આકાશી આફતે પાકિસ્તાનમાં વિનાશ વેર્યો, પૂરને કારણે 1200થી વધુના મોત, લાખો લોકો થયા બેઘર
પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 1200ને વટાવી ગયો છે, પાકિસ્તાનમાં હજુ પણ ઘણી જગ્યાએ સ્થિતિ ખરાબ છે.
પાકિસ્તાનમાં(Pakistan) ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની છે.આકાશી આફતને પગલે અન્ય દેશોમાંથી પાકિસ્તાનને સતત મદદ મોકલવામાં આવી રહી છે. યુનાઈટેડ આરબ અમીરાતથી(United Arab Emirates) નવમી ફ્લાઈટ અને ઉઝબેકિસ્તાનથી પ્રથમ ફ્લાઈટ શુક્રવારે રાત્રે પૂર પીડિતોની મદદ માટે પહોંચી હતી. પાકિસ્તાનમાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચી ગઈ છે.
અતિ ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (National Disater mgt) ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં (Monsoon) અતિ ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે અત્યાર સુધીમાં 1208 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓથોરિટીએ કહ્યું કે મૃત્યુ પામેલાઓમાં 416 બાળકો અને 244 મહિલાઓ છે. તેમના જણાવ્યા અનુસાર પૂર સંબંધિત ઘટનાઓમાં 6082 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
તમને જણાવવું રહ્યું કે, ત્રણ દાયકામાં સૌથી વધુ વરસાદ અને ગ્લેશિયર ઓગળવાને કારણે પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ ડૂબી ગયો છે. સિંધ અને બલૂચિસ્તાન પ્રાંત પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગિલગિટ બાલ્ટિસ્તાનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે (PM Shehbaz Sharif) કહ્યું કે, ‘અહીં પૂરને કારણે થયેલા જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. દેશભરમાં તબાહી મચી ગઈ છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને સર્વત્ર વિનાશ જોવા મળશે.’
પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને અસર
પૂરના (pakistan flood) કારણે થયેલી તબાહીની અસર લાંબા સમય સુધી જોવા મળશે કારણ કે અહીં 90 ટકા સુધીનો પાક નાશ પામ્યો છે. 5 કરોડ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. દેશનો ત્રીજા ભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.અહેવાલોનું માનીએ તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 10 અબજ ડોલરનું નુકસાન થયું છે.
આ પૂર દુષ્કાળ લાવશે !
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં આવેલા પૂર એ દુષ્કાળનું કારણ હશે.મહત્વનું છે કે, સિંધુ નદી તિબેટમાંથી કરાંચી થઈને પસાર થાય છે. પાકિસ્તાનમાં 90 ટકા ખાદ્ય અને પાક ઉત્પાદનમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેથી જ્યારે પણ તેમાં પૂર આવે છે ત્યારે તેનું મોટા ભાગનું પાણી અરબી સમુદ્રમાં જતું રહે છે. તેની અસર ભવિષ્યમાં દુષ્કાળના રૂપમાં જોવા મળશે.
એક સંશોધનમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં દક્ષિણ એશિયામાં (South Aisa) 1.7 અબજ લોકો પાણીની અછતનો સામનો કરશે. દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે અને તેની અસર દરેક વિસ્તારમાં જોવા મળશે.