કર્મચારીઓ અને વડોદરા મહાનગર પાલિકા વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં લોકો જ્યારે કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે, કમિશનરને પ્રવેશવાનો દરવાજો તો પહેલેથી બંધ કર્યો અને કમિશનર સહિતના અધિકારીઓએ અન્ય દરવાજાથી પ્રવેશ મેળવ્યો હતો. બાદ માં એ દરવાજાને પણ તાળા મારી દીધા હતા.
પાલિકાની વડી કચેરીએ રજૂઆત કરવા માટે આવેલા પાલિકાના હંગામી કર્મચારીઓ ની સંખ્યા જોઈને પાલિકાના બંને દરવાજા પર પોલીસ ગોઠવી દેવાઇ હતી તો બીજી તરફ પાલિકાથી રાજમહેલ રોડ તરફ જતો એક બાજુનો રસ્તો પોલીસે બેરીકેટ મારીને બંધ કરી દીધો હતો. જેના કારણે વાહન ચાલકોને પણ અસર પડી હતી. આ સિવાય પાલિકાના જે હંગામી કર્મચારીઓ છે તેઓએ તેઓના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે સૂત્રોચાર પણ કર્યા હતા.
વડોદરા મહાનગર પાલિકામાં ઘણાં વખતથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. પરિણામે આઉટસોર્સિંગ એજન્સીઓના કર્મચારીઓ પર પાલિકાનું તંત્ર ચાલી રહ્યુ છે. આ ઉપરાંત વર્ષોથી નોકરી કરતાં રોજમદારો હવે કાયમી નોકરી માટે કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે. સરકારને પણ કાયદાકીય લડત માટે લાખોનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ બધી મથામણ છતાંય સરકારને ભરતી કરવાનું સુઝતુ નથી. આજે પાલિકાના મોટાભાગના વિભાગોમાં રોજમદારોના સહારે છે.
સ્વચ્છ ભારત મિશન એ પાલિકામાં વહીવટનો એક હિસ્સો બન્યો છે ત્યારે પાંચ વર્ષ પુરા થયાં હોય તેવા કર્મચારીને રેગ્યુલર પોસ્ટિંગ આપી કાયમી નોકરીના લાભ આપવા માંગ કરાઈ છે. આમ, વડોદરા મહાનગર પાલિકા કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરીને વડોદરા મહાનગર પાલિકાઓમાં તાકીદે ભરતી કરવા રજૂઆત કરી છે, તેમ સફાઈ કામદારોના નેતા અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું. તેઓએ કીધું હતું કે તમામ વિભાગના કોન્ટ્રાક્ટ પર વર્ષો થી કામ કરતા કામદારો ને કાયમી કરાવવા પોસ્ટ કાર્ડ લખવામાં આવશે જેથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ જાણ થાય.