‘ખોડલધામમાં બધા ચોર છે કહી જયંતિ સરધારાએ મારા પર હુમલો કર્યો’, પાદરિયાએ કરી પોલીસ ફરિયાદ
જયંતિ સરધારા અને સંજય પાદરીયા વચ્ચેનો વિવાદ વકર્યો છે. પાદરીયાએ સરધારા પર ખોડલધામ વિશે અપમાનજનક વાણીનો આરોપ લગાવ્યો અને શારીરિક હુમલાનો પણ દાવો કર્યો છે. સરધારાએ પહેલાં પાદરીયા સામે હત્યાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ પુરો થવાનું નામ લેતો નથી. જયંતિ સરધારાએ લખાવેલી ફરિયાદમાં હત્યાની કોશિશની કલમ દૂર થઇ હતી અને તેના આધારે સંજય પાદરિયા પોલીસ સમક્ષ હાજર પણ થયો અને પોલીસે નોટિસ આપીને તેને જામીનમુક્ત કર્યા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પીઆઇ સંજય પાદરિયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં જયંતિ સરધારા સામે પોલીસ ફરિયાદ આપી છે.
ફરિયાદમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે, લગ્ન પ્રસંગમાં હું અને જયંતિ સરધારા બંન્ને હાજર હતા. જ્યાં જયંતિ સરધારાએ લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ વિશે અયોગ્ય શબ્દ બોલતા હું તેને સમજાવવા માટે ગયો હતો, પરંતુ જયંતિ સરધારાએ તેને કોલર પકડીને લાતો મારી હોવાનો આક્ષેપ કર્યો છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સંજય પાદરિયાએ નોંધાવેલી ફરિયાદ શબ્દશ નીચે પ્રમાણે છે
- હુ રાજકોટમાં રહુ છુ અને હથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે જુનાગઢ જીલ્લાના ચોકી (સોરઠ) ખાતે ફરજ બજાવું છુ ગઈ 25 નવેમ્બરના રોજ અમારા સંબંધી રમેશભાઈ ગીરધરભાઈ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગે કણકોટ રોડ ઉપર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ગયેલા હતા. ત્યારે રાત્રીના 8.30 વાગ્યા આસ-પાસ આરોપી જયંતિભાઇ સરધારા મને મળ્યા હતા. તેઓ મારી સાથે ઉભા હતા, ત્યારે આ આરોપી જયંતિભાઇ સરધારાએ સામાન્ય વાતચીતમાં જ ઉશકેરાઇ જઇને અને ખોડલધામ વિષે ખરાબ બોલવાનુ ચાલુ કરેલુ અને ખોડલધામમાં બધા ચોર જ છે અને ખોડલધામ સંસ્થાને ગાળો દેવા લાગેલા. તેથી મે તેમને કોઈ ધાર્મિક લાગણી ન દુભાય તેવુ સમજાવતા તે વધુ ઉશ્કેરાઇ ગયેલા અને પોલીસવાળા બધા ચોર છે. પૈસા ખાય છે અને માલદાર થઈ ગયા છે, તેવુ પોલીસ ડીપાર્ટમેન્ટ વિશે બોલવા લાગેલા અને મે તેઓને આવુ ન બોલવાનુ સમજાવતા અને મારી સાથે રહેલા ઉપરોકત ત્રણેય વ્યક્તિઓએ આવુ ન બોલવાનુ સમજાવ્યુ. તેમણે ઉશ્કેરાઇ મારો કાઠલો પકડી મને ધકકો મારી માર માર્યો હતો. જેથી હુ તરત જ ત્યાંથી ચાલ્યો ગયો હતો.
- ઉપરોકત બનાવ બાદ હું ચાલીને પાર્ટી પ્લોટના પાર્કીંગમાં જતો હતો, ત્યારે આ આરોપી જેન્તિભાઇ પોતાની ગાડી લઈને ત્યાં પસાર થતા હોય તેઓ મને જોઈને ઉભા રહેલ અને મને ગાળો દેવા લાગેલ અને ખોડલધામમાં બધા ચોર જ છે તથા તારા પોલીસ ડીપાર્ટમેન્ટવાળા કટકી બાજો અને લુટારા છે તેમ કહી ખુબ ગાળો આપેલ અને મારી સાથે ઝપા-ઝપી કરવા લાગેલ અને તેવામાં તેઓ જ આરોપી જ્યંતિભાઇએ પહેરેલ રૂદાક્ષની માળા તેમને જ લાગી ગયેલી, તેમણે મને ખોટી રીતે ફસાવવા જાતે માથા ઉપર ઈજા કરેલી હોવાનો ખોટો આક્ષેપ અને ફરીયાદ હોય તેવુ મારૂ સ્પષ્ટ માનવુ છે. તેઓ જતા જતા ગાડીમાં બેસતી વખતે સંજલા હવે તારૂ આવી બન્યુ છે, તારા ખોડલધામને કહેજે તને બચાવી લે અને હવે તારૂ મોત નિપજાવીને જ હુ શાંતિથી બેસીશ અને તેમ કહી તેઓ જતા રહ્યા હતા.
- ઉપરોકત બનાવના દિવસે સંસ્થાનુ નામ બદનામ ન થાય તેથી મે ફરીયાદ કરવાનુ ટાળેલુ હતુ અને જયંતિભાઇએ મારા વિરૂધ્ધ તદ્દન ઉપજાવી કાઢેલુ અને ખોટી ફરીયાદ આપેલી અને ત્યારબાદ મે મારી સાચી તપાસ કરવાની લેખીત રજુઆતો જે તે અધીકારીઓને પણ આપેલી છે. તેમજ મારી સામે ખોટી ફરીયાદ કરવા સબંધે શ્રી સરધારાએ અન્યો સાથે મળી ગુનાહીત કાવતરૂ કરેલુ હોવાનું મારૂ શુધ્ધ-બુધ્ધિથી માનવાનું છે. જેથી આ અંગે પણ તપાસ કરશો તેવી મારી વિનંતી છે.
- ઉપરોકત સંજોગોમાં આ આરોપી વિરૂધ્ધ ભારતીય ન્યાય સહીતાની કલમ-૨૯૯, ૧૧૫(૨),૩૫૧(૩), ૩૫૨, ૬૧ મુજબની ફોજદારી ફરીયાદની ફરિયાદ નોંધી આરોપીની તાત્કાલીક ધડપકડ ક૨વા નમ્ર અરજ છે.
ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સંજય પાદરિયાએ આજે સાંજના સમયે તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી જેના આધારે તાલુકા પોલીસ દ્રારા ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે આ કેસમાં સીસીટીવી ફુટેજ અને ત્યાં હાજર લોકોના નિવેદન લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પહેલા સંજય પાદરિયા અને હવે જયંતિ સરધારા સામે પોલીસ ફરિયાદ નોંધાતા પાટીદાર સમાજમાં ચર્ચાઓ શરૂ થઇ છે.