સાઉદીમાં સેંકડો હજ યાત્રીઓના મોતનું કારણ ભયંકર ગરમી કે બીજું કંઈ ?

|

Jun 29, 2024 | 5:50 PM

આ વર્ષે હજ દરમિયાન લગભગ 1300 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ ઇજિપ્તના લગભગ 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે હજ યાત્રીઓના મોતનું કારણ ખરેખર ભયંકર ગરમી જ છે કે પછી બીજું કોઈ કારણ તેમજ હજ દરમિયાન અગાઉ પણ બનેલી આવી જ કેટલીક ઘટનાઓ વિશે આ લેખમાં જાણીશું.

સાઉદીમાં સેંકડો હજ યાત્રીઓના મોતનું કારણ ભયંકર ગરમી કે બીજું કંઈ ?
Hajj

Follow us on

સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન સેંકડો લોકોના મોત થયા છે. સાઉદીમાં ભયંકર ગરમીના કારણે  હજ દરમિયાન લોકોને 51 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે હજ દરમિયાન લગભગ 1300 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ ઇજિપ્તના લગભગ 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો ઈન્ડોનેશિયાના 200થી વધુ નાગરિકોના મોત થયા છે, જ્યારે ભારતના પણ 98 લોકોના મોત થયા છે.

આ સિવાય પાકિસ્તાન, મલેશિયા, જોર્ડન, ઈરાન, સુદાન અને ઈરાક સહિતના દેશોના હજ માટે સાઉદી પહોંચેલા લોકોના મોત થયા છે. ત્યારે હજ યાત્રીઓના મોતનું કારણ ખરેખર ભયંકર ગરમી જ છે કે પછી બીજું કોઈ કારણ તે અંગે આ લેખમાં વિસ્તારથી જાણીશું આ ઉપરાંત સાઉદીમાં હજ યાત્રા દરમિયાન અગાઉ પણ બનેલી આવી જ કેટલીક ઘટનાઓ વિશે તમને જણાવીશું. આ બધા વિશે જાણીએ તે પહેલા જાણી લઈએ કે હજ શું છે.

ઇસ્લામ ધર્મના લોકો જીવનમાં શક્ય હોય તો ઓછામાં ઓછા એક વખત મક્કાની હજ કરવા તો જરૂર જાય છે, હજ યાત્રા એ ઇસ્લામના પાંચ કર્તવ્યોમાંનું એક છે. વર્ષ 628માં પયગંબર મોહમ્મદે તેમના 1400 અનુયાયીઓ સાથે યાત્રા શરૂ કરી હતી. ઇસ્લામની આ પ્રથમ યાત્રા બની અને આ યાત્રામાં પયગંબર ઇબ્રાહિમની ધાર્મિક પરંપરા પુનઃસ્થાપિત થઈ. જેને હજ કહેવાય છે. દર વર્ષે વિશ્વભરમાંથી મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયાના મક્કા પહોંચે છે. હજ યાત્રા લગભગ પાંચ દિવસ ચાલે છે.

કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો
આર્મી કેન્ટીનમાં બીયરની કિંમત કેટલી છે? જાણીને ચોંકી જશો

સાઉદી અરેબિયા દરેક દેશ પ્રમાણે હજ ક્વોટા તૈયાર કરે છે. ઈન્ડોનેશિયાનો ક્વોટા સૌથી વધુ છે. ત્યાર બાદ પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને નાઈજીરિયા આવે છે. આ સિવાય ઈરાન, તુર્કિયે, ઈજીપ્ત, ઈથોપિયા સહિત ઘણા દેશોમાંથી હજ યાત્રીઓ આવે છે. હજ યાત્રા માટે આ વર્ષે સાઉદી અરેબિયાએ 1.75 લાખ ભારતીયોને હજ યાત્રા કરવાની મંજૂરી આપી હતી. સાઉદી અરેબિયાએ વિશ્વભરમાં કુલ 1.8 મિલિયન લોકોને મંજૂરી આપી હતી.

