ગુજરાતમાં જળ સંકટ! પાણી માટે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી મહિલા, જુઓ Video
ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટી પલસાળ ગામે મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે પાણી ભરવા મજબૂર છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માત્ર કાગળ પર રહી ગઈ છે.

ગુજરાતમાં એક તરફ તંત્ર વિકાસના મોટા દાવાઓ કરે છે, ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટી પલસાળ ગામે લોકો પાણી માટે જીવ સટોસટનો ખેલ રમી રહ્યા છે. અહીંની મહિલાઓને પોતાની તરસ છીપાવવા માટે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને પાણી શોધવું પડે છે. આ કોઈ સ્ટંટ કે ફિલ્મનું શૂટિંગ નથી, પરંતુ દયનીય વાસ્તવિકતા છે જે તંત્રના દરેક દાવાને ખુલ્લો પડકાર આપે છે.
ગામલોકો જણાવે છે કે “નળ સે જળ” યોજનાના મોટા મોટા દાવાઓ છતાં, તેમના હિસ્સે કૂવામાં ઉતરીને જીવના જોખમે પાણી મેળવવાનું દુખદ દ્રશ્ય આવે છે. એક મહિલાનો પગ લપસી જાય તેવી પણ શક્યતા હોય છે, જે આ કાર્યને અત્યંત જોખમી બનાવે છે. ગામના તળિયા ઝાટક કૂવાઓમાં પાણીની શોધ અને પથરાળ કોતરોમાં મળતા ખોબા જેટલા પાણી માટેનો સંઘર્ષ એક પ્રકારના યુદ્ધ સમાન છે. આ તસવીરો જોઈને તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની નિષ્ફળતા સ્વીકારવી જોઈએ.
આ વિસ્તાર માટે કરોડો રૂપિયાના ખર્ચે મહત્વકાંક્ષી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 586 કરોડ રૂપિયાની આ યોજના હેઠળ મોટી પલસાળ ગામમાં ઘરે ઘરે નળ તો ફિટ કરી દેવાયા છે, પરંતુ આજ દિન સુધી એક ટીપું પાણી આવ્યું નથી. ગામના છ-સાત કૂવાઓમાંથી ચાર સુકાઈ ગયા છે અને બાકીનામાં પણ પાણી નથી. અંદાજે 1200 જેટલી વસ્તી ધરાવતા આ ફળિયામાં કહેવા માટે આઠ સરકારી કૂવાઓ છે, પરંતુ ઉનાળો આવતા જ તે તમામ સુકાઈ જાય છે.
જ્યારે આ ગંભીર સમસ્યા અંગે એસ્ટોલ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેરને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સરકારી આંકડાઓ આગળ ધર્યા અને જવાબદારીથી હાથ ખંખેરી નાખ્યા. અધિકારીએ દાવો કર્યો કે ગામમાં 13 જેટલી પાણીની ટાંકીઓ છે અને પાણી નિયમિત અપાય છે. જોકે, જમીની વાસ્તવિકતા તદ્દન અલગ છે. અધિકારીએ વિતરણ વ્યવસ્થા અને રિપેરિંગની નબળી કામગીરી માટે ગ્રામ પંચાયત અને પાણી સમિતિ પર દોષનો ટોપલો ઢોળ્યો.
અધિકારીએ જણાવ્યું કે મોટી પલસાળ ગામે કુલ 13 ટાંકા બનાવવામાં આવેલ છે, જેમાં અષ્ટ યોજનાનું પાણી નિયમિત આપવામાં આવે છે. ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત ઓબ્લિક પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દાવથી ગ્રામજનોમાં રોષ જોવા મળે છે. તેઓ પ્રશ્ન કરે છે કે આટલું સફેદ જૂઠ બોલવાનો પગાર શા માટે લેવામાં આવે છે, જ્યારે ગામમાં પાણી જ નથી અને કોઈ સિસ્ટમ કાર્યરત નથી. આઝાદીના દાયકાઓ બાદ પણ જો લોકોને પાણી જેવી મૂળભૂત સુવિધા ન મળે, તો વિકાસના દાવાઓ નિરર્થક છે. તંત્રએ ધ્યાન આપીને પોતાની જવાબદારી નિભાવવી જોઇએ.
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
