Breaking News: ગ્લોબલ બેઈજ્જતી… ગેટકીપરે ધોળે દિવસે મુલ્લા મુનીરને તારા બતાવી દીધા, જર્મનીમાં કોઈએ ભાવ પણ ન આપ્યો
જર્મનીમાં ચાલી રહેલી મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સમાં પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની ભારે ફજેતી થઈ છે. એક સિક્યુરિટી ગાર્ડે તેમને ગેટ પર જ અટકાવીને સામાન્ય નાગરિકની જેમ ઓળખપત્ર માંગતા પાકિસ્તાની જનરલ લાચાર જોવા મળ્યા હતા.

જર્મનીમાં ચાલી રહેલી ‘મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સ’ (MSC)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને એક સામાન્ય સુરક્ષા તપાસનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ અનુસાર, જ્યારે મુનીર કાર્યક્રમના સ્થળની અંદર જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં તૈનાત સુરક્ષાકર્મીએ તેમને અટકાવ્યા અને ઓળખપત્ર (ID Card) બતાવવા કહ્યું હતું.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે, સિક્યુરિટી ગાર્ડ મુનીરને કહી રહ્યો છે કે, “થોભો… તમારું આઈડી કાર્ડ ક્યાં છે? કૃપા કરીને તેને ફેરવીને બતાવો.” સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, મુનીર સાથે ત્યાં હાજર બીજા કોઈ પણ સામાન્ય વ્યક્તિ જેવો જ વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે સ્ટાન્ડર્ડ સિક્યુરિટી પ્રોટોકોલ હેઠળ પોતાની ઓળખ સાબિત કરવી પડી હતી, ત્યારબાદ જ તેમને આગળ જવા દેવામાં આવ્યા હતા.
UPDATE!! Field Marshal Army Chief Asim Munir arrives for Munich Security Conference in Germany pic.twitter.com/v4PQpW4z77
— HTN World (@htnworld) February 14, 2026
આ ઘટનાએ ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા જગાવી છે. કેટલાક લોકો તેને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ‘બેઈજ્જતી’ માની રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે, આટલી મોટી ઈવેન્ટ્સમાં આવી ચેકિંગ સામાન્ય બાબત છે. પૂર્વ પાકિસ્તાની સૈન્ય અધિકારી આદિલ રાજાએ આ અંગે કટાક્ષ કરતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે તેમને કોઈ ઓળખતું નથી. તેમણે દાવો કર્યો કે, મુનીરે ગેટકીપર્સ સામે પણ પોતાનો પરિચય આપવો પડી રહ્યો છે.
જર્મનીમાં મુનીરને લઈને વિરોધ પણ થયો
માત્ર સુરક્ષા તપાસ જ નહીં, મુનીરને જર્મનીમાં વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. ‘જીયે સિંધ મુત્તાહિદા મહાઝ’ (JSMM) નામના સંગઠને કોન્ફરન્સની બહાર મુનીરની હાજરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને યુરોપિયન યુનિયન (EU) ને પત્ર લખીને મુનીરને આમંત્રિત કરવા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.
JSMM ના ચેરમેન શફી બુરફતે આરોપ લગાવ્યો કે, પાકિસ્તાની સેનાનો ઈતિહાસ માનવાધિકાર ઉલ્લંઘન અને રાજકારણમાં દખલગીરીનો રહ્યો છે. તેમણે વર્ષ 1971 ના બાંગ્લાદેશ સંકટનો ઉલ્લેખ કરીને તેને નર સંહાર ગણાવ્યો હતો. સંગઠને એવો પણ દાવો કર્યો હતો કે, પાકિસ્તાનની એજન્સીઓ આ પ્રદેશમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપે છે. જો કે, ઇસ્લામાબાદ હંમેશા આ દાવાઓને નકારતું આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી
નિષ્ણાતો માને છે કે, જે આર્મી ચીફ પાકિસ્તાનની અંદર અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની સ્થિતિ અલગ જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે, મુનીર જેવા લોકોને આવા મંચ પર સ્થાન ન આપવું જોઈએ, કારણ કે તેનાથી તેમના શાસનને માન્યતા મળે છે. સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના લોકોનું ગુમ થવું અને પૂર્વ પીએમ ઈમરાન ખાનની જેલ જેવી ઘટનાઓનો હવાલો આપીને પણ સેનાની આકરી ટીકા કરવામાં આવી છે.