હજના મહિના દરમિયાન મક્કામાં લાખો યાત્રાળુઓ ઉમટી પડે છે. જેના કારણે હજના આયોજનમાં મોટી ભીડને નિયંત્રિત કરવાની અને લાખો લોકો માટે ખોરાક, આશ્રય સ્થાન, સ્વચ્છતા સહિતની સેવાઓ પુરી પાડવા માટે મુશ્કેલી વધી જાય છે. એમાં પણ રજીસ્ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે હજ માટે પહોંચતા લોકોના કારણે ભીડ વધી જતી હોય છે.

હજ દરમિયાન બનેલી દુર્ઘટનાઓ

હજમાં વધી રહેલી ભીડના કારણે હજ દરમિયાન અનેક અકસ્માતો થયા છે અને જાન-માલનું નુકસાન થયું છે. 2024માં પણ હજ યાત્રા દરમિયાન 1000થી વધુ લોકો મોતને ભેટ્યા છે, ત્યારે ભૂતકાળમાં બનેલી આવી જ કેટલીક ઘટનાઓ વિશે જાણીએ.

2 જુલાઇ 1990ના રોજ મક્કાથી મીના અને અરાફાતના મેદાનો તરફ જતી રાહદારી ટનલમાં નાસભાગમાં 1,426 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં ઘણા મલેશિયન, ઇન્ડોનેશિયન અને પાકિસ્તાની મૂળના લોકોના મોત થયા હતા.

23 મે 1994ના રોજ શેતાન પર પથ્થરમારો કરવાની વિધિ દરમિયાન નાસભાગમાં લગભગ 270 યાત્રાળુઓ માર્યા ગયા હતા. તો 9 એપ્રિલ 1998ના રોજ જમારત બ્રિજ પર એક ઘટનામાં લગભગ 118 યાત્રાળુઓ મોતને ભેટ્યા હતા અને 180 ઘાયલ થયા હતા.

5 માર્ચ 2001ના શેતાન પર પથ્થરમારો કરવાની વિધિ દરમિયાન નાસભાગમાં 35 યાત્રાળુઓનો મોત થયા હતા. તો આજ વિધિમાં 2003માં પણ 14 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો હતો.

1 ફેબ્રુઆરી 2004ના રોજ મીનામાં પથ્થરમારાની વિધિ દરમિયાન નાસભાગમાં 251 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા અને 244 લોકો ઘાયલ થયા હતા. જ્યારે 22 જાન્યુઆરી 2005ના રોજ પણ આવી જ ઘટના બની હતી. જેમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા.

વર્ષ 2006માં હજના છેલ્લા દિવસે એટલે કે 12 જાન્યુઆરીના રોજ મીનામાં શેતાનને ધાર્મિક વિધિ દરમિયાન પથ્થરમારા દરમિયાન નાસભાગમાં લગભગ 346 યાત્રાળુઓ માર્યા ગયા હતા અને લગભગ 289 લોકો ઘાયલ થયા હતા.

24 સપ્ટેમ્બર 2015ના રોજ નાસભાગની મોટી ઘટના બની હતી. જેમાં 2400થી વધુ યાત્રાળુઓ મોતને ભેટ્યા હોવાના અહેવાલ છે. જો કે, સાઉદી સરકારે હજુ સુધી સત્તાવાર રિપોર્ટ જાહેર કર્યો નથી.

2024માં પણ હજ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાળઝાળ ગરમીના કારણે આ વર્ષે પણ 1300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ગેરકાયદેસર રીતે હજ પહોંચેલા લોકોની સંખ્યા વધુ છે.

