ખોડલધામ મંદિરમાં છઠ્ઠો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલની થઇ એન્ટ્રી, નરેશ પટેલે ભાજપ સરકારના કર્યા વખાણ
Rajkot News : કાર્યક્રમની શરૂઆતમાં ભુપેન્દ્ર પટેલે મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જો કે આ કાર્યક્રમમાં કેટલીક બાબતો રાજકીય રીતે ખૂબ જ સૂચક જોવા મળી હતી.
લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 6 વર્ષ પૂર્ણ થતા આજે વાર્ષિક પાટોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં CM ભુપેન્દ્ર પટેલે મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જો કે આ કાર્યક્રમમાં કેટલીક બાબતો રાજકીય રીતે ખૂબ જ સૂચક જોવા મળી હતી.
નરેશ પટેલે આ ભવનના નિર્માણ કાર્યમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ભાજપ સરકારનો ખૂબ જ મોટો ફાળો હોવાનું નિવેદન આપ્યું હતું. એટલું જ નહિ આ કાર્યક્રમમાં બિન પાટીદાર મંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આમ તો નરેશ પટેલ ખોડલધામના કાર્યક્રમમાં તમામ પક્ષને આમંત્રણ આપતા હોય છે અને આવકારતા હોય છે.
પરંતુ આ કાર્યક્રમમાં નરેશ પટેલનો સરકાર તરફી ઝુંકાવ ઉડીને આંખે વળગે તેવો હતો. અત્યાર સુધી નરેશ પટેલની વિચારધારા સત્તા વિરોધી હોવાની ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ નરેશ પટેલે સત્તા પક્ષના નેતાઓને એક સાથે સ્ટેજ પર બેસાડીને રાજકીય સંકેત આપ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ખોડલધામના વિકાસમાં ગુજરાત સરકારનો સિંહ ફાળો-નરેશ પટેલ
આ કાર્યક્રમ અંગે સંબોધન કરતા નરેશ પટેલે કહ્યું હતું કે, 15 વર્ષ પહેલા કાગવડ ખાતે માત્ર પથ્થરોનો ઢગલો હતો. આટલો વિકાસ થયો છે તે ગુજરાત સરકારને આભારી છે. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સહકારથી ખોડલધામનો વિકાસ શક્ય બન્યો છે. પાણીની સમસ્યા પણ રહેતી હતી, ત્યારે અંતમાં આનંદીબેન પટેલે પાણીની પાઇપલાઇન પણ પહોંચાડી.
આ ઉપરાંત રાજકોટના અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્યના સંકુલ અંગે પણ ભૂપેન્દ્ર પટેલે પુરતો સહયોગ આપ્યો હોવાનો દાવો કર્યો હતો. નરેશ પટેલે કહ્યું હતું કે, ખોડલઘામ દ્વારા હવે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરવામાં આવશે.
અનાર પટેલ બન્યા ખોડલધામના ટ્રસ્ટી
ખોડલઘામના ટ્રસ્ટી તરીકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અને સમાજસેવિકા અનાર પટેલની નિમણુક કરી છે. અનાર પટેલને આજે નરેશ પટેલના હસ્તે ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ અંગે અનાર પટેલે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ખોડલધામ જેવી મોટી સંસ્થામાં ટ્રસ્ટી તરીકે નિમણૂક થવી મારા માટે ગૌરવની વાત છે. આ સંસ્થાએ અનેક સેવાના કામો કર્યા છે અને હવે આ સેવામાં હું પણ જોડાઇશ અને સેવાના કામો કરીશ.
સ્ટેજ પર ભાજપ સરકારના મંત્રીઓનો દબદબો
ખોડલઘામના કાર્યક્રમોમાં આમ તો પાટીદાર સમાજના નેતાઓ અને અગ્રણીઓનો દબદબો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતના કાર્યક્રમમાં સામાજિક દબદબા કરતા ભાજપનો રાજકીય દબદબો વધારે જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, મૂળુભાઇ બેરા, કૌશિક વેકરીયા, દિલીપ સંઘાણી, જીતુ વાઘાણી, જ્યેશ રાદડિયા, મોહન કુંડારિયા, રમેશ ધડુક, રમેશ ટીલાળા સહિતના નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. એક સાથે આટલા મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું તે પણ ખૂબ જ સૂચક જોવા મળ્યું હતું.