Surat : લેપ્ટોસ્પાઇરોસિસ પર આરોગ્ય વિભાગ સતર્ક, તાપી જિલ્લામાં મળ્યા બે દર્દીઓ
કોરોના કાબુમાં કર્યા બાદ હવે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં લેપ્ટોસ્પાઇરોસિસનું જોખમ રહેલું છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તાપી જિલ્લામાં લેપ્ટોના બે કેસ સામે આવી ચુક્યા છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન લેપ્ટોસ્પાઇરોસિસના એકલ દોકલ કેસ સામે આવવા લાગ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોજે રોજ ઘરે-ઘરે સર્વે કરીને તાવના દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે અને તેમને ડ્રોક્સીસાઇક્લિન દવા સહીત બીજી દવાઓ પણ આપવામાં આવી રહી છે. આ ટીમે સોમવારે થયેલા સર્વેમાં 388 જેટલા તાવના દર્દીઓ નોંધાયા હતા
અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને 4884 ડ્રોક્સીસાઇક્લિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. નિષ્ણાંત ડોક્ટરનું કહેવું છે કે ડ્રોક્સીસાઇક્લિન શરૂ કરવા પાછળનો હેતુ લેપ્ટોસ્પાઇરોસિસ પર કાબૂ કરી શકાય તે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લેપ્ટોસ્પાઇરોસિસ દર્દીઓ સામે આવતા રહે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આરોગ્ય વિભાગની ટીમની સળંગ કાર્યવાહી કરવાના કારણે લેપ્ટોસ્પાઇરોસિસના દર્દીઓ માં ખુબ ઘટાડો નોંધાયો હતો.
લેપ્ટોસ્પાઇરોસિસને અટકાવવા માટે એપેડેમીક ઓફીસરના નેતૃત્વમાં આખી ટીમ કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું છે કે 15 જુલાઈથી રોજ નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં ઘરે ઘરે સર્વે અભિયાન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે સોમવારે 33,226 ઘરમાં કુલ 1,37,350 વ્યક્તિઓને સર્વે કર્યો હતો. જેમાંથી 388 વ્યક્તિઓને તાવની ફરિયાદ હતી. તબીબો જણાવે છે કે તાવના દર્દીઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓની પણ આશંકા રહેલી છે, જેથી તે તમામનો કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.
કેવી રીતે ફેલાય છે આ રોગ ? આ રોગ લેપ્ટોસ્પીરા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. મોટેભાગે તે પ્રાણીઓ દ્વારા માણસો સુધી પહોંચે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિશનના કિસ્સાઓ દુર્લભ છે. દૂષિત પાણી, ખોરાક અને ઉંદર જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા મનુષ્યો સંક્રમિત થઈ શકે છે.
આ કારણે, વરસાદની ઋતુમાં રોગના ઘણા કિસ્સાઓ સામે આવે છે. તેના લક્ષણો સામાન્ય રીતે ચેપ પછી 7 થી 10 દિવસ પછી દેખાય છે. કેટલાક કિસ્સાઓમાં, લક્ષણો મોડા પણ દેખાય છે. તેના લક્ષણો ફલૂ અને મેનિન્જાઇટિસ જેવા જ છે, તેથી જો તમે વરસાદની ઋતુમાં આવા લક્ષણો અનુભવો તો તરત જ તબીબી સલાહ લો.
મોનસુનની આ સિઝનમાં અત્યાર સુધી તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસ ના બે દર્દીઓ મળી આવ્યા છે. જોકે બંને લેપ્ટોસ્પાઇરોસિસના દર્દીઓ હાલ સુધારા હેઠળ છે. 2015 માં ઘરે-ઘરે સર્વે કરેલા તે દરમિયાન 41 દર્દીઓ મળ્યા હતા. જેમાંથી એક પણ પણ મોત થયું ન હતું. તેના પછી દર વર્ષે દર્દીઓનો આંકડો ઘટી રહ્યો છે. પરંતુ વર્ષ 2020 માં લેપ્ટોસ્પાઇરોસિસ ચાર દર્દી મળ્યા હતા જેમાંથી એક દર્દીનું મોત થયું હતું.
કેટલાક વર્ષોમાં લેપ્ટોસ્પાયરોસિસના દર્દીઓમાં અને દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેપ્ટોસ્પાયરોસિસના દર્દીઓના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.