતાબ્દીમાં એટલે કે ઈ.સ. 320માં ગુપ્ત સામ્રાજ્યનો ઉદય થયો, જેને ઉત્તર ભારતનો ક્લાસિકલ એજ એટલે કે સુવર્ણકાળ માનવામાં આવે છે. સમુદ્રગુપ્ત જેવા પરાક્રમી રાજાઓએ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, જેને ભારીય નેપોલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભારત કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાન શિખર પર હતું, જોકે હુણોના આક્રમણને કારણે ઈ.સ. 520 ની આસપાસ આ સામ્રાજ્યનું પતન થયું.
મધ્યકાલીન ભારત અને ઇસ્લામિક આક્રમણો
સાતમી સદીમાં રાજા હર્ષવર્ધનનું શાસન હતુ. તેમના સમયમાં ચીની પ્રવાસી હ્યુએન સંગે ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઉત્તર ભારતમાં પાલ, પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ જેવા શક્તિશાળી વંશોનો ઉદય થયો. આઠમી સદીમાં સિંધ પર આરબોના અધિકાર સાથે ભારતમાં મુસ્લિમ આક્રમણકર્તાની શરૂઆત થઈ. મહેમૂદ ગઝનવીએ ઈ.સ. 997 થી 1030 વચ્ચે ભારત પર 17 વખત આક્રમણ કરી લૂંટ ચલાવી હતી. ત્યારબાદ મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને ઈ.સ. 1192 માં તરાઈનના બીજા યુદ્ધમાં હરાવીને દિલ્હી પર મુસ્લિમ શાસનનો પાયો નાખ્યો. દિલ્હી સલ્તનત પર પાંચ વંશો ગુલામ, ખિલજી, તુઘલક, સૈયદ અને લોદી વંશે શાસન કર્યું. આ જ ગાળામાં દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર અને બુક્કા દ્વારા કરવામાં આવી હતી, જેના સૌથી પ્રભાવશાળી રાજા કૃષ્ણદેવ રાય હતા.
મુગલ સામ્રાજ્ય અને પ્રાદેશિક શક્તિઓનો સંઘર્ષ
ઈ.સ. 1526 માં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવીને મુગલ સલ્તનતની સ્થાપના કરી. અકબર આ વંશનો સૌથી પ્રખ્યાત રાજા રહ્યો, જે તેની ધાર્મિક સહિષ્ણુતા માટે જાણીતો હતો. જોકે, મહારાણા પ્રતાપ જેવા વીર રાજાઓએ મુગલો સામે અવિરત સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. શાહજહાં અને ઔરંગઝેબના શાસનકાળમાં મુગલ સત્તા મજબૂત રહી, પણ ઔરંગઝેબની કટ્ટરતા અને દક્ષિણમાં મરાઠાઓની વધતી જતી શક્તિએ મુગલ સામ્રાજ્યના પતનની શરૂઆત કરી. ઔરંગઝેબના મૃત્યુ પછી મુગલ શાસન નબળું પડ્યું અને શિખ, નિઝામ અને નવાબો જેવી પ્રાદેશિક સત્તાઓ સ્વતંત્ર થવા લાગી.
બ્રિટિશ શાસન અને સ્વતંત્રતા સંગ્રામ
મુગલોના પતન સાથે જ યુરોપિયન કંપનીઓ જેવી કે પોર્ટુગીઝ, બ્રિટિશ, ડચ અને ફ્રેન્ચ કંપનીઓ ભારતમાં વેપાર અર્થે આવી. પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાને હરાવીને અંગ્રેજોએ ભારત પર પોતાની પકડ મજબૂત બનાવી. ઈ.સ. 1857નો વિદ્રોહ, જેને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહેવાય છે, તે અંગ્રેજી હકુમત સામેનો સૌથી મોટો અવાજ હતો. 20મી સદીમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક આંદોલનો અને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓના બલિદાન તેમજ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના સંઘર્ષના પરિણામે 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયું. જોકે, આ આઝાદીની સાથે દેશના ભાગલાની કરુણતા પણ જોડાઈ હતી.
ભારતનો ઇતિહાસ એ પાંચ લાખ વર્ષોથી ચાલતી સફર છે જે દર્શાવે છે કે ભારત માત્ર એક ભૌગોલિક ટુકડો નથી, પરંતુ એક જીવંત અને અવિરત વહેતી સંસ્કૃતિ છે.
