Breaking News : સુરતમાં નોનવેજ વેચાણ બંધ થશે! શ્રાવણ માસ દરમિયાન જાહેર રસ્તા પર નોનવેજ વેચાણ બંધ કરવાની MLAએ કરી માંગ, જુઓ Video
શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સુરતના કારંજ વિસ્તારમાં જાહેર રસ્તાઓ અને બોમ્બે માર્કેટ પાસે નોનવેજ તથા ઈંડાના વેચાણ સામે વિરોધ નોંધાયો છે.

સુરતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સમગ્ર દેશભરમાં ભક્તિમય માહોલ છવાયેલો છે. આવા સમયે સુરતના કારંજ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર નોનવેજ અને ઈંડાના ખુલ્લેઆમ વેચાણને લઈને ભારે વિરોધ પ્રગટ થયો છે. સ્થાનિક નાગરિકો અને ધાર્મિક સંગઠનો દ્વારા આ મામલે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારંજ વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટ અને તેની આસપાસના મુખ્ય જાહેર માર્ગો પર ચાલતા નોનવેજ સ્ટોલ તેમજ ઈંડાની લારીઓ સામે સ્થાનિક સોસાયટીઓ અને નાગરિકો તરફથી વારંવાર ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને, કારંજના ધારાસભ્ય પ્રવીણે સુરત મહાનગરપાલિકા સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે. તેમણે પોતાના વિસ્તારમાં ચાલતી નોનવેજની લારીઓ અને દુકાનોને તાત્કાકાલિક બંધ કરાવવા માટે તાકીદ કરી છે.
ધારાસભ્ય પ્રવીણે જણાવ્યું હતું કે, તેમના કારંજ વિસ્તારમાં બોમ્બે માર્કેટની આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રોડ પર જ નોનવેજનો ધંધો થતો જોવા મળે છે. તેમણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમને સ્પષ્ટ સૂચના આપી છે કે શ્રાવણ માસના પવિત્ર તહેવાર દરમિયાન તો આ વેચાણ કોઈપણ ભોગે બંધ થવું જ જોઈએ. તેમણે ઉમેર્યું કે આમ તો આ વેચાણ કાયમી ધોરણે બંધ થવું જોઈએ, પરંતુ શ્રાવણ માસમાં ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય છે. હાલના દિવસોમાં કોઈપણ જગ્યાએ જાહેર રસ્તાઓ પર આ પ્રકારનું નોનવેજનું કાર્ય ન થવું જોઈએ તેવી તેમની સ્પષ્ટ માંગ છે.
એક ચોંકાવનારો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે બોમ્બે માર્કેટ પાસે આવેલી શાળા નજીક સાંજે 5 વાગ્યાથી લઈને મોડી રાત્રીના 12 વાગ્યા સુધી ઈંડાની લારીઓ ચાલુ રહે છે. જાહેર રસ્તાઓ પર અને ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તાર નજીક થતા આ ગેરકાયદે વેચાણ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ધાર્મિક લાગણીઓને દુભાતી અટકાવવાનો અને સ્થાનિક નાગરિકોની ફરિયાદોનો સંતોષકારક ઉકેલ લાવવાનો છે.
આ સમગ્ર મામલે હવે સુરત મહાનગરપાલિકા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. શું જાહેર સ્થળો પર નોનવેજના વેચાણ પર ખરેખર રોક લાગશે અને ધારાસભ્યની રજૂઆતને પગલે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે કે કેમ, તે અંગેની ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
CNG ભાવ વધારો, અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
