રાજકોટનાં ડેનીસ આડેસરાની અંગદાન પ્રત્યે જાગૃતિ, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનર તરીકે 7.68 કરોડ લોકોએ સંકલ્પ લીધો
મૃત્યુ બાદ અંગદાન, ચક્ષુદાનની ઈચ્છા હોય, સંકલ્પ કર્યો હોય પરંતુ મૃત્યુ થાય ત્યારે પરિવારજનો આ સંકલ્પથી અજાણ હોય તો ઈચ્છા અધૂરી રહી જાય. લાયસન્સમાં અગાઉથી જ નોંધ હોય તો મોટાભાગે પરિવારજનોને જાણકારી હોય છે.
રાજકોટ (RAJKOT)ના રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા અને NGO સાથે સંકળાયેલા (Dennis Adesara)ડેનીસ આડેસરાએ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો. તેમણે (Driving license)ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનરની કોલમ ઉમેરવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. સતત 4 વર્ષના પ્રયત્ન બાદ (Driving license)ડ્રાઈવિંગ લાયસન્સમાં (Organ donor)ઓર્ગન ડોનરની કોલમનો કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આખરે સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે 2014થી 2021 એટલે કે છેલ્લા 8 વર્ષોમાં 7.68 કરોડ ભારતીયોએ અંગદાનનો સંકલ્પ ડ્રાઈવિંગ લાયસન્સમાં લીધો હોય એવો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
આ અંગે ડેનિસ ઓડેદરાએ કહ્યું હતું કે, તે રાજકોટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સેમિનારમાં ગયો હતો એ સમયે અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર અલમિત્રાબેન પટેલ મળ્યાં હતા. તેમના ડ્રાઇવિંગ લાયસન્સમાં OD એટલે કે ઓર્ગન ડોનર લખેલું હતું. જે જોઇ તેમને પણ ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનર ઓપ્શન અંગે વિચાર આવ્યો, ત્યારે આ બાબતે તેમણે મુખ્યમંત્રી, તેમજ પરિવહન મંત્રીને રજુઆત કરી હતી. જોકે આ ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા થતો હોવાનું જાણવા મળતા તેઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળ્યા હતા અને રજુઆત કરી હતી. જેને માન્ય રાખી સરકારે 2014થી ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનરની કોલમ ઉમેરાઇ હતી.
નોંધનીય છેકે આજે ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે કે જેમાં 7.68 કરોડ લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સમાં અંગદાન અંગે સંકલ્પ કર્યો હોય.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, RTOમાં નવા સોફ્ટવેર ઇન્સ્ટોલ થયા બાદ સપ્ટેમ્બર 2014થી આ કોલમ ઉમેરવાની શરૂઆત થઇ હતી. અરજદારે રાઈટ ટીક કર્યું હોય તો લાયસન્સમાં બ્લડ ગ્રુપની બાજુમાં OD એટલે કે ‘ઓર્ગન ડોનર’ એવો શબ્દ આવી જાય છે. ડેનીસ આડેસરાએ પણ ઓર્ગન ડોનર તરીકેની નોંધ કરેલું ડ્રાઈવિંગ લાયસન્સ પણ કઢાવી લીધું છે.
મૃત્યુ બાદ અંગદાન, ચક્ષુદાનની ઈચ્છા હોય, સંકલ્પ કર્યો હોય પરંતુ મૃત્યુ થાય ત્યારે પરિવારજનો આ સંકલ્પથી અજાણ હોય તો ઈચ્છા અધૂરી રહી જાય. લાયસન્સમાં અગાઉથી જ નોંધ હોય તો મોટાભાગે પરિવારજનોને જાણકારી હોય છે. તેમજ બ્રેઈનડેડ કે કોઈ વ્યકિતનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય ત્યારે ડ્રાઈવિંગ લાયસન્સના કારણે મૃતક વ્યક્તિની અંગદાન કે ચક્ષુદાનની અંતિમ ઈચ્છા પૂરી થઈ શકે જેનાથી અનેકને નવજીવન પ્રાપ્ત થઈ શકે.