Afghanistan Crisis: ભારતથી 100 નાગરિક તેહરાન થઈને પહોંચશે અફઘાનિસ્તાન, તાલિબાનના સત્તામાં આવ્યા બાદ ફ્લાઈટ થઈ છે રદ
અફઘાન નાગરિકોનું પ્રથમ જૂથ શુક્રવારે એક ફ્લાઈટમાં તેહરાન માટે રવાના થયું હતું. તેહરાનમાં થોડા કલાકોના રોકાણ બાદ આ જૂથ અફઘાનિસ્તાન પહોંચશે.
અફઘાનિસ્તાનમાં (Afghnistan) તાલિબાને (Taliban) કબ્જો કર્યા બાદ અનેક દેશની ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે. આ વચ્ચે અફઘાનિસ્તાનના 100થી વધુ નાગરિકો ભારતથી તેહરાન થઈને ઘરે જઈ રહ્યા છે. અફઘાન દૂતાવાસના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. કેટલાક અફઘાન નાગરિકો તબીબી સહિત વિવિધ કારણોસર ભારત આવ્યા હતા.
પરંતુ 15 ઓગસ્ટના રોજ કાબુલમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ બંને દેશો વચ્ચેની ફ્લાઈટ્સ સ્થગિત થતા અફઘાનિસ્તાન પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે 100થી વધુ અફઘાન નાગરિકોનું પ્રથમ જૂથ શુક્રવારે એક ફ્લાઈટમાં તેહરાન માટે રવાના થયું હતું. તેમણે કહ્યું કે તેહરાનમાં થોડા કલાકોના રોકાણ બાદ આ જૂથ અફઘાનિસ્તાન પહોંચશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે “અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી સપ્તાહોમાં આવી વધુ ફ્લાઈટ્સ ફસાયેલા તમામ અફઘાનીને પરત લાવશે.
બીજી બાજુ, તાલિબાને શનિવારે અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી જૂથોને નિયંત્રિત કરવા માટે અમેરિકા સાથે સહકાર આપવાની સંભાવનાને ફગાવી દીધી હતી. આ સાથે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોના સંપૂર્ણ વાપસી બાદ અમેરિકા અને તાલિબાન વચ્ચેની પ્રથમ સીધી વાતચીત પહેલા તાલિબાને આ મહત્વપૂર્ણ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાના અધિકારીઓ શનિવાર અને રવિવારે કતારની રાજધાની દોહામાં વરિષ્ઠ તાલિબાન અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
આ મુલાકાતનો હેતુ વિદેશી નાગરિકો અને અફઘાનિસ્તાનથી જોખમમાં રહેલા અફઘાન લોકોના સ્થળાંતરને સરળ બનાવવાનો છે. આ સિવાય અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી જૂથોને નિયંત્રિત કરવા વિશે પણ વાત થઈ શકે છે. બંને પક્ષોના અધિકારીઓએ આ માહિતી આપી છે તો તાલિબાને સંકેત આપ્યો છે કે તે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે લવચીક અભિગમ અપનાવી શકે છે.
તાલિબાનના રાજકીય પ્રવક્તા સુહેલ શાહીને શનિવારે ધ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે તે અફઘાનિસ્તાનમાં વધુને વધુ સક્રિય ઈસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા સંગઠનોના સંબંધમાં વોશિંગ્ટનને કોઈ સહાય પૂરી પાડશે નહીં. શાહીને જણાવ્યું હતું કે “અમે જાતે જ દેશ સાથે વ્યવહાર કરવા સક્ષમ છીએ.”
ઈસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં તાજેતરના કેટલાક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. જેમાં નમાઝ દરમિયાન મસ્જિદમાં 46 લઘુમતી શિયાઓના મોતનો સમાવેશ થાય છે. પૂર્વી અફઘાનિસ્તાનમાં આઈએસએ 2014થી દેશના શિયા મુસ્લિમ સમુદાય પર વારંવાર હુમલા શરૂ કર્યા છે. તે અમેરિકા માટે પણ મોટો ખતરો છે.
આ પણ વાંચો : H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું
આ પણ વાંચો :પીએમ મોદી અને જો બાઈડનની મુલાકાતથી મજબૂત થશે ભારત અમેરિકાનો સંબંધ, હવે બીજા મુદ્દા પર થશે ચર્ચા