Breaking News : ઓપરેશન સિંદૂરમાં ખતમ થયા આ 5 ખૂંખાર આતંકવાદી, સામે આવી ગયું ફાઈનલ લીસ્ટ
ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હેઠળ કરેલ એર સ્ટ્રાઈકમાં મસૂદ અઝહરના સાળા અને બનેવી પણ માર્યો ગયો હતો. પાકિસ્તાનથી મળેલા અહેવાલ મુજબ, ઓપરેશન સિંદૂરમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ બધા આતંકવાદીઓનો સીધો સંબંધ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે હતો.

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાની સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાં મુદસ્સર ખાદિયાન, ખાલિદ, હાફિઝ જમીલ, યુસુફ અઝહર અને હસન ખાનનો સમાવેશ થાય છે.
આ બધા આતંકવાદીઓ લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. જેઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઈશારે આતંકવાદી કૃત્યો આચરતા હતા.
માર્યા ગયેલા દરેક ખૂંખાર આતંકવાદીની સંપૂર્ણ કુંડળી
1. મુદસ્સર ખાદિયાન ખાસ – લશ્કર-એ-તૈયબાનો આ આતંકવાદી મુરિદકેના મરકઝ તૈયબાનો હવાલો હતો. તે ઓપરેશનની રાત્રે ત્યાં હાજર હતો. પાકિસ્તાન તરફથી મળેલી ગુપ્ત માહિતી અનુસાર, અબુ જુંદાલને તેના અંતિમ સંસ્કાર સમયે પાકિસ્તાની સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
જુંદાલના અંતિમ સંસ્કાર સમયે પાકિસ્તાની સેનાના વડા અને પાકિસ્તાન હસ્તકના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમની જનાજાની નમાજ જમાત-ઉદ-દાવા ના હાફિઝ અબ્દુલ રૌફના નેતૃત્વમાં સરકારી શાળામાં કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાના એક સેવારત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી પણ આ નમાજ સમયે હાજર રહ્યા હતા.
2. હાફિઝ મુહમ્મદ જમીલ– જમીલ, જે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા, તે મૌલાના મસૂદ અઝહરના સૌથી મોટા બનેવી હતા. જે દિવસે ઓપરેશન થયું તે દિવસે જમીલ બહાવલપુરમાં તેના ઘરે સૂતો હતો. જમીલ મરકઝ સુભાનલ્લાહનો હવાલો સંભાળતો હતો. જમીલ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને જૈશ-એ-મોહમ્મદ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્રિયપણે સામેલ હતો.
3. મોહમ્મદ યુસુફ અઝહર- જૈશના આતંકવાદીઓ આને ઉસ્તાદ અને મોહમ્મદ સલીમના નામે પણ જાણતા હતા. તે મસૂદ અઝહરનો સાળો હતો. અઝહર જૈશના મદરેસામાં હથિયારોની તાલીમ સંભાળતો હતો. અઝહર જમ્મુમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો. IC-814 હાઇજેકિંગ કેસમાં તેને વોન્ટેડ માનવામાં આવતો હતો.
4. ખાલિદ @ અબુ આકાશ – લશ્કર-એ-તૈયબાનો આ આતંકવાદી અફઘાનિસ્તાનથી હથિયારો સપ્લાય કરતો હતો. હુમલો થયો તે દિવસે તે પોતાના ઘરમાં સૂતો હતો. ખાલિદ પર જમ્મુમાં આતંક ફેલાવવાનો આરોપ હતો. ખાલિદના અંતિમ સંસ્કાર ફૈસલાબાદમાં યોજાયા હતા, જ્યાં પાકિસ્તાની સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ અને ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનરે તેના જનાજામાં હાજરી આપી હતી.
5. મોહમ્મદ હસન ખાન – આ જૈશ આતંકવાદી મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર હતો, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ કમાન્ડર હતા. તેણે અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું સંકલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. એરસ્ટ્રાઈક અંગે અને ઓપરેશન સિંદૂરને લગતા વધારે સમાચાર જાણવા માટે અમારા ટોપિકને ક્લિક કરો.