VADODARAએ વધુ એક રત્ન ગુમાવ્યું, બહુમુખી પ્રતિભાના સ્વામી હસમુખ શાહનું વહેલી સવારે નિધન

હસમુખ શાહે તેમના નિવૃત્તિ પછીના સમયગાળાનો ઉપયોગ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે કર્યો. તેઓ ગુજરાત ઇકોલોજી કમિશન (GEC), ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ગુજરાત ઇકોલોજી સોસાયટી (GES), ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (GNCS) ના સ્થાપક અને હેરિટેજ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ હતા.

VADODARAએ વધુ એક રત્ન ગુમાવ્યું,  બહુમુખી પ્રતિભાના સ્વામી હસમુખ શાહનું વહેલી સવારે નિધન
હસમુખ શાહનું નિધન
| Edited By: | Updated on: Dec 03, 2021 | 1:02 PM

વડોદરાએ (VADODARA)તેનું વધુ એક ઓજસ્વી રત્ન ગુમાવ્યું છે. બહુમુખી પ્રતિભાના સ્વામી હસમુખ શાહનું (Hasmukh Shah) આજ ૩ જી ડિસેમ્બરની વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ ૮૭ વર્ષની વયના હતા. તેમની કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનું નિવાસ સ્થાન વડોદરા છે. હસમુખ શાહ, (Hasmukh Shah)સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક તરીકે અસાધારણ જીવન અને કારકિર્દી ધરાવતા હતા.

તેઓએ સંયુક્ત સચિવ તરીકે વડા પ્રધાન કાર્યાલયમાં સતત ત્રણ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ અને છેલ્લે ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યા.

આઈપીસીએલ (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ)નું ખાનગીકરણ થયું તે પહેલા તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે એન્જિનિયરિંગ પ્લાસ્ટિકના વિકાસ માટે GE અને IPCL વચ્ચે સંયુક્ત સાહસ બનાવવા માટે જેક વેલ્ચને સમજાવ્યા.

સમગ્ર પેકેજિંગફિલ્મ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તથા કૃષિ વ્યવસાયમાં (ટપક સિંચાઈ અને કેનાલ લાઇનિંગ દ્વારા) પ્લાસ્ટિકના ઉપયોગ નો પ્રચાર કરવાનું કામ કર્યું. શાહના કાર્યકાળ દરમિયાન યુ.કે. ની કેમિકલ ઈનસાઈટે આઈ.પી.સી.એલ.ને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પેટ્રોકેમિકલ ઉત્પાદક કંપની તરીકે બિરદાવ્યું હતું.

હસમુખ શાહે તેમના નિવૃત્તિ પછીના સમયગાળાનો ઉપયોગ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે કર્યો. તેઓ ગુજરાત ઇકોલોજી કમિશન (GEC), ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ગુજરાત ઇકોલોજી સોસાયટી (GES), ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (GNCS) ના સ્થાપક અને હેરિટેજ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ હતા.

દર્શક ઇતિહાસ નિધિ (DIN) ના સ્થાપક ટ્રસ્ટી તરીકે, તેમણે ગુજરાતના મેરીટાઇમ ઈતિહાસ પર અનેક બહુ-વિધ આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું અને આ વિષય પર શિષ્યવૃત્તિ અને પ્રકાશનોને પ્રાયોજિત કર્યા. તેઓ ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ના અધ્યક્ષ પણ હતા.

તેઓ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા. તથા અધ્યક્ષ તરીકે ઘણી વ્યૂહાત્મક દિશાઓનું સંચાલન કર્યું હતું. જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT), ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (IRMA), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (DAIICT), એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડા, સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી, સેન્ટર ફોર ફ્યુઅલ રિસર્ચ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (GIRDA) અને લોક ભારતી નો સમાવેશ થાય છે.

તેઓ “ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન” (BAIF), “અક્ષર ટ્રસ્ટ”, “ભારત ગ્રામીણ આજીવિકા ફાઉન્ડેશન”, “ચારુતર આરોગ્ય મંડળ” જે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં તબીબી શિક્ષણ અને સંભાળ પૂરી પાડે છે. “શ્રમ મંદિર” જે રક્તપિત્તની સારવાર અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેવી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) અને ફાઉન્ડેશનોના ટ્રસ્ટી અથવા અધ્યક્ષ તરીકે પણ હતા.

૧૯૭૮માં જોરહાટમાં વડાપ્રધાનના વિમાન સાથે થયેલી વિમાન દુર્ઘટનામાં સાથે હોવાથી લઈને, સિડની કોમનવેલ્થ વડાઓની બેઠક (CHOGM) માં થયેલા બોમ્બ ધડાકા થી લઈને ધ તિયાનેનમેન સ્ક્વેર વિદ્રોહ જેવી અન્ય ઘણી ઐતિહાસિક ઘટનાઓના અંગત રીતે સાક્ષી હતા. તેમણે ગુજરાતીમાં તેમના સંસ્મરણો “દીઠુ મેં” માં આવી ઘણી વાતોનો ચિતાર પ્રસ્તૂત કરેલો છે. જેની અંગ્રેજી આવૃત્તિ “ફ્રોમ ધ માર્જિન્સ ઓફ હિસ્ટ્રી” ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

હસમુખ શાહના પરિવારમાં તેમની પાછળ પત્ની નીલા, પુત્ર અમલાન અને પુત્રી અલ્પના છે.

Follow Us
Loading...
Unable to load recommendations.