Surat : સુરતની આ સરકારી શાળાના ટેરેસ પર વિદ્યાર્થીઓએ શરૂ કરી સજીવ ખેતીની લેબોરેટરી
સુરતના કતારગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોને પાઠય પુસ્તકના જ્ઞાનની સાથે વનસ્પતિના સજીવ ખેતી અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે.
બાળકો આપણા દેશનું ભવિષ્ય (Future ) છે. આવનારી પેઢીને ઉચ્ચ શિક્ષણની (Education ) સાથે સાથે જીવન ઉપયોગી જ્ઞાન (knowledge ) આપવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે સુરતની એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ આ બાબતને ખરા અર્થમાં સાર્થક પણ કરી રહ્યા છે.
સુરતના કતારગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોને પાઠય પુસ્તકના જ્ઞાનની સાથે વનસ્પતિના સજીવ ખેતી અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે. શાળાના ટેરેસ પર જ શાકભાજીની ખેતી કરીને બાળકોને આરોગ્યપ્રદ શાકભાજી અને તેના ઉછેર વિશે સમજણ આપવામાં આવી રહી છે.
કતારગામ ખાતે આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પાઠય પુસ્તકોની સાથે સાથે વિદ્યાર્થીઓ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વિના વનસ્પતિના ઉછેરની સમજણ શીખી રહ્યા છે. ભેળસેળવાળા જમાનામાં આજે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરવાળા શાકભાજી મળે છે. જે ખાઈને લોકો પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે. તેમજ શાકભાજીના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. તેવામાં શાળાના બાળકોને સજીવ ખેતીની સમજ આપીને આવનારો પેઢીને આ દિશામાં જાગૃત કરવાનું કામ આ શાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ પણ શાળામાં કુંડા માં શાકભાજી કેવી રીતે ઉગાવી શકાય તે શીખીને પોતાના ઘરે પણ આ પ્રયોગ અજમાવી રહ્યા છે.
શાળાના આચાર્યાનું કહેવું છે કે દરેક ઘરમાં આરોગ્યપ્રદ અને સ્વસ્છ શાકભાજી મળે અને એ પણ કોઈપણ જાતના વધારાના ખર્ચ કર્યા વગર એવો વિચાર આવતા તેમને આ પ્રયોગ કર્યો હતો. તેઓએ શાળાના સંચાલકોની પરવાનગી લઈને પ્લાસ્ટિકના કુંડા અને કોથળીઓ લાવીને શાળાના ટેરેસ પર જ ખેતી કરવાની શરૂઆત કરી હતી. શાળામાં જ ટેરેસ પર શાકભાજીની નાની વાડી બનાવીને તેની ફેરરોપણી કેવી રીતે થાય એ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની શરૂઆત કરો હતી.
કતારગામની આ શાળાના પ્રયત્નોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ બિરદાવવમાં આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ પણ અવાર નવાર શાળાની મુલાકાત લઈને સજીવ ખેતી અંગેના પ્રયોગની મુલાકાત લેતા હોય છે. સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓને ચોપડીનું જ જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ આ શાળાએ શાકભાજીની સજીવ ખેતીની જાણે કે લેબોરેટરી બનાવી છે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વગર શાકભાજી કેવી રીતે ઉગાડી શકાય તેનું શિક્ષણ બાળકોને આપવામાં આવી રહ્યું છે. શહેરની અન્ય શાળાઓ પણ તેની અમલવારીની દિશામાં કાર્ય કરે એવા પ્રયાસો આગેવાનો પણ કરી રહ્યા છે.
આપણે વર્ષોથી સજીવ ખેતી વિષે વાતો કરી રહ્યા છે. તેવામાં ફૂલો અને વેલીઓના સુશોભન સાથે શાકભાજી ઉગાડીને આર્થિક ભારણ પણ ઓછું થાય અને સ્વાસ્થ્ય પણ સુધરે તે દિશામાં કતારગામની આ શાળાની કામગીરી ખરેખર કાબિલેતારીફ છે.
આ પણ વાંચો :
Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા અંતરના સ્થળો માટે ધસારો
આ પણ વાંચો : SURAT : માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઇ, 7 સભ્યોની પસંદગી માટે મતદાન શરૂ