હોર્મુઝની લગામ હવે ઈરાન-ઓમાનના હાથમાં : અમેરિકાને આપી ચેતવણી, ભારતને કહ્યું- ‘તમારે ચિંતા કરવાની જરૂર નથી
પશ્ચિમ એશિયામાં યુદ્ધના 34મા દિવસે ઈરાને ટ્રમ્પ પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું; હોર્મુઝ પર કોઈ પણ નિર્ણય અન્ય કોઈ નહીં પણ ઈરાન અને ઓમાન લેશે. સેંકડો ભારતીયોની સુરક્ષા અંગે આપ્યું આશ્વાસન.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને ભારત માટે એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશ જાહેર કર્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેમના દેશમાં અને પર્સિયન ગલ્ફમાં રહેતા સેંકડો ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાથે જ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ‘Strait of Hormuz’ પર ઈરાને પોતાનું પ્રભુત્વ જાહેર કર્યું છે.
‘ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે’
ભારતમાં આવેલા ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, “અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” આ સંદેશમાં ઈરાને ખાસ ઈમોજીનો ઉપયોગ કરીને ભારત પ્રત્યેનો ભરોસો વ્યક્ત કર્યો છે. આ આશ્વાસન એવા સમયે આવ્યું છે જ્યારે આ વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ સર્જાયેલી છે.
Our Indian friends are in safe hands, no worries https://t.co/5NqoSFlDPQ
— Iran in India (@Iran_in_India) April 1, 2026
અમેરિકા અને ટ્રમ્પને ઈરાનનો જવાબ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓનો જવાબ આપતા ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સ્પષ્ટ કર્યું છે કે ‘Strait of Hormuz’ તેમના ‘નિર્ણાયક નિયંત્રણ’ હેઠળ છે. ઈરાને કહ્યું કે આ વિસ્તારનું ભવિષ્ય માત્ર ઈરાન અને ઓમાન જ નક્કી કરશે, અન્ય કોઈ ત્રીજો દેશ નહીં. IRGC એ તો ત્યાં સુધી કહ્યું કે કોઈ પણ દબાણ હેઠળ આ રસ્તો દુશ્મનો માટે ખોલવામાં આવશે નહીં.
ભારત માનવતા અને નૈતિકતાની ધરતી: ઈરાની પ્રતિનિધિ
આ દરમિયાન, ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “ભારત નિષ્ઠા, માનવતા અને નૈતિકતાની ધરતી છે.” દિવંગત અયાતુલ્લા અલી ખામેનેઈના શોકમાં સામેલ થવા બદલ તેમણે ભારતીયોનો આભાર માનતા કહ્યું કે ખામેનેઈ એ લોકોનો અવાજ હતા જેમનો પોતાનો કોઈ અવાજ નહોતો.
શા માટે મહત્વનું છે હોર્મુઝ?
‘Strait of Hormuz’ એ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી દુનિયાના ક્રૂડ ઓઈલનો મોટો હિસ્સો પસાર થાય છે. આ રસ્તા પર ઈરાનનું નિયંત્રણ હોવાનો અર્થ એ છે કે તે વૈશ્વિક તેલના પુરવઠા પર મોટી અસર પાડી શકે છે.
