રાજકોટ જિલ્લામાં જયેશ રાદડિયા vs પ્રશાંત કોરાટ, બે સિનીયર નેતાઓએ રા.લો સંઘને બનાવ્યો પ્રતિષ્ઠાનો જંગ
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરે યોજાવાની છે. ભલે આ સંઘ બે તાલુકા પૂરતો મર્યાદિત હોય પણ સહકારી ક્ષેત્રની આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.

રાજકોટમાં આગામી 8 સપ્ટેમ્બરના રોજ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાનાર છે. આમ તો આ સંઘ બે તાલુકા પુરતો મર્યાદિત છે પરંતુ સહકારી વિભાગની આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
આ વખતની ચૂંટણીમાં પણ સંઘની ચૂંટણી પ્રતિષ્ઠા સમાન બની છે. આ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને ચેરમેન સુધીની નિમણૂક માટે એક તરફ જેતપૂર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને બીજી તરફ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પોતાના સમર્થકોને ગોઠવવા મથી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા ચેરમેન પદ માટે મેદાને
જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં કોઇપણ નિમણૂક હોય, તેમાં હંમેશા રાદડિયાનો હાથ ઉપર રહ્યો છે પરંતુ સી આર પાટીલ દ્રારા સહકારી ક્ષેત્રમાં મેન્ડેન્ટની જાહેરાત કર્યા બાદ જયેશ રાદડિયાની પાંખો થોડા અંશે કપાઇ હોય તેવું લાગે છે; કારણ કે રાદડિયાના રાજકીય હરીફો પણ આ વાતનો લાભ લઇને રાદડિયાને પર નિશાન તાકી રહ્યા છે, જેમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ બાકાત નથી.
આ વખતની ચૂંટણીમાં જયેશ રાદડિયાના સમર્થક ડિરેક્ટર પદના ઉમેદવારની સામે ચેરમેન પદ મેળવવા માટે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી મેદાને ઉતર્યા છે. અરવિંદ રૈયાણીએ ડિરેકટર પદ માટે સેન્સ પ્રક્રિયા આપી છે. અરવિંદ રૈયાણીની નજર ચેરમેન પદ પર છે અને એટલા માટે તેઓ પોતાના સમર્થિત ડિરેક્ટરોને મેન્ડેન્ટ મળે તે માટે પ્રયત્નશીલ છે.
બે દિવસ પહેલા સેન્સ લેવાઇ હતી, પાર્ટીના કાર્યકર્તાઓને મેન્ડેન્ટ મળે તેવો સૂર
ભાજપ દ્રારા સહકારી વિભાગની ચૂંટણીમાં પણ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. બે દિવસ પહેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આમાં એક સૂર એવો ઉઠ્યો હતો કે, વર્તમાન ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં હાજર રહેતા નથી.
આથી નવી નિમણૂક માટે જેને મેન્ડેન્ટ આપવામાં આવે, તે ડિકેક્ટરો ભાજપના કાર્યકર્તા હોય. જો આવું થાય તો કેટલાક નેતાઓ જેઓ સહકારી ક્ષેત્રે સક્રિય છે પરંતુ પાર્ટીમાં નિષ્ક્રિય છે, તેના નામ કપાઇ જાય.
સહકારી ક્ષેત્રમાં રાજકારણ ન હોવું જોઇએ: જયેશ રાદડિયા
સહકારી ક્ષેત્રમાં મેન્ડેન્ટ આપવાની વાતનો અનેક સહકારી આગેવોના વિરોધ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ રાજકોટ ડેરીના એક કાર્યક્રમમાં જયેશ રાદડિયાનું ખૂબ જ સૂચક નિવેદન સામે આવ્યું હતુ. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલનોનું હિત સર્વોપરી છે, તેમાં કોઇ રાજકારણ ન હોવું જોઇએ. આથી સહકારી ક્ષેત્રનું સૂકાન ખેડૂતો અને પશુપાલનો સાથે જોડાયેલા લોકોને સોંપવામાં આવે તેવો નિર્દેશ આપ્યો હતો.
નિતીન ઢાંકેચાનો પણ રાદડિયા તરફ ઝૂકાવ
એક સમયે જયેશ રાદડિયાના વિરોધી ગણાતા રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા હવે રાદડિયા જુથમાં જોવા મળી રહ્યા છે. આ પદ માટે અરવિંદ રૈયાણીની સાથે નિતીન ઢાંકેચા પણ પ્રયત્નશીલ છે, તેવા સમયે રૈયાણીને પ્રદેશ તરફથી પ્રશાંત કોરાટનો ટેકો મળી રહ્યો છે.
બીજી તરફ, નિતીન ઢાંકેચા જયેશ રાદડિયાના ટેકે આગળ વધી રહ્યા છે. જયેશ રાદડિયા સીધી રીતે આ રેસમાંથી નથી પરંતુ પોતાનું સહાકારી નેતૃત્વ અકબંધ રાખવા માટે રાદડિયા પણ રાજકીય લોબીંગ કરી રહ્યા છે.
2027 પહેલા પ્રશાંત કોરાટના રાજકીય સોગઠા ખૂબ સૂચક
પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા બંન્ને એક જ વિસ્તારમાંથી આવે છે. ટૂંકમાં, જે સીટ પર જયેશ રાદડિયા ધારાસભ્ય છે, તે સીટ પર એક સમયે પ્રશાંત કોરાટના પિતા અને માતા બંન્ને ધારાસભ્યો હતા. જો કે, નવા સમિકરણોને કારણે કોરાટ પરિવારની ગણાતી સીટ પર જયેશ રાદડિયાને સ્થાન મળ્યું છે. બીજું કે, પ્રશાંત કોરાટને ભાજપે સમયાંતરે સંગઠનમાં સ્થાન આપ્યું જ છે.
હાલમાં પ્રશાંત કોરાટ સંગઠનના મહત્વના હોદ્દા પર છે. આથી તેઓ રાજકોટ જિલ્લામાં થતી રાજકીય ગતિવિધીઓમાં પોતાની દખલગીરી બખુબી દર્શાવી રહ્યા છે. આ દખલગીરીને કારણે રાદડિયાનું સહકારી ક્ષેત્રમાં પકડ ઓછી થાય અને પ્રશાંત કોરાટનું વર્ચસ્વ વધે.
વર્ષ 2027 ની ચૂંટણી નજીક છે. જો સહકારી ક્ષેત્રમાં રાદડીયાની પક્કડ તૂટે તો તેને રાજકીય રીતે ડેમેજ થાય અને જો પ્રશાંત કોરાટનો હાથ ઉપર રહે, તો પ્રશાંત કોરાટનું જિલ્લામાં વર્ચસ્વ વધે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા બંન્ને નેતાઓએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
બંન્ને બાહુબલી નેતાઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવી સામાન્ય ચૂંટણીમાં પણ દિલ્લી સુધી ફોન રણક્યા છે, ત્યારે ચૂંટણીના મેદાનમાં ભાજપના મેન્ડેન્ટ કોને મળે છે તેના પર સૌની નજર રહેશે.