 

હજ યાત્રીઓના મોતનું કારણ

આ વર્ષે સાઉદી અરેબિયામાં ભયંકર ગરમી પડી રહી છે. તેથી હીટવેવને કારણે આટલી મોટી સંખ્યામાં હજયાત્રીઓના મોત થયા છે. જો કે, હજ યાત્રીઓના મોતનું કારણ માત્ર ગરમી જ નથી. હજમાં રજીસ્ટ્રેશન વગર આવનાર લોકોએ પણ મુશ્કેલી વધારી છે. ગેરકાયદેસર રીતે પહોંચેલા લોકોએ અવ્યવસ્થા ઉભી કરતા મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

હજ યાત્રા માટે ખાસ હજ વિઝા જરૂરી છે. જો કે, તેના બદલે કેટલાક લોકો ટૂરિસ્ટ વિઝા લઈને સાઉદી આવે છે અને હજ પર જાય છે. આ વખતે રજીસ્ટ્રેશન વગર હજ માટે આવતા લોકોના કારણે ભીડ વધી હતી. રજીસ્ટ્રેશન વગર આવતા લોકો માટે એરકન્ડિશન્ડ ટેન્ટ, બસ, જમવા સહિતની યોગ્ય વ્યવસ્થાઓ થઈ શકી નહીં જેના કારણે લોકોના મોતનો આંકડો વધુ છે. એમાં પણ સૌથી વધુ મોત રજીસ્ટ્રેશન વગર આવેલા લોકોના થયા છે.

કેટલીક ટ્રાવેલ એજન્સીઓ અને હજ ટ્રાવેલ ઓપરેટરોએ સાઉદીના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરીને ઘણા હજ યાત્રીઓને સાઉદી ટુરિસ્ટ વિઝા પર તીર્થયાત્રીઓને સખત ગરમીમાં મક્કા અને આજુબાજુના સ્થળોએ છોડી દીધા હતા. આ એજન્સીઓએ સાઉદી અરેબિયામાં યાત્રાળુઓની ગેરકાયદેસર રીતે પહોંચાડ્યા હતા. આવી ટ્રાવેલ એજન્સીઓ પણ જવાબદાર છે, તેથી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દર વર્ષે હજ દરમિયાન થતા મૃત્યુનું એક કારણ એ પણ છે કે ઘણા હજયાત્રીઓ તેમના જીવનના અંતમાં એટલે કે વૃદ્ધાવસ્થામાં હજ પર જાય છે. તેથી ઘણા લોકો એ આશા સાથે મક્કા જાય છે કે જો તેમનું મોત થાય તો પણ પવિત્ર શહેરમાં થાય ત્યાં દફનાવવું એ આશીર્વાદથી ઓછું માનવામાં આવતું નથી. તેથી આ વખતે પણ મૃતકોમાં ઘણા વૃદ્ધો અને લાંબી બીમારીઓથી પીડિત લોકોનો સમાવેશ થાય છે.

શું થાય છે મૃતદેહનું ?

તમને જણાવી દઈએ કે હજ યાત્રાની તૈયારી કરતી વખતે દરેક વ્યક્તિ હજ સંબંધિત અરજીપત્ર પર હસ્તાક્ષર કરે છે, જેમાં સ્પષ્ટ લખેલું હોય છે કે જો તેનું મૃત્યુ સાઉદી અરેબિયાની ધરતી પર થાય છે તો તેના મૃતદેહને ત્યાં જ દફનાવવામાં આવશે. તેના પરિવાર અથવા સંબંધીઓ તરફથી કોઈ વાંધો સ્વીકારવામાં આવશે નહીં. દેખીતી રીતે જો હજ યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેને તેના દેશમાં પાછો મોકલવામાં આવતો નથી, જો હજ યાત્રા દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યો તેના મૃતદેહને તેમના દેશમાં પાછા લાવવા માંગતા હોય તો પણ લાવી શકશે નહીં.

આ પણ વાંચો ઈતિહાસમાં અનેકવાર કાશ્મીરની આ ખ્યાતનામ જગ્યાઓના નામ બદલાયા, જાણો શું હતા પ્રાચીન નામ

Next Article