વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે પરંતુ વડોદરાવાસીઓની મુશ્કેલી ઘટવાને બદલે વધી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટથી ઘટી 28.5 પર પહોંચી છે પરંતુ નીચાણવાળા અનેક વિસ્તાર હજુ પાણીમાં ગરકાવ છે. ખાસ કરીને સયાજીગંજ, નટરાજ ટાઉનશીપ, પરશુરામ સોસાયટી અને કડક બજારમાં પાણી ભરાયા. વિશ્વામિત્રી નદીમાં અનેક દુકાનો અને ઘરો જળમગ્ન થયા. સતત બીજા દિવસે દુકાનોમાં પાણી ભરાઈ રહેતા વેપાર-ધંધા ઠપ રહ્યા. પરિણામે વેપારીઓને લાખોનું નુકસાન વેઠવું પડ્યું.
બીજી તરફ પરશુરામ ભઠ્ઠા વિસ્તાર પણ પાણી-પાણી થઇ ગયો. ઝૂંપડાઓમાં પાણી ફરી વળતાં લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું. ફાયર બ્રિગેડના જવાનો બોટ લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદે પહોંચ્યા. લોકોને સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.
વિશ્વામિત્રી નદીના લેવલમાં આંશિક ઘટાડો થતાં આજવા ડેમના દરવાજા હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી 4200 લોકોનું સ્થળાંતર કર્યું. મોડી સાંજ સુધીમાં વિશ્વામિત્રીનું લેવલ ઓછું થાય તેવું તંત્રનું અનુમાન છે. હાલ આજવા ડેમનું સ્તર 212.18 ફૂટ પર સ્થિર છે.
વડોદરાના વડસરના નિચાણવાળા વિસ્તારમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. રેસ્ક્યૂ ટીમ દ્વારા એક નવજાત બાળક સહિત 16 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. NDRFની ટીમ સતત લોકોનું રેસ્ક્યૂ કરી રહી છે. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા અત્યાર સુધી 1877 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
વડોદરામાં અનરાધાર વરસાદને કારણે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઇ. ઢાઢર નદીમાં નવા નીરની આવક થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી.
વિશ્વામિત્રીમાં પૂર બાદ વડોદરા શહેરમાં મગરના આંટાફેરા વધ્યા છે. ત્યારે બીલ ગામે મગર નદીના પાણીમાંથી બહાર આવી ગયો. શ્રીહરિ રેસીડેન્સીના ગેટ પાસે મગરના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. આ તરફ જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતાં મગર બહાર નીકળ્યા. તંત્ર દ્વારા મગરને પકડીને ફરી નદી વિસ્તારમાં છોડવામાં આવ્યા